દુનિયામાં કેટલીક એવી અજીબોગરીબ ઘટનાઓ હોય છે, જે લોકોમાં કાયમ ચર્ચાનો વિષય બની જાય છે. આવી જ એક જગ્યા જાપાનમાં છે, જે આખી દુનિયામાં ‘સ્યુસાઈડ ફોરેસ્ટ’ તરીકે ઓળખાય છે. આ લીલુંછમ અને સુંદર દેખાતું જંગલ મોર્નિંગ વોક માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેની ભયાનક વાર્તાઓ માટે જાણીતું છે.
આ સ્થળે અત્યાર સુધીમાં અનેક લોકોએ આત્મહત્યા કરી છે. તો આ જંગલ વિશે લોકોમાં ઘણી માન્યતાઓ છે. કેટલાક લોકોનું માનવું છે કે આ જગ્યા પર ભૂતોનો વસવાટ છે, જે લોકોને આત્મહત્યા કરવા મજબૂર કરે છે. આ જંગલ વિશ્વના સૌથી લોકપ્રિય આત્મહત્યાના સ્થળોમાં બીજા નંબરે છે. આ જંગલ જાપાનની રાજધાની ટોક્યોથી થોડા કલાકો દૂર આવેલું છે. આવો જાણીએ આ જંગલ વિશે…
જંગલનું લોકેશન
જેવા તમે ઓકિગાહારા જંગલમાં પ્રવેશ કરશો કે તરત જ તમને ચેતવણીઓ વાંચવામાં આવશે. જેમ કે ‘તમારા બાળકો અને પરિવાર વિશે કાળજીપૂર્વક વિચારો’, ‘તમારું જીવન તમારા માતાપિતા તરફથી અમૂલ્ય ભેટ છે’. આ જંગલ જાપાનના ટોક્યોથી 2 કલાકના અંતરે સ્થિત માઉન્ટ ફુજીના ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે અને 35 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. એટલું જ નહીં આ જંગલ એટલું ગાઢ છે કે તેને વૃક્ષોનો મહાસાગર પણ કહેવામાં આવે છે. આ જંગલ એટલું ગાઢ છે કે અહીંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ છે.
જંગલ સાથે જોડાયેલ છે બિહામણી કહાનીઓ
કહેવાય છે કે આ જંગલમાં આત્માઓ રહે છે. સત્તાવાર રેકોર્ડ મુજબ, 2003 થી, આ જંગલમાંથી લગભગ 105 મૃતદેહો મળી આવ્યા છે. તેમાંથી મોટાભાગના ખરાબ રીતે સડી ગયા હતા, જ્યારે કેટલાકને જંગલી પ્રાણીઓ ખાઈ ગયા હતા. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે જંગલ એટલું ગાઢ છે કે લોકો રસ્તો ભૂલી જાય છે અને પછી ડરના કારણે પોતાનો જીવ લઈ લે છે.
સૌથી નવાઈની વાત એ છે કે જંગલમાં કંપાસ કે મોબાઈલ જેવા સાધનો પણ કામ નથી કરતા. એટલું જ નહીં, હોકાયંત્રની સોય પણ અહીં ક્યારેય સાચો રસ્તો બતાવતી નથી. તેનું કારણ એવું કહેવાય છે કે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાએ માટીનું રૂપ ધારણ કર્યું છે, જેમાં આયર્ન મોટી માત્રામાં છે. ચુંબકીય આયર્નને કારણે હોકાયંત્રની સોય સતત ફરતી રહે છે અને સાચો રસ્તો બતાવતી નથી.
અને મોબાઈલમાં પણ નેટવર્ક પણ નથી આવતું. જેના કારણે જો કોઈ ફસાઈ જાય તો જંગલની બહાર સંપર્ક કરવો મુશ્કેલ બની જાય છે. જંગલની નજીક રહેતા લોકોનું કહેવું છે કે રાત્રે જંગલમાંથી ચીસોના અવાજો આવે છે. એવું કહેવાય છે કે આ જંગલમાં 300 વર્ષથી વધુ જૂના વિવિધ પ્રજાતિના ઘણા વૃક્ષો છે.