ઉત્તરાયણની ઉજવણી કરતા પહેલા જાણો મકર સંક્રાંતિનું શું છે પૌરાણિક મહત્વ ?
દર વર્ષે આપણા દેશમાં અનેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારોથી મોટાભાગના તહેરવારો તિથિ અનુસાર ઉજવાય છે. પરંતુ કેટલાક તહેવારો એવા હોય છે જે તેની તારીખ પ્રમાણે ઉજવાય છે. જેમકે નાતાલ, મકરસંક્રાંતિ…
દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. આ દિવસનું અનેરું મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર આ દિવસે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં સંક્રમણ કરે છે. આ વર્ષે પણ 14 જાન્યુઆરીએ સંક્રાંતિ ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ વિશેષ અને ફળદાયી હોય છે. કારણ કે સૂર્ય તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે.
મકરસંક્રાંતિના દિવસે સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે ત્યાર પછી ખરમાસ કે કમુર્તા સમાપ્ત થાય છે. મકરસંક્રાંતિ વસંતઋતુના આગમનની પણ છળી પોકારે છે. મકરસંક્રાંતિનો સંબંધ મહાભારત કાળ સાથે પણ છે. આજે તમને જણાવીએ મકરસંક્રાંતિના આ મહત્વ વિશે.
મહાભારત અને મકરસંક્રાતિ વચ્ચે સંબંધ
18 દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ કૌરવો તરફથી યુદ્ધમાં ઉતર્યા હતા. 10 દિવસ યુદ્ધના મેદાનમાં પિતામહે જે લડાયક કુશળતા દાખવી તે જોઈને પાંડવો હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારબાદ પાંડવોએ ભીષ્મ પિતામહ સામે શિખંડીને રાખી અને તેની મદદથી તેમને ધનુષ છોડવા મજબૂર કર્યા અને પછી અર્જુને એક પછી એક અનેક તીર મારીને તેને ધરતી પર પટકી દીધા.
પરંતુ ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. તેથી તે અર્જુનના બાણોથી ખરાબ રીતે ઘાયલ થયા છતાં બચી ગયા હતા. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હસ્તિનાપુર ચારે બાજુથી સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી તેઓ મૃત્યુ પામશે નહીં. આ સાથે પિતામહે પ્રાણ ત્યાગ કરવા માટે સૂર્યોદયની પણ રાહ જોવી હતી કારણ કે આ દિવસે પ્રાણ ત્યાગ કરનારને મોક્ષ મળે છે.
ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાયણનું મહત્વ જણાવતા કહ્યું હતું કે 6 મહિનાના શુભ સમયગાળામાં જ્યારે સૂર્ય ભગવાન ઉત્તરાયણ હોય છે અને પૃથ્વી પ્રકાશિત હોય છે તે સમયે જે વ્યક્તિ શરીરનો ત્યાગ કરે છે તેનો પુનર્જન્મ થતો નથી આવા લોકો સીધા બ્રહ્મને પ્રાપ્ત થાય છે એટલે કે તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે ભીષ્મ પિતામહે શરીર છોડવા માટે સૂર્ય ઉત્તરાયણમાં આવે ત્યાં સુધી રાહ જોઈ હતી.
મકરસંક્રાંતિના શુભ મુહૂર્ત
આ વર્ષે મકરસંક્રાંતિનો શુભ સમય સૂર્યના સંક્રાંતિના સમયના 16 કલાક પહેલા અને 16 કલાક પછીનો છે. આ વખતે પુણ્યકાળ 14 જાન્યુઆરીએ સવારે 7.15 વાગ્યાથી શરૂ થશે જે સાંજે 5:44 વાગ્યા સુધી ચાલશે. આ સમય દરમિયાન સ્નાન, દાન, જપ કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે મહાપુણ્ય કાલ મુહૂર્ત 9 વાગ્યાથી 10:30 સુધી ચાલશે. આ પછી બપોરે 1.32 થી 3.28 સુધી મુહૂર્ત રહેશે.