દિવાળી ના મહાપર્વનો આજે બીજો દિવસ કાળી ચૌદશ છે. આ દિવસ ને નરક ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે પરોઢિયે તેલ લગાવીને ખીજડાનાં પાનને પાણીમાં નાંખીને સ્નાન કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે.
વિધિ વિધાન દ્વારા પૂજા કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુકત થઈ ને સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આજના દિવસે શ્રદ્ધાળુઓ શક્તિપીઠ ઉપરાંત વિવિધ માતાજી ના મંદિરોમાં દર્શનાર્થે ઊમટી પડે છે. જયારે હનુમાનજીનાં મંદિરોમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સંધ્યાકાળે લોકો દીપદાન પણ કરે છે. જ્યારે તાંત્રિકો રાત્રીના સમયે સાધના કરે છે.
કાળી ચૌદશને લઈને માન્યતા
કાળી ચૌદશ માટે આમ લોકોમાં એક ભારે ગેરસમજ ઉભી થાય છે, કે આ દિવસે કાળા જાદુ કે મેલી વિદ્યા ની જ સાધના કરવામાં આવે છે, પરંતુ એવું નથી. આ દિવસે કોઈ પણ ધર્મ ની કોઈ પણ મંત્ર કે સાધના નો ઉપયોગ કરવામાં આવે તો તે સામાન્ય દિવસોએ કરવામાં આવતી સાધના કરતાં વધુ ફળદાયક નીવડે છે.
પૂજા વિધિ પૂર્ણ થાય પછી ઓછામાં ઓછો સત્યાવીસ વાર જપ કરવો. જો જપ વધુ કરી શકાય તો વધુ લાભ મેળવી શકાય છે. જપ પૂરા થાય પછી માતાજી ની આરતી કરી તેમની કૃપા અને આશીર્વાદ મળે તે માટે પ્રાર્થના કરવી. આ પ્રયોગ ને દર વર્ષે કાળી ચૌદશ ના દિવસે કરતા રહેવું.
હનુમાનજી, મહાકાળી અને ઘંટાકર્ણ મહાવીર ની પૂજાથી થશે લાભ
આજના દિવસે પૂજા કરવાથી વર્ષ દરમિયાન જીવનમાં દરેક ક્ષેત્રમાં શત્રુઓ, વિરોધીઓ, હરીફો ઉપર વિજય મળે છે. ધંધામાં હરીફો દ્વારા હેરાન ગતિઓ થતી હોય, સરકારી વિભાગો દ્વારા બિનજરૂરી ઝગડા થતા હોય, કોર્ટ-કચેરીનાં લફરાંમાં સંડોવાવું પડતું હોય તો આ પ્રયોગ ચમત્કારિક પરિણામ આપે છે.
કાળી ચૌદશ નો પ્રયોગ પૂરો થયા બાદ દરરોજ એક માળા કે ઓછોમાં ઓછા સત્યાવીસ વાર મંત્રનો જપ કરતા રહેવું. કાળી ચૌદશ ની જેમ દિવાળીને પણ સિદ્ધરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વ્યાપારી ભાઈઓ, શારદાપૂજન, ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન કરતા હોય છે.
મહાકાલી માતાનું સ્તવન પૂજન અર્ચન નૈવેદ્યનો મહિમા
સ્વયં ભગવાન શિવે હનુમાનજી ના રૂપમાં મહાનિશા- અર્ધરાત્રી એ અંજનિદેવી ના ઉદર થી અવતાર ધારણ કર્યો હતો. ભૈરવની પૂજા કરવાથી કામ ક્રોધ ના ગુણોનો સંહાર થાય છે. હનુમાનજી ની પૂજા પ્રાર્થના કરવાથી લાભ થાય છે. તાંત્રિકો માટે તો આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. ઘણી જગ્યાએ આજે શાહીના ખડિયાના પૂજન ની પરંપરા જળવાઈ રહી છે. ખડિયા ને મંદિરનું પ્રતીક, શાહી ને ભગવતી નું અધિભૌતિક સ્વરૂપ માનવામાં આવે છે. હનુમાનજી નું ષોડ્શોપચાર પૂજન કરવાથી અશુભ દૂર થાય છે. આસુરી તત્ત્વો ને ઘરમાંથી કાઢવાનું પર્વ એટલે કાળીચૌદશ.