આ વખતે પહેલીવાર જોવા મળશે કોરોના કાળની નવરાત્રી, સોશિયલ ડિસ્ટંસ અને માસ્ક સાથે ગરબે ઘુમશે ખેલૈયા
કોરોના મહામારી ભારતમાં ત્રાટકી ત્યારથી લોકો તહેવારની ઉજવણી કરવા તરસી રહ્યા હોય તેવી સ્થિતિ છે. છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે એક તહેવાર તો મહામારીના ભય વિના અગાઉ ઉજવતા હતા તે રીતે ઉજવી શકાય. તેમાં પણ નવરાત્રીની ઉજવણી પર જે ગ્રહણ કોરોનાના કારણે લાગ્યું છે તેના કારણે તો ખેલૈયાઓ કોરોનાને કાળમુખો કહી રહ્યા છે.
કોરોનાના કારણે ગત વર્ષે પણ નવરાત્રીની ઉજવણી થઈ નહીં અને ખેલૈયાઓને નવરાત્રીના વીડિયો જોઈને જ સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ આ વખતે કોરોનાના કેસ ઘટતાં સરકારે થોડી રાહત આપી છે અને શેરી, ગરબા સહિતના આયોજનોને મર્યાદિત લોકોની હાજરી સાથે કરવા મંજૂરી આપી છે. ભલે નિયમો સાથે અને માસ્ક સાથે ગરબા રમવા પડે પણ આ વર્ષે તો લોકોને ગરબે ઘુમવું જ છે તો છૂટ મળી છે તો લોકો પણ તેના માટે તૈયારીઓ કરી રહ્યા છે.
આ વર્ષે સરકારે નિયમોનું પાલન કરીને ગરબે રમી શકાશે તેવી છૂટ આપી છે તો તેની સામે ગુજરાતભરના ખેલૈયાઓમાં ગરબા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના શહેરોમાં શેરી ગરબાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ સાથે જ ગરબાના શોખીન ખેલૈયાઓએ નવા સ્ટે્પ્સ શીખવા અને પ્રેક્ટિસ કરવા ડાન્સ ક્લાસ જોઈન કરી લીધા છે. છેલ્લા 2 વર્ષના સ્ટ્રેસનો થાક જાણે લોકો ઉતારી લેવા માંગતા હોય અને ગરબે ઘુમી આનંદ માણવા ઈચ્છતા હોય તેમ ગરબા ક્લાસમાં હાઉસ ફુલના જોવા મળી રહ્યું છે.
ગત બે વર્ષથી તો ખેલૈયાઓને માત્ર માતાની આરતી કરી, પૂજા કરીને સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ આ વખતે લોકો ગરબે પણ ઘુમી શકશે. તેના માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે. કોરોનાની બીજી લહેરનો અંત આવ્યા બાદ આ વર્ષે નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો ટાળે ઘટતા કેસને ધ્યાનમાં રાખી રાજ્યે સરકારે મહાનગરોમાં થતા અર્વાચીન ગરબાના આયોજનોને મંજૂરી આપી નથી પરંતુ શેરી ગરબા 400 લોકો સાથે કરવાની છૂટ છે. તેથી લોકો પોતાનો ગરબે ઘુમવાનો શોખ આ વર્ષે આ રીતે પણ પુરો કરી શકશે. જેની તૈયારીઓ ક્લાસીસમાં શરુ થઈ ગઈ છે. જો કે રાજકોટ, સુરત સહિતના શહેરોમાં સ્થાનિક તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં કોરોનાના કેસ હશે ત્યાં શેરી ગરબાને મંજૂરી મળશે નહીં.