RBIનો નવો નિયમ જાણીને પછી જ બેંકોમાં ચેક નાખવા જજો, જો આવી ભૂલ કરી તો ક્યાંયના નહીં રહો
ધીરે ધીરે લોકો રોકડ રકમને બદલે હવે ચેક અથવા ઓનલાઇન ટ્રાન્જેક્શન જેવા વિકલ્પો દ્વારા લેવડ-દેવડ કરતા થયા છે. આ માટે બેંકો પણ લોકોને અનેક સુવિધાઓ આપી રહી છે. હાલમાં આ અંગે RBIએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. આથી જો તમે ચેક મારફતે પેમેન્ટ કરી રહ્યા છો તો તમારે હવે પહેલાં કરતાં વધારે સતર્ક રહેવાની જરૂર છે. મળતી માહિતી મુજબ ભારતીય રિઝર્વ બેંક 1 ઓગસ્ટથી આ નવો નિયમ અમલમાં મૂકવા જઈ રહી છે જેના ભાગરૂપે કેન્દ્રીય બેંકે હવે 24 કલાક બલ્ક ક્લિયરિંગની સુવિધા ઉપલબ્ધ કરાવશે.
આ સિવાય વાત કરવામાં આવે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) વિશે તો આ નવા ફેરફાર સાથે તે પણ 24 કલાક કામ કરી રહ્યું છે. આ માહિતી પરથી સમજી શકાય છે કે હવે ચેકને ક્લિયર થતાં તમારે વધારે સમયની રાહ જોવી પડશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે હવે ચેક ક્લિયર થતાં 2 દિવસનો પણ સમય લાગશે નહીં. હવે ચેક નાખ્યાના થોડા જ સમયમાં તેની રકમ ક્લિયર થઈ જશે. આ ફેરફાર સાથે ચેક માટે જરૂરી એ બાબતનું પણ હવે ધ્યાન રાખવું પડશે કે તમારા એકાઉન્ટમાં પૈસા છે કે નહીં.
જાણવા મળ્યું છે કે હવે NACH 24X7 ઉપલબ્ધ હશે જેનો સીધો મતલબ એ જ થાય છે કે હવે તમારે ચેકના માધ્યમથી પેમેન્ટ કરતા સમયે વધારે એલર્ટ રહેવું પડશે. મહત્ત્વની વાત એ છે કે હવે તે નોન વર્કિંગ ડે એટલે કે રજાઓના દિવસે પણ કામ તો ચાલુ જ રહેશે જેથી એ બાબત જરૂરી ચકાસી લેવી કે ચેક આપતાં પહેલા ખાતામાં પૈસા છે કે નહીં. જો તમે આ બાબતોને ધ્યાનમાં લીધા વગર જ ચેક આપી દો છો અને તમારા ખાતામાં પૈસા નહીં હોય તો તમારો ચેક બાઉન્સ થઈ જશે અને માત્ર એટલું જ નહીં તમારે દંડ પણ ભરવો પડશે.
NACH વિશે વિગતે વાત કરીએ તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત NACH મારફતે બલ્ક પેમેન્ટનું કામ કરવામાં આવે છે. તેમાં એક સમયે ઘણી બધી ક્રેડિટ ટ્રાન્સફર કરવાની સુવિધા હોય છે. આ સિવાયના બલ્ક પેમેન્ટ એટલે કે તમને મળતી સેલરી, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડ વગેરેનું પેમેન્ટ પણ તેના દ્વારા થાય છે. આ સિવાય તમારા ઘરનું ઈલેક્ટ્રીસિટી બીલ, ગેસ બીલ, ટેલિફોન બીલ, વોટર બીલ, લોનનો હપ્તો, રોકાણ, ઈન્શ્યોરન્સ પ્રીમિયમ વગેરેના પેમેન્ટનું કામ પણ કરે છે. આ અગાઉ જાન્યુઆરી માસમાં RBIએ પોઝિટિવ પે સિસ્ટમને અમલમાં મૂકી હતી.
આ સિસ્ટમ દ્વારા ચેક આધારિત જે કઈ પણ ટ્રાન્જેક્શન થતા હોય છે તેને પહેલાથી વધારે સુરક્ષિત બનાવવામાં આવી શકે છે. આ સાથે પોઝિટિવ પે સિસ્ટમમાં 50 હજાર રૂપિયાથી વધારેના ચેક પેમેન્ટ માચે ડિટેલ્સને ફરીથી ચેક કરવામાં આવતી હોય છે. મળતી માહિતી મુજબ આ પ્રક્રિયા હેઠળ ચેક જાહેર કરનાર ઈલેક્ટ્રોનિક રીતે ક્લિયરિંગ માટે રજૂ કરેલ ચેકથી જાણકારી આપે છે. આ પદ્ધતિ ચેક નંબર, ચેકની તારીખ, પેમેન્ટ કરનારનું નામ, એકાઉન્ટ નંબર, રકમ અને અન્ય ડિટેઈલ્સને આધારે કામ કરે છે. RBIના આ નવા ફેરફાર કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે લોકોનાં ચેકને વહેલી તકે ક્લિયર કરી શકાય.