ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા આદિવાસી સમાજના પ્રજાજનોને રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામા આવશે. આ શબ્દો હતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીના.. તેમણે આ મહત્વની જાહેરાત શબરી ધામ ખાતેથી કરી હતી.
ગુજરાતના પર્યટન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ દક્ષિણ ગુજરાતના ડાંગના શબરી ધામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, શબરીના વંશજોને ભગવાન શ્રી રામ સાથે જોડવા માટે ગુજરાત સરકાર અયોધ્યા ખાતે બનનારા ભગવાન શ્રી મંદિરના દર્શન કરવા જનારા દર્શનાર્થીઓને આર્થિક સહાર કરશે. જેમાં યાત્રી દીઠ 5000 રાજ્ય સરકાર ચુકવશે. અયોધ્યામાં રામમંદિરે દર્શન કરવા જનારને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
મહત્વનું છે કે પહેલા નોરતાથી રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી માતાના મંદિરથી શરૂ થયેલી આ યાત્રા નવરાત્રીના અંતે શબરી ધામ પહોંચી હતી. જ્યાં મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં રાજ્ય મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રાની જેમ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના દર્શન કરનારા ભક્તોને પણ સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે.
આ તકે સંબોધન કરતાં રાજ્ય મંત્રી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ પર પણ આંકરા પ્રકાર કર્યા હતા. કોંગ્રેસ પર નિશાન સાધ્યા હતા. તેમણે કોંગ્રેસ અને યુપીએ સરકારનું નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું હતું કે જે લોકો ભગવાન રામના અસ્તિત્વને નકારે છે અને રામ સેતુને કાલ્પનિક કહે છે, તેમને ભગવાન રામના અસ્તિત્વના વૈજ્ઞાનિક પુરાવા પણ મળ્યા છે. આ પતકે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે દેશ માટે મહત્વના અનેક કામો કર્યા છે. જેમાં કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવી અને બીલીમોરાથી વાઘાઈ સુધીની નેરોગેજ ટ્રેન ફરી શરૂ કરી છે. આ જગ્યા પણ આદિવાસીઓ માટે મહત્વ ધરાવે છે.
આ દરમિયાન પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના સાપુતારાને નર્મદામાં બનેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સર્કિટ દ્વારા જોડવામાં આવશે. આ પ્રસંગે તેમણે ડાંગમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા કરોડોના વિકાસના કામોનું અવલોકન પણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પ્રવાસન વિકાસ બોર્ડના ચેરમેન આર આર રાવલ પણ હાજર રહ્યા હતા.