વલસાડ ખાતેના નંદીગ્રામ આશ્રમમાં લીધા અંતિમ શ્વાસ, સાહિત્યમાં યોગદાન બદલ એનાયત કરાયો હતો સાહિત્ય અકાદમી પુરસ્કાર
જાણીતા ગુજરાતી નવલકથાકાર, વાર્તા લેખિકા, નિબંધકાર એવા કુંદનિકા કાપડિયાનું આજે 93 વર્ષની વય અવસાન થયું છે તેમનો જન્મ 11 જાન્યુઆરી 1927માં ગુજરાતના લીંબડીમાં થયો હતો.
તેમણે અંતિમ શ્વાલ વલસાડ ખાતેના નંદીગ્રામ ખાતે લીધા છે. તેમને તેમના સાહિત્ય ક્ષેત્રે કરેલા નોંધપાત્ર યોગદાન બદલ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલ છે. તેમણે મકરંદ દવે સાથે લગ્ન કર્યા હતા અને નંદીગ્રામ આશ્રમની સ્થાપના પણ તેમણે સાથે કરી હતી.
કુંદનિકા કાપડિયાની સૌથી પ્રસિદ્ધ કૃતિ સાત પગલાં આકાશમાં છે. આ સિવાય તેમની રચનાઓમાં પ્રેમના આંસુ, વધુને વધુ સુંદર, જવા દઈશું તમને, કાગળની હોડી, મનુષ્ય થવું જેવી નવલિકાઓ, પરોઢ થતાં પહેલા, અગનપિપાસા અને સાત પગલાં આકાશમાં જેવી નવલકથા સહિતના નિબંધો પણ લોકપ્રિય થયા છે.
કુંદનિકા કાપડિયાના જીવનની વાત કરીએ તો તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરાથી પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ કોલેજનો અભ્યાસ તેમણે ભાવનગરની શામળદાસ કોલેજથી પુર્ણ કર્યો હતો. તેમણે બી.એ.ની ડીગ્રી રાજકારણ અને ઇતિહાસ વિષય સાથે મેળવી હતી. માસ્ટર્સની ડીગ્રી તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ‘એન્ટાયર પોલીટીક્સ’ વિષય સાથે મેળવી હતી.
તેમના માટે પ્રેરણા ધૂમકેતૂ, શરદબાબૂ, ટાગોર, શેક્સપિયર સહિતના મહાન લેખકો હોવાનું તેમણે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. આ લેખકોને વાંચ્યા બાદ તેમને પણ લેખન ક્ષેત્રે યોગદાન આપવાની પ્રેરણા થઈ હતી. તેમની પ્રથમ રચના પ્રેમના આંસુ નામની વાર્તા હતી. આ વાર્તાને આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં પુરસ્કાર મળ્યો હતો.
તેમની સૌથી પ્રખ્યાત નવલકથા છે સાત પગલાં આકાશમાં. આ નવલકથામાં નારીજીવનની વ્યથાને વર્ણવી છે. આ નવલથાનું મુખ્ય પાત્ર વસુધા છે. આ નવલકથા બાદ તેમને 1975માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર આ નવલકથા માટે મળ્યો હતો. સાત પગલાં આકાશમાં સિવાય પરમ સમીપે પણ તેમની એવી રચના છે જે ખૂબ જ વખણાયેલી અને વંચાયેલી છે.