કોરોના વાયરસે દેશભરના લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે. કોરોનાના સતત વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોએ લોકડાઉન અને કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યા છે. તેવામાં લોકોના ફરવા માટે જવાના સૌથી લોકપ્રિય સ્થળ એવા ગોવા ખાતે પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ગુરુવારથી એટલે કે 29 એપ્રિલે સાંજથી આગામી 3 મેના રોજ સવારે 7 કલાક સુધી ગોવામાં સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવશે. આ સમય દરમિયાન ફક્ત જરૂરી સેવાઓ માટે જ મંજૂરી આપવામાં આવશે.
સોમવારે ગોવામાં 2,321 નવા કોવિડ કેસ નોંધાયા હતા. જ્યારે 38 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. હાલમાં ગોવામાં 15,260 એક્ટિવ કેસ છે. ગોવાના આરોગ્યમંત્રી વિશ્વજીત રાણેએ આ આંકડા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે રાજ્યમાં લોકોના જીવ બચાવવા માટે લોકડાઉન કરવું જરૂરી છે. તેમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ‘નિષ્ણાંતો સાથેની વાતચીતમાં એવું જાણવા મળ્યું છે કે આવતા 10 દિવસમાં દરરોજ 200 થી 300 લોકોનાં મોત થવાની સંભાવના છે, આ પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. સાથે જ તેમણે કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી તેમની વિનંતી પર વિચાર કરશે. જો કે, આ અંગે અગાઉ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું હતું કે લોકડાઉન અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.
જણાવી દઈએ કે ગોવાના આરોગ્યમંત્રી વિશ્વજીત રાણેએ સોમવારે કહ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિઓ કરતા જીવન બચાવવાનું વધુ મહત્વનું છે. તેમણે રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને લોકડાઉન કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘ગોવામાં ચોક્કસ સમયગાળા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા અન્ય રાજ્યોની જેમ ચોક્કસપણે લોકડાઉન કરવું પડશે. આર્થિક પ્રવૃત્તિઓ કરતા વધારે, લોકોનું જીવન આપણા માટે મહત્વનું છે. ”
આ અંગે મળતી વિગતો અનુસાર લોકડાઉન ઉપરાંત ગોવામાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. જેના કારણે હવે પાંચથી વધુ લોકો કોઈ પણ જગ્યાએ એકઠા થઈ શકશે નહીં. તદ ઉપરાંત સરકારની ગાઈડલાઈન અનુસાર લગ્નમાં ફક્ત 50 લોકો જ્યારે અંતિમ વિધિમાં 20 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત ગોવા સરકારે બુધવારે એવી ઘોષણા પણ કરી હતી કે પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોના બીમારીની સારવાર તેમની મહત્વપૂર્ણ મેડિકલ વીમા યોજના અંતર્ગત કરવામાં આવશે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સારવાર દીન દયાલ સ્વાસ્થ્ય સેવા યોજના હેઠળ કરવામાં આવશે. એટલે કે સારવારનો 70થી 80 ટકા ખર્ચ આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ અંગે સત્તાવાર નોટિફિકેશન ટુંક સમયમાં સરકાર બહાર પાડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!