રડતી આંખોએ સૌએ વિદાય આપી વહાલા નટુકાકાને, હવે શોમાં નહીં સંભળાય નટુ કાકાનો અવાજ…
લોકપ્રિય સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘ નટ્ટુ કાકા ‘ એટલે કે ઘનશ્યામ નાયક હવે આ દુનિયામાં રહ્યા નથી. ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે નિધન થયું છે. તેમને કેન્સરની બીમારી હતી અને તેની સારવાર ચાલતી હતી. ઘનશ્યામ નાયકના નિધનના સમાચારથી સમગ્ર ટીવી જગતમાં શોકની લહેર ફરી વળી છે.
ઘનશ્યામ નાયકે લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવી ત્યારબાદથી તેમની લોકપ્રિયતા વધી હતી. તેમના પાત્રને લોકો ખૂબ પસંદ કરતા હતા. જેઠા લાલ સાથે તેમની જોડીને અનેકવાર ખૂબ પસંદ કરવામાં આવી છે. તેવામાં રવિવારે તેમના મૃત્યુના સમાચાર જાહેર થતા તારક મહેતા શોની ટીમ પણ શોકમાં ગરકાવ થઈ હતી.
નટ્ટુ કાકાના મૃત્યુના સમાચાર સામે આવ્યા પછી ઘણા ટીવી સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સોશિયલ મીડિયા દ્વારા, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તમામ સ્ટાર્સે ઘનશ્યામ નાયકને યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
સોમવારે સવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં પણ દિલીપ જોશીથી લઈ મુનમુન દત્તા, ભવ્ય ગાંધી, અસિત મોદી સહિતના કલાકારો પણ આવ્યા હતા. જેઠાલાલનું પાત્ર ભજવતા અને સૌથી વધુ સાથે કામ કરનાર દિલીપ જોશી જ્યારે ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કારમાં આવ્યા ત્યારે તેમની સાથે સ્વામિનારાયણના સંતો પણ આવ્યા હતા. ઘનશ્યામ નાયકને પરિજનો અને કલાકારોએ રડતી આંખે વિદાય આપી હતી.
ઘનશ્યામ નાયકની અંતિમ યાત્રામાં મુન મુન દત્તા, સમય શાહ, અબ્દુલનું પાત્ર ભજવતા શરદ સાંકલા સહિતના તારક મહેતા શોના અન્ય કલાકારો પણ જોડાયા હતા. અંતિમ યાત્રા પહેલા નટુકાકાના ઘરે કેટલીક વિધિ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે ઘનશ્યામ નાયકને જ્યારે કેન્સર થયું તે વાત સામે આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની અંતિમ ઈચ્છા છે કે તેમના અંતિમ શ્વાસ પણ કામ કરતાં કરતા લેવાય. આવું જ કંઈક થયું પણ છે. તેઓ છેલ્લે સુધી તારક મહેતા શો સાથે જોડાયેલા રહ્યા હતા. જ્યારે શોનું શૂટિંગ દમણમાં ચાલતું હતું ત્યારે તેઓ સેટ પર પહોંચ્યા હતા અને એક એપિસોડ શૂટ કર્યો હતો. આ સિવાય તેમણે અન્ય એપિસોડમાં પણ સીન આપ્યા હતા.
ઘનશ્યામ નાયકની કેન્સરની સારવાર ચાલતી હતી. તેમની તબિયત લથડતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે સાંજે સાડા પાંચ કલાકે છેલ્લા શ્વાસ લીધા હતા.