જો ઓફિસ સમયસર પહોંચવું હોય તો ભૂલથી પણ ન જતા અમદાવાદના આ રોડ પર, નહીં તો ફસાઈ જશો
ગુજરાતનું આધુનિક અને સતત ધમધમતું મેટ્રો સિટી એટલે અમદાવાદ. તેમાં પણ અમદાવાદ શહેરનો એસ.જી.હાઈવે એટલે કોર્પોરેટ ઓફિસોનો ગઢ. પણ આ એસજી હાઈવે ની હાલત હાલના સમયમાં એવી છે કે અહી એક વાર ટ્રાફિકમાં ફસાયા બાદ વાહન ચાલકને તેમાંથી નીકળતા નાકે દમ આવી જાય. આમ તો શહેરમાં ટ્રાફિક વધુ હોવો તે વાત નવી નથી પરંતુ જે અવ્યવસ્થા સતત ધમધમતા શહેરના રોડ પર જોવા મળે છે, તેના કારણે વાહનચાલકો પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
એસજી હાઈવે પર મોટા ભાગની કોર્પોરેટ કંપની આવેલી છે તેવામાં અહીં ઓફિસ આવવાના સમયે અને સાંજના સમયે જ્યારે ઓફિસ પૂરી થાય છે તે સમયે સૌથી વધુ ટ્રાફિક જામ સર્જાય છે. આ ટ્રાફિકજામ સર્જાવો આનું કારણ છે સોલા રેલવે ઓવરબ્રિજનું કામ. આ કામના કારણે એસજી હાઈવે પર થી પસાર થતા કર્મચારીઓને એકથી દોઢ કિલોમીટર લાંબી ટ્રાફિકની લાઈનો માં ફસાઈ જવું પડે છે. ઘણા લોકો વાહનોની લાઈન જોઈ રસ્તો બદલી લેવાનું પસંદ કરે છે પરંતુ આમ કરવાથી ઓફિસે મોડું પહોંચવાનો અને સાથે પેટ્રોલનો બગાડ કરવાનો વારો આવે છે.
રોડ રસ્તાના સમારકામ ને પગલે અમદાવાદ શહેરમાં માત્ર થી એસ જી હાઇવે પર જ નહીં પરંતુ અન્ય રસ્તાઓ પર પણ સ્થિતિ ટ્રાફિકને લઈને આવી છે. તેમાં લોકોની સમસ્યા વધારવાનું કામ રસ્તા પર પડેલા ખાડા કરી દે છે. વરસાદની સિઝનમાં રોડમાં રીતસરના ગાબડાં પડી જવા થી લોકોને ટ્રાફિકજામ અને બીજી તરફ ખાડાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી ટ્રાફિકની સળગતી સમસ્યાને કારણે લોકોની નાના મોટા કામ માટે જો બહાર જવાનું થાય તો ટ્રાફિક માં ફસાઈ જવાની અને કલાકોનો સમય બગાડવાની બીકના કારણે લોકો પોતાના કામ પણ ટાળી દેતા હોય છે.
આવી જ સ્થિતિ શહેરના ભૂયંગદેવ બ્રિજ પર છે. અહીં દિવસમાં અનેકવાર વાહનોની લાંબી લાઇનો લાગેલી જોવા મળે છે. ઝાયડસ હોસ્પિટલ થી હેબતપુર જવાના રસ્તે પણ ભારે ટ્રાફિકજામ સર્જાતો હોય છે. આ પ્રકારે ઠેરઠેર શહેરમાં રસ્તા ના કામ અને બ્રિજના કામ જે રીતે વર્ષોથી ચાલુ છે તેને જોઈ લોકો પણ વિચારે છે કે હવે આ સમસ્યાનો અંત કેવી રીતે આવશે.
સરકાર અમદાવાદ સહિત ગુજરાતના વિકાસની વાતો કરે છે ત્યારે દર વર્ષે ચોમાસામાં લોકોને રોડ રસ્તામાં પડેલા ખાડા ભયંકર રીતે ત્રાસ આપે છે. તેમાં પણ શહેરમાં મેટ્રોના કામકાજ નો પણ અંત આવતો નથી જેના કારણે શહેરીજનોની સમસ્યામાં વધારો થયો છે. હવે તો લોકો પણ કહે છે કે મેટ્રોમાં બેસવા મળશે એ વાત તો પછીની છે પણ પહેલાં ટ્રાફિક અને ખાડાની સમસ્યાથી છુટકારો મળે તો પણ ઘણું. કારણકે લોકોને ઘરની બહાર નીકળતા જ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોવાથી નાકે દમ થઈ ચૂક્યો છે.