કોરોના સંક્રમણથી બચવા માટે જો તમે રસ્તા પર મળતા સસ્તા સેનિટાઈઝર ખરીદી તેનાથી હાથ સાફ કરો છો તો સાવધાન થઈ જાઓ. આવા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી શરીરને નુકસાન થાય છે. સાથે જ હવે સામે આવ્યું છે કે તેનાથી બ્લેક ફંગસ પણ થઈ શકે છે.
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે બ્લેક ફંગસ માટે સ્ટીરોયડ સિવાય ધૂળના કણ અને બજારમાં મળતા નકલી અને હલકી ગુણવત્તાના સેનિટાઈઝર પણ જવાબદાર છે. આ સસ્તા સેનિટાઈઝરમાં મેથેનોલની માત્રા જરૂર કરતાં ખૂબ વધારે હોય છે. જે આંખ અને નાકમાં જાય તો કોશિકાઓને મૃત કરે છે અને ફંગસને વધવા માટે સારું વાતાવરણ આપવા તૈયાર કરે છે.
આઈઆઈટી-બીએચયૂમાં સિરામિક ઈંજીનિયર વિભાગના વૈજ્ઞાનિક ડો પ્રિતમ સિંહએ જણાવ્યાનુસાર આ સ્પ્રે સેનિટાઈઝરનો સ્પ્રે ચહેરાની નજીક કરવામાં આવે તો તેમાથી થોડું સેનિટાઈઝર આંખ અને નાકમાં પણ જાય છે. તેનાથી રેટિના સહિત નાકની કોશિકા મૃત થઈ જાય છે. આ સેનિટાઈઝરમાં 5 ટકા આસપાસ મિથેનોલ હોય છે જે ફંગસને વધવા માટે વાતાવરણ આપે છે. તેનાથી આંખનો રેટિના પણ ખરાબ થાય છે. તેનાથી આંખની રોશની ધીરે ધીરે ઘટે છે. જ્યારે વ્યક્તિ આંધળી પણ થઈ શકે છે.
આમ થવાથી પ્રોટીલિસિસ પ્રક્રિયા શરુ થાય છે એટલે કે પ્રોટીનનું લિક્વિડ નીકળવા લાગે છે અને મૃત પ્રોટીન આસપાસ જામવા લાગે છે. ત્યારબાદ ફંગસ બનવાની પ્રક્રિયા શરુ થઈ જાય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટાડે છે અને ફંગસનો પ્રભાવ દેખાવા લાગે છે.
જણાવી દઈએ કે બજારમાં મળતા નકલી સેનિટાઈઝરમાં પાંચ ટકા આસપાસ મેથેનોલ હોય છે જે ત્વચા અને સ્નાયુને નુકસાન પહોંચાડવા માટે પુરતા છે. એટલા માટે સેનિટાઈઝર એ જ વાપરવા જોઈએ કે યોગ્ય માપદંડ સાથેના હોય. કોઈપણ જગ્યાએથી સસ્તુ જોઈ સેનિટાઈઝર લેવું જોઈએ નહીં. આવા સેનિટાઈઝર વાપરવાથી શરીરને ભારે નુકસાન થાય છે.
આ સિવાય નિષ્ણાંતો એમ પણ કહે છે કે સેનિટાઈઝર એ વાપરવા જોઈએ જેમાંથી ડ્રોપ પડતા હોય. સ્પ્રે થતો હોય તેવા સેનિટાઈઝર યોગ્ય નથી. તેનાથી તે આંખ અને નાકમાં જઈ શકે છે. આ સિવાય હાલના સમયમાં એવી જગ્યાઓએ જવાનું પણ ટાળવું જોઈએ જ્યાં બાંધકામ ચાલતું હોય.