સરકારની ગંભીર વિચારણા: માત્ર અમદાવાદમાં જ નહિં, પણ આ 3 મહાનગરોમાં પણ આવી શકે છે શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ, સાથે આ દુકાનો પણ થઇ શકે છે બંધ
થોડા દિવસ પહેલા અમદાવાદમાં 57 કલાકનો સંપૂર્ણ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાજ્યના ચાર મહાનગરોમાં હાલ રાત્રિ દરમિયાન કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા વિચારી રહી છે. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરમાં શનિવાર અને રવિવારના દિવસે સંપૂર્ણ કર્ફ્યૂ અમલી બનાવાશે. તદુપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનો મોટે પાયે ભંગ થતો જોવા મળે છે તેવા પાનના ગલ્લા, ચાની કીટલી, નાસ્તા અને પાણીપૂરીની લારી તેમજ સ્ટ્રીટ ફૂડનાં આઉટલેટ્સ પર પણ સદંતર પ્રતિબંધ મુકાઈ શકે છે.
ગુરૂવારે લેવાશે આખરી નિર્ણય
હાલ આ મુજબની સત્તાવાર જાહેરાત કરાઇ નથી, પરંતુ ગુરુવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે. દરમિયાન રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું છે કે રાજ્યમાં ફરી લૉકડાઉનના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચાર ખોટા છે અને સરકારની આવી કોઈ વિચારણા નથી.
અમદાવાદમાં 3 હોસ્પિટલોમાં બેડ વધાર્યા
અમદાવાદમાં દિવાળીના તહેવારોના બાદ કોરોનાના કેસોમાં વિસ્ફોટ થયો છે. રોજેરોજ વધી રહેલાં કેસોને પહોંચી વળવા સરકાર અને મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલની નજીક આવેલી હોટેલો અને હોસ્ટેલના બિલ્ડીંગમાં કોરોનાના બેડ ઉભા કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઉપરાંત વધુ છ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ નક્કી કરાઈ છે. આમ કુલ 534 બેડને આજે વધારવામાં આવ્યા છે.
હોટેલમાં ઉભા કરાયેલા કોવિડ સેન્ટરોમાં દર્દીને રખાશે
રાજ્યના અધિક મુખ્ય સચીવ ડૉ. રાજીવ ગુપ્તા, કમિશનર મુકેશકુમાર વગેરેની મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે, જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મહત્તમ બેડ પ્રાપ્ત થાય તે માટે પ્રયાસો હાથ ધરવાનું નક્કી કરાયું છે.ઉપરાંત જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ના હોય પરંતુ તેમના ઘરમાં આઈસોલેશનની સુવિધા ના હોય તો તેમને હોટેલમાં ઉભા કરાયેલા કોવિડ સેન્ટરોમાં રાખી શકાશે. જે દર્દીને ઓક્સીજન કે વેન્ટીલેટરની જરૂર નથી તેમને આવા સેન્ટરમાં રખાશે. આવા 4 સેન્ટરો ઉભા કરાયા છે.
અમદાવાદ સહિત મહાનગરોમાં 55 હજાર કોરોનાનાં બેડ છે, એમાંથી 45,000 ખાલી- રૂપાણી
મુખ્યમંત્રીએ અગાઉ વડાપ્રધાન સાથેની કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારીને 55,000 કરાઇ છે, એમાંના 82 ટકા એટલે 45 હજાર બેડ ખાલી છે. કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે ધનવંતરી રથની સંખ્યા વધારીને 1700 કરાઇ છે. અમદાવાદ શહેરમાં 125થી વધુ કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં અત્યારસુધીમાં અંદાજે 11 લાખ ટેસ્ટ થયા છે, જ્યારે રાજ્યમાં રોજના 70 હજાર આસપાસ ટેસ્ટ થઇ રહ્યા છે. લગ્નો અને જાહેર સમારોહમાં પણ લોકોની સંખ્યામર્યાદા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે.
છ વધુ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે હસ્તગત કરવામાં આવી
આ ઉપરાંત 3 હોસ્પિટલોમાં બેડમાં વધારો કરવામાં આવ્યો છે, તેમજ છ વધુ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે હસ્તગત કરવામાં આવી છે. આ તમામ પ્રયત્નોના કારણે વધુ 534 બેડનો વધારો થશે. આ ઉપરાંત રેપિડ ટેસ્ટની સંખ્યા વધારવા અને ઘેર-ઘેર સર્વેક્ષણની બાબત પર પણ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લેવાયો હતો.
પરિસ્થિતિ બદલાયા બાદ કર્ફ્યૂ હટાવવામાં આવશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભર્યાં છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.
કઇ હોટેલમાં કેટલા બેડ ?
વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ
અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ મામલે વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા લાવી સારવાર અપાશે. આજવા ગામમાં આવેલી પાયોનિયર ગ્રૂપની ન્યૂ લાઈફ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. હોસ્પિટલમાં પથારી, તબીબો, નર્સિંગ સહિત સ્ટાફ તૈયાર કરાઈ છે.
વડોદરામાં સ્થિતિ બગડી શકે
હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન અને વેન્ટિલેટરની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. શહેરના 42 તબીબોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલાતા વડોદરામાં સ્થિતિ બગડી શકે છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે.
અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવી
સીએમ રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવી છે. હાલમાં લગભગ 55 હજાર આઈસોલેશન બેડ ઉપલબ્ધ છે, જેમાં 82 ટકા એટલે કે લગભગ 45 હજાર બેડ ખાલી છે. કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 108ની એમ્બ્યુલન્સ સેવા વધુ પ્રભાવી બનાવવામાં આવી છે, જેથી કરીને કોરોના સંક્રમિત દર્દીઓને યોગ્ય હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળી રહે. આ ઉપરાંત 104 હેલ્પલાઈન દ્વારા લોકોને ઘરે બેઠા કોવિડ સંબંધિત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનો અત્યારસુધીમાં 2 લાખ 78 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે.
કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે 1100 ધનવંતરી રથ કાર્યરત હતા, જેની સંખ્યા વધારીને 1700 કરવામાં આવી છે. આ રથ દ