એક કહેવત છે કે અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી અને નબળા મનના વ્યક્તિથી પથ્થર પણ હટતો નથી. આવી જ ઘટના તાજેતરમાં બની છે બિહારના દરભંગામાં… અહીં 32 વર્ષનો યુવક ભાયંદરથી ચાલતો ચાલતો પહોંચ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતોનુસાર 32 વર્ષીય હરિવંશ ચૌધરી મુંબઈના ભાયંદરમાં એક ફેક્ટ્રીમાં કામ કરતો હતો. મહારાષ્ટ્ર સરકારે 21 માર્ચે જાહેર કર્યું કે ઓફિસ, કારખાના બધું જ બંધ રહેશે ત્યારે હરિવંશના મનમાં વિચાર પણ ન હતો કે તેને 27 દિવસની પદયાત્રા ઘરે પહોંચવા કરવી પડશે.
દરભંગા જિલ્લાના પનચૌભનો રહેનાર હરિવંશ મુંબઈના ભાયંદરની સ્ટીલ ફેક્ટ્રીમાં કામ કરતો હતો. અચાનક માલિકે તેમને કહ્યું કે હવેથી કામ બંધ. તેણે એડવાંસ તરીકે કંપની પાસેથી 240 રૂપિયા લીધા હતા. આ સિવાય કંપનીએ કોઈ રકમ તેને આપી નહીં. તેવામાં તેણે ઘરે પરત ફરી જવા નક્કી કરી લીધું.
તેણે પોતાની પાસે હતા તે તમામ રુપિયા એકઠા કર્યા અને 445 રુપિયામાં તેણે લોકમાન્ય તિલક ટર્મિનસ રેલ્વે સ્ટેશનથી દરભંગા થતી ટ્રેનમાં ટિકિટ બુક કરી. પરંતુ તેના નસીબ એવા કે ટ્રેન પણ રદ્દ કરી દેવામાં આવી. હવે હરિવંશ પાસે કોઈ અન્ય વિકલ્પ ન હતો અને ન તો તેની પાસે વધારે રૂપિયા હતા.
રેલ્વેના અધિકારીએ તેને જણાવ્યું કે પટના જતી એક ટ્રેન સિવાય બધી જ ટ્રેન રદ્દ થઈ ચુકી છે. હરિવંશ જેમ તેમ કરી આ ટ્રેનમાં ચઢી તો ગયો પરંતુ 5 કલાક બાદ આગળની યાત્રા રદ્દ કરી દેવામાં આવી. હવે તેની પાસે પૈસા પણ ન હતા કે તે ઘરે પરત જઈ શકે અને ઘરે પહોંચવા માટે 1800 કિલોમીટરનો સફર બાકી હતો.
તેવામાં હરિવંશ ઉત્તર પ્રદેશ અને બિહાર જતા અન્ય 25 લોકોના સમૂહમાં જોડાઈ ગયો. જો કે તેને આ વાતનો ખ્યાલ ન હતો કે તેણે 1800 કિલોમીટર ચાલવામાં કેટલા દિવસો કાઢવા પડશે. આ સમુહ રેલ્વેના પાટાની સાથે સાથે ચાલતા રહ્યા અને થાક લાગે એટલે ઝાડના છાયામાં સુઈ જતાં. આમ કરતાં કરતાં તે 27 દિવસે તેના ઘરે પહોંચ્યો.
તેણે આ યાત્રા વિશે જણાવ્યું હતું કે તે સવારે 5 કલાકથી રાત્રે 8,9 કલાક સુધી ચાલતા અને વચ્ચે વચ્ચે આરામ કરતાં. ક્યારેક તો તેમને ખોરાક પણ મળતો નહીં. કોઈવાર નાગરિકો બિસ્કિટ, પાણી આપી દેતાં.