ગુજરાતના મુખ્યમંત્રી પદને લઈને નીતિનભાઈ પટેલે પ્રતિક્રિયા આપતા કહી મોટી વાત
શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણી અચાનક રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાથી ગુજરાતના રાજકારણમાં જાણે ઝંઝાવાત સર્જાઈ ગયું છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ થી ગાંધીનગર સતત ધમધમી રહ્યું છે. શનિવાર સાંજથી જ ગાંધીનગરમાં કમલમ ખાતે એક પછી એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં સર્જાયેલી આ ઉથલપાથલ પર નજર રાખવા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ દિલ્હીથી ગુજરાત દોડી આવ્યા છે.
શનિવાર સાંજથી જ દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન છે કે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે. ગુજરાતના મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે કેટલાક કેન્દ્રીય અને રાજ્ય ના નેતાઓના નામ ચર્ચામાં હતા. તેવામાં શનિવારે સાંજે જ જેમને સીએમ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા તેવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક વીડિયો શેર કરી સ્પષ્ટ કરી દીધી કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદની રેસમાં નથી.
તેવામાં રવિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મીડિયા સાથેની વાતચીતમાં મોટી સ્પષ્ટતા કરી દીધી છે. સૌથી પહેલાં તો તેમણે એવી સ્પષ્ટતા કરી કે વિજય રૂપાણી રાજીનામું શા માટે આવ્યું તે અંગે તેમને કોઈ જ ટિપ્પણી કરવી નથી તેમણે રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં રહી આ નિર્ણય લીધો છે.
ત્યારબાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ મુખ્યમંત્રી બનશે ? ત્યારે તેમણે કહ્યું હતું કે મીડિયાને અનુમાન કરવાનો અધિકાર છે પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કોને બનાવવા તે પક્ષ નક્કી કરશે. મુખ્યમંત્રી બનવું એ કોઈ રેસ નથી. મીડિયા અત્યારે મુખ્યમંત્રી બનવાની રેસનું ચલાવી રહ્યું છે ત્યારબાદ મંત્રીમંડળનું ચલાવશે અને કોને કઇ જવાબદારી સોંપવામાં આવશે તેવી ચર્ચાઓ કરશે.
આ બધી જ બાબતો ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે. રાષ્ટ્રીય નેતૃત્વ માંથી જે કહેવામાં આવશે તેને બધા સ્વીકારશે. મુખ્યમંત્રી પદના દાવેદાર તેઓ છે કે નહીં તે વાતનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે આ કોઇ રેસ નથી કે જેના માટે ફોર્મ ભરવાનું હોય. મીડિયા બસ અનુમાન લગાવતું રહે કારણ કે નિર્ણય કરવાનો અધિકાર પાર્ટીનો છે અને પાર્ટી આ અંગે નિર્ણય કરશે.