કપૂર પરિવારે રિશી કપૂરને શ્રદ્ધાંજલિ અર્પી. દીકરી રિદ્ધિમાએ કહ્યું કે, મારા પિતા એક મજબૂત યૌદ્ધા, તમારી બહુ જ યાદ આવશે.
રિશી કપૂરના નિધન પર દીકરી રિદ્ધિમાને દિલ્હીથી મુંબઈ આવવાની પરવાનગી મળી ગઈ છે. રિશી કપૂરનું નિધન 30 એપ્રિલના રોજ 8.45એ મુંબઈમાં કોકિલાબેન હોસ્પિટલમાં થયું હતું.
દીકરી રિદ્ધિમાએ શૅર કરી ઇમોશનલ પોસ્ટ
દીકરી રિદ્ધિમાએ પિતાના નિધન પર ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરતાં કહ્યું હતું, પપ્પા, બહુ જ બધો પ્રેમ. તમને હંમેશાં પ્રેમ કરતી રહીશ. તમારી આત્માને શાંતિ મળે. તમે મારા મજબૂત યૌદ્ધા છો. તમે રોજ મને યાદ આવશો. હું રોજ ફેસટાઈમ કોલને મિસ કરીશ. આપણે ફરીવાર મળીશું. પપ્પા બહુ બધો પ્રેમ.
દિલ્હીથી આવવાની પરવાનગી મળી
સાઉથ-ઈસ્ટ દિલ્હીના ડીસીપી આર.પી.મીનાએ કહ્યું હતું કે, રિદ્ધિમાને તેના પતિ, દીકરી સાથે મુંબઈ આવવાની પરવાનગી આપવામાં આવી છે. તેમને આજે (30 એપ્રિલ) સવારે 10.45 વાગે પાંચ લોકોને દિલ્હીથી મુંબઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. હાલમાં ટ્રેન તથા ફ્લાઈટ્સ બંધ છે. આથી તેઓ કારથી દિલ્હીથી મુંબઈ જશે. દિલ્હીથી મુંબઈ 1400 કિમી દૂર છે અને રિદ્ધિમાને આવતા 24 કલાક જેટલો સમય થશે.
30 એપ્રિલની સાંજે અંતિમ સંસ્કાર થશે
રિશી કપૂરના આજે (30 એપ્રિલ) સાંજે મુંબઈના કાલબાદેવીના ચંદનવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
હોસ્પિટલમાં કપૂર પરિવાર
હાલમાં હોસ્પિટલમાં રણબીર કપૂર, નીતુ સિંહ, રણધીર કપૂર, રાજીવ કપૂર, રીમા જૈન, અરમાન જૈન, આદર જૈન, સૈફ અલી ખાન તથા અભિષેક બચ્ચન જેવા સેલેબ્સ હોસ્પિટલમાં હાજર છે.
રિશી કપૂરના નિધનના સમાચાર મળતાં જ આલિયા ભટ્ટ હોસ્પિટલ આવી હતી. તે રાત્રે પણ હોસ્પિટલ આવી હતી. સ્મશાનમાં પંડિતો પહોંચી ગયા છે અને અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
નીતુ કપૂરએ ઈમોશનલ પોસ્ટ શૅર કરી
નીતુએ પણ કપૂર પરિવારનો શોક સંદેશ ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો.
પરિવારની અપીલ, લૉકડાઉનના કાયદાનું પાલન કરો
રિશી કપૂરના અવસાનના સમાચાર મળ્યા બાદ તેમના કેટલાય તેમના ચાહકો હૉસ્પિટલ બહાર પહોંચી ગયા હતા. લોકડાઉનનું પાલન કરાવવા માટે એકઠી થતી લોકોની ભીડને ઓછી કરવા મુંબઇ પોલીસે રિશી કપૂરના ફેન્સને ઘરે પરત જવાની સલાહ આપી છે. હૉસ્પિટલની આસપાસ 100 મીટર સુધીનો માર્ગ ખાલી કરાવી દીધો છે. કોઇને પણ હૉસ્પિટલમાં જવાની પરવાનગી નથી.
હાલમાં હોસ્પિટલમાં બેરીકેડ્સ લગાવી દેવામાં આવ્યા હતાં. લૉકડાઉનની ગાઈડલાઈન પ્રમાણે, અંતિમ સંસ્કારમાં 20થી વધુ માણસો સામેલ થશે નહીં. 29 એપ્રિલે ઈરફાન ખાનના અંતિમ સંસ્કારમાં 20 લોકોને જવાની પરવાનગી મળી હતી. કપૂર પરિવારે ચાહકોને અપીલ કરી હતી કે તેઓ લૉકડાઉનના કાયદાનું પાલન કરે.