કોરોના કાળમાં ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે દેશના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે તબાહી મચી છે. વાવાઝોડાના સમયે અને પછી પણ કેન્દ્ર સરકાર રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહી છે. વાવાઝોડા સમય ગૃહમંત્રી અમિત શાહ સતત રાજ્ય સરકારના સંપર્ક રહ્યા હતા. પરંતુ વાવાઝોડું પસાર થયા પછીની શું સ્થિતિ છે તેના વિશે જાણવા ખુદ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે.
વડાપ્રધાન મોદી બુધવારે એકદિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ હવાઈ માર્ગે ભાવનગર પહોંચ્યા હતા અને ત્યાંથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ હવાઈ નિરીક્ષણ બાદ પીએમ મોદી અમદાવાદ રવાના થશે અને ત્યાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.
વડાપ્રધાન મોદીએ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને હવે તેઓ અમદાવાદમાં ખાસ બેઠક કરશે. તેવામાં અનુમાન છે કે વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા કર્યા બાદ વડાપ્રધાન ગુજરાત માટે 500 કરોડનું રાહત પેકેજ જાહેર કરી શકે છે.
આજે વડાપ્રધાન હવાઈ માર્ગે આ સમગ્ર નિરીક્ષણ કરવાના હોવાથી તેમના આગમન પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજસેલ સહિતના સ્ટાફના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અહીં 100થી વધુ લોકોના કોરોના ટેસ્ટ થયા જે તમામ નેગેટિવ આવ્યા હતા. વડાપ્રધાનના આગમનને લઈ અહીં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
તાઉતે વાવાઝોડાએ સોમવારે લેન્ડફોલ બાદ સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી હતી. જેમાં સૌથી વધુ નુકસાન ઉના, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરમાં થયું હતું. આ સિવાય રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભરુચ સહિતના શહેરોમાં વરસાદ થયો હતો. વરસાદ તો આજે પણ રાજ્યના 23 જિલ્લાના 176 તાલુકામાં નોંધાયો હતો. જો કે વાવાઝોડું હવે નબળું પડ્યું છે. પરંતુ તેની અસર હજુ પણ રાજ્યમાં જોવા મળી શકે છે.
વાવાઝોડાના કારણે રાજ્યમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં અમદાવાદના સાણંદના ભાઈ-બહેનની જોડીનો પણ સમાવેશ થાય છે. સાણંદમાં તીવ્ર ગતિથી ફુંકાતા પવનના કારણે ઘર પરનું પતરું ઉડી અને વિજ તાર પર આવ્યું અને આ તાર બંને ભાઈ અને બહેનને અડી જતાં બંનેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યાનુસાર આ રીતે અમદાવાદ જિલ્લાના ઘણા મકાનોને નુકસાની પણ થઈ છે.
આ તમામ નુકસાનીનો સર્વે આજે વડાપ્રધાન મોદી મુખ્યમમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની બેઠકમાં કરશે અને ત્યારબાદ રાજ્ય માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે જેથી આ નુકસાનીમાંથી તેમને રાહત આપી શકાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!