મહેન્દ્ર મેઘાણી ઘંટી પર જાતે દળતા અનાજ, આ સાથે આજુબાજુના લોકોનાં દરણાં પણ દળી આપતા, જાણો આવી જ કેટલીક અજાણી વાતો તમે પણ

પત્રકાર, તંત્રી, લેખક, સંપાદક, અનુવાદક, પુસ્તક-પ્રસારક, ઉત્તમ સંક્ષિપ્તકાર, આદર્શ નાગરિક, કર્મશીલ, કળા-આસ્વાદક, ભાષાપ્રેમી.. મહેન્દ્ર મેઘાણીને કોઈ એક ઓળખમાં બાંધી ના શકાય.

image source

મહેન્દ્ર મેઘાણી વિશિષ્ટ વ્યક્તિત્વ છે, કારણ કે તેમણે જે કર્યું તે વિશિષ્ટ કર્યું. અમેરિકા પત્રકારત્વનું ભણવા ગયા તો ગુજરાતી ભાષામાં રીડર્સ ડાયજેસ્ટ જેવું સામયિક કરવાનો વિચાર લઈને આવ્યા. કંઈક કરવાનો આપણો વિચાર ક્યારેક વિચાર જ રહે પણ મહેન્દ્રભાઈ માટે તો તે સંકલ્પ જ હોય. 1950માં તેમણે મિલાપનો પ્રારંભ કર્યો, જે 30 વર્ષ સુધી ચાલ્યું. મિલાપ એ ગુજરાતી પત્રકારત્વનું એક ઝળહળતું પ્રકરણ છે.ઉત્તમ સંપાદન કોને કહેવાય તેનો જવાબ મિલાપમાંથી મળે.

લોકમિલાપના નેજા હેઠળ તેમણે ગુજરાતી વાચકોને અનેક સત્વશીલ પુસ્તકો, કિફાયતી દરે, ઘેરબેઠાં સુલભ કરાવીને ન્યાલ કર્યા.તેમની અરધી સદીની વાચન યાત્રા હોય કે પછી ગાંધીગંગા જેવું પુસ્તક હોય, તેઓ જે પણ કરે દષ્ટિપૂર્વક જ કરે. જેમ લેખનમાં લેખકની શૈલીની છાપ હોય તેમ મહેન્દ્રભાઈના સંપાદનમાં તેમની છાપ હોય.

image source

જેને ભારતના રાષ્ટીય પોશાક કહેવાય છે તેવો લેંઘો, ઝભ્ભો અને માથે ટોપી પહેરીને, પોતાના કાર્યમાં સમાધિ લગાવેલા મહેન્દ્રભાઈને જોવા એ લહાવો. આંબાવાડીથી ગૂજરાત વિદ્યાપીઠ સુધી, એક ચોક્કસ લયમાં તેમના સાયકલ પર જતા જોયા છે. એ દશ્ય આજે પણ આંખ-હૃદયમાં એમનું એમ સચવાયું છે.

તેમણે ગુજરાતી ભાષામાં લિપિના સુધારા સૂચવેલા અને વર્ષો સુધી તેનું આચરણ પણ કર્યું હતું. સમકાલીનમાં એ વખતે આદરણીય સાૈરભ શાહે તેમની લિપિના સુધારાને ઝાટકી નાખેલા, એ વખતે મેં અને અનિતાએ (એ વખતે અમે ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતાં હતાં) ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં બેસીને તેમની મુલાકાત કરીને સમકાલીનના તંત્રીને મોકલી તો અમારા આશ્ચર્ય વચ્ચે બીજા જ દિવસે તંત્રી પાના પર, અરધાુ પાનામાં એ મુલાકાત પ્રકાશિત થઈ હતી.

image source

તેઓ કવિતાના મોટા ચાહક. એક વરસાદી સાંજે અમદાવાદમાં ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી ભાષા શુદ્ધિ અભિયાનની બેઠક હતી. તેમાં હું ગયો હતો. જ્યારે જોડણી સુધારાની વાત થઈ અને દીર્ધ ઈ અને રશવ ઉ રાખવાની ચર્ચા થઈ ત્યારે તેમણે દલીલ કરી કે તો પછી કવિતાનું શું થાય.. ?? એ પછી તેઓ તરત સાયકલ લઈને નીકળી ગયેલા.

તેમની પાસેથી ઘણું શીખવાનું મળ્યું.

