આ તારીખથી રાજ્યમાં થશે સારો વરસાદ, જાણો કયા કયા વિસ્તારમાં થવાનો છે ધોધમાર વરસાદ
આ વર્ષે મેઘરાજા જાણે ગુજરાતથી રિસાયાા હોય તેમ રાજ્યભરમાં સરેરાશ ઓછો વરસાદ નોંધાયો છે. તેવામાં હવે ખેડૂતોની ચિંતા વધી છે અને લોકો પર પણ પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે આ ચિંતામાંથી મુક્તિ અપાવે તેવી જાહેરાત કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવતી કાલ એટલે કે 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરીથી ચોમાસુ સક્રિય થઈ શકે છે. ગત સપ્તાહ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
મહત્વનું છે કે હાલ સ્થિતિ એવી છે કે રાજ્યભરમાં સાર્વત્રિક સારો વરસાદ થાય તે ખુબ જરૂર છે. કારણ કે વરસાદ ખેંચાતા પાણી વિના ખેડૂતી વાવણી પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે. તેવામાં સ્વતંત્રતા પર્વ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતં કે આ વર્ષે ચોમાસાના પાણી પર જ ખેતીનો આધાર રાખવો પડશે કારણ કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. આ વાતથી ખેડૂતોની ચિંતા વધી છે.
આ સ્થિતિમાં હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર વરસાદ થશે તો ખેડૂતોનો પાક બચી શકે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ સ્વીકાર્યું છે કે આ વર્ષે રાજ્યમાં વરસાદ ઓછો થયો હોવાથી તમામ ડેમોમાં પણ માત્ર 30 ટકા પાણી જ છે. તેના કારણે ખેતી માટે પાણી આપી શકાય એમ નથી.
જો કે લાંબો સમય સુધી વિરામ લીધા પછી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું. રાજકોટ, અમરેલી સહિતના કેટલાક જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. તેવામાં 17 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે ત્યારે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ સિસ્ટમ એક્ટિવ થવાથી વરસાદ થાય તો રાજ્યમાં 47 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 ઓગસ્ટ બાદ થનાર વરસાદમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે છે.