રાજકોટમાં આ 4 સરકારી કર્મચારીએ 2 વીઘા પડતર જમીનમાં વાવ્યાં 3500 વૃક્ષ, આજે ઓળખાય છે ઓક્સિજનમેન તરીકે
5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. ત્યારે લોકો રાજકોટના ઓક્સિજનમેનની વાત કરી રહ્યા છે. રાજકોટ પાણીપુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર એચ.બી.જોધાણી સહિત 4 સરકારી કર્મચારીએ 2 વીઘા જમીનમાં 3500 વૃક્ષ વાવ્યા અને ન માત્ર વાવ્યા પણ જીવની જેમ એ વૃક્ષનું જતન પણ કર્યું. આજે ઓક્સિજન પાર્કમાં પરિવર્તિત થયેલા આ વૃક્ષો ખરેખર લોકો માટે પ્રેરણા સમાન છે. રાજકોટના વર્ગ-4ના ચાર કર્મચારીએ વૃક્ષો દ્વારા અપાતા પ્રાણવાયુનું મહત્ત્વ સમજી બે વીઘાની પડતર જમીનમાં 3500 દેશી વૃક્ષોને જીવની જેમ ઉછેરી જતન કર્યા છે. જેના કારણે આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર પાસે આવેલી પાણીપુરવઠા બોર્ડની જલભવનની કચેરી તમે જુઓ તો માત્ર હરિયાળી જ હરિયાળી જોવા મળી રહી છે.
આ કામ કરનાર રાજકોટ પાણીપુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર એચ.બી.જોધાણીએ વાત કરી હતી કે ગયા વર્ષમાં કોરોનાકાળના શરૂઆતમાં જ અમને વિચાર આવ્યો કે અમારી જલભવન હસ્તકની પડતર જમીનનો કંઈક એવા કામમાં કરવો છે કે જેના કારણે પર્યાવરણ માટે કંઈક કરી શકાય. પછી એમાં અમને સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટના નિવૃત્ત અધિકારી વરસાણીભાઈનો પણ અઢળક સહયોગ મળ્યો. વૃક્ષોનું વાવેતર તો થઈ ગયું, પરંતુ અમારી સામે તેના રોજના જતન, ઉછેરનો, પાણી પાવાનો, માલ ઢોરથી રક્ષણ આપવાનો અને ઝાડના મૂળ આસપાસમાંથી નીંદણ કાઢીને નિયમિત કામગીરી કરવાની સમસ્યા એટલી જ મોટી હતી.
આ સમસ્યાના સમાધાન વિશે વાત કરી કે આ કામનું બધું જ ભારણ ચોથા વર્ગના ત્રણ-ચાર કર્મચારીઓએ ઝીલી લીધો અને ખંતથી કચેરીનાં કામકાજની સાથે સાથે વિશેષ સમય ફાળવીને આ તમામ ઝાડ ઉછેરવાનું કામ કર્યું. કાર્યપાલક ઇજનેર આ વિશે વાત કરે છે કે આજે અમને અમારા કર્મયોગીઓ પર ગર્વ છે કે એક વર્ષમાં આ તમામ ઝાડ 10થી 15 ફૂટનાં થઈ ગયાં છે. જે જમીન એકદમ પડતર હતી એ જમીન જલભવનની હરિયાળી બની ગઈ છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પાણીપુરવઠા બોર્ડના કર્મયોગીઓએ પર્યાવરણના જતન માટેનું સામાજિક ઉત્તરદાયિત્વ સાચા અર્થમાં સાર્થક કર્યું છે.
આ સાથે જ જો ઈમાનદારીની વાત કરીએ તો ઝાડનો ઉછેર કરતા કર્મચારીઓ અને અધિકારીઓને એની ઉછેરની બાબતમાં સામેથી કોઈપણ કાર્ય કરવાનું કહેવું પડ્યું નથી. આ બાબતે જ્યારે પ્રતિભાવ પૂછવામાં આવ્યો ત્યારે કચેરીએ આવીને પહેલું કામ ઝાડ માટે પાણીની મોટર ચાલુ કરી ટપક સિંચાઈ પદ્ધતિથી ઝાડનો ઉછેર કરતા રમેશભાઈ ધરમશીભાઈ સનુરાએ વાત કરી હતી કે આ ઝાડને ઉછેરવામાં મને અનેરો આનંદ મળે છે. પહેલાં અહીં ઉજ્જડ જમીન હતી. આજે બધું લીલુંછમ જોઈને આંનદ થાય છે.
નારણભાઈ અને રાજેશભાઈ કે જેઓ પણ એક કર્મચારી છે એમને જણાવ્યું હતું કે અમે ઉમરો, જાંબુ, દાડમ અને લીમડો સહિતનાં દેશી વૃક્ષો વાવ્યાં છે. ઉમરાનાં વૃક્ષમાં તો ટેટા પણ વધારે આવ્યા હોવાથી બપોર પછી પક્ષીઓ અહીં આશરો લેતાં થયાં છે. પાણીપુરવઠા બોર્ડની કચેરી દ્વારા આ 3500 વૃક્ષોના જતન માટે અને તેમને નિયમિત પાણી મળે તેમજ પાણીની બચત થાય એેવા ઉમદા હેતુએ ડ્રિપ ઈરિગેશન અપનાવી છે, જેના કારણે અહીં એક અલગ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આવા જ બીજા એક કર્મયોગી અશોકભાઈ સાગઠિયા કહે છે, આજે આપણને ઓક્સિજનની તાતી જરૂર છે. આ ઝાડ ઓક્સિજન આપે છે. અમારી પાસે પડતર જમીન હતી એમાં વૃક્ષોનું વાવેતર થતાં અમે આ ઝાડ ઉછેરનો સંકલ્પ લીધો હતો. આગળ વાત કરતાં આ કર્મયોગી કહે છે કે વૃક્ષોને વાવી દીધા પછી ઉછેર કરવો મહત્ત્વનું હોય છે અને એ કામ ન થાય તો પરિણામ મળે નહીં. આ કામને અમે એક સત્કર્મ તરીકે ગણીને કર્યું છે. આજે એક વર્ષ પછી ઝાડ 10થી 15 ફૂટનાં થઈ ગયાં છે. પહેલાં અહીં જોવા મળતા ન હતા એ પોપટ, મોર, ચકલી તેમજ કોયલ સહિતનાં પક્ષીઓ બપોર પછી જલભવનમાં ઝાડ પર આવતાં થયાં છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!