તેઓ એવું માને છે કે અગાઉના લેખકો-કવિઓ જ એટલું ઉત્તમ લખી ગયા છે કે નવું લખવાની શી જરૃર ?, તેથી જ તેમણે આજીવન નીવડેલા લેખકોની ઉત્તમ સામગ્રી વાચકો સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું.

image source

જરૃર પડે ત્યારે જ બોલે. (એટલે ઘણાને મીઢા લાગે) શબ્દનું, પછી એ બોલાયેલો શબ્દ હોય કે લખેલો..નો મહિમા બરાબર જાણે. વિષયાંતરની વાત તો જવા દો.. એમની મંજૂરી વિના એક પણ શબ્દ તેમના આલેખનમાં પ્રવેશી ના શકે. ભારત સરકાર ભલે ઘૂસણખોર બાંગ્લાદેશીઓને તગેડી શકી નથી, મહેન્દ્રભાઈએ તો ગુજરાતી સાહિત્યકારોના લેખોમાં આવેલા લાખો શબ્દોને સાદર રવાના કર્યા છે અને વિનોદ ભટ્ટે એક વખત કહ્યું હતું તેમ મહેન્દ્રભાઈએ ટૂંકાવેલો લેખ લેખકને તો પોતે લખેલા લેખ કરતાં વધુ સારો જ લાગતો…

પુસ્તકમેળા જેવો માૈલિક શબ્દ આપીને તેમણે એ શબ્દને સાર્થક પણ કર્યો. તેણે કરેલા પુસ્તકમેળા વિશે સંશોધન કરીને અલાયદો લેખ થઈ શકે. પુસ્તકના વ્યવસાયને તેમણે પુણ્યનો વેપાર એવો અર્થસભર શબ્દ આપ્યો.

1969માં, ગાંધીજીની જન્મ શતાબ્દીએ, સમગ્ર વિશ્વમાં ભરીને ગાંધી સાહિત્યનો તેમણે પ્રસાર કર્યો હતો.

તેમણે ફિલ્મ મિલાપ દ્વારા અનેક બાળકોને ઉત્તમ ફિલ્મો બતાવી.

આઈસક્રીમ ખાવાના શોખીન મહેન્દ્રભાઈ તાંસળામાંજ આઈસ્ક્રીમ ખાય. તેમની ઝંખના એવી કે સમગ્ર વિશ્વનાં બાળકોને આઈસ્ક્રીમ ખાવા મળવો જ જોઈએ.

પોતાનું કામ જાતે જ કરવાની ટેવ. ઉમાશંકર જોશીની કવિતા વાંચતા હોય કે મનુભાઈ પંચોળીનો લેખ ટૂંકાવતા હોય ત્યારે ઊભા થઈને વાસણ માંજી લે.. લખાણ માંજવા જેટલું જ મહત્વ વાસણ માંજવાને આપે. ઘંટી પર જાતે અનાજ દળતા ત્યારે આજુબાજુના લોકોનાં દરણાં પણ દળી આપતા.

image source

કોઈ પણ ભાષાને લેખકો તો મળતા જ હશે, પણ એટલું ચોક્કસ છે કે મહેન્દ્રભાઈ મેઘાણી તો ગુજરાતી ભાષાને જ મળ્યા છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજા બન્ને બડભાગી.

આમ તો તેઓ સન્માન- પારિતોષિકો-એવોર્ડથી પર-ઉપર છે, પણ ગુજરાત સાહિત્ય સભાએ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક આપીને તેમનું સન્માન કરવું જોઈએ. (પહેલો રણજિતરામ ચંદ્રક ઝવેરચંદ મેઘાણીને અપાયો હતો.)

તેમનો પાૈત્ર યશ કહે છે, મારી જિંદગીમાં આવેલી એક માત્ર એવી વ્યક્તિ જેમની પ્રત્યેનો આદર ક્યારેય પણ ઓછો નથી થયો. 93 વર્ષે પણ હંમેશા બાળક જેવું સ્મિત અને જિજ્ઞાસા ધરાવતા હોવા છતાં પણ કાયમ બાળકોને પણ આદર આપીને બોલાવતા મારા દાદા Mahendra Meghani(મીમી) ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમેરિકામાં આઇસક્રીમ ખાતા અમને યાદ કરજો મીમી.

આલેખન

રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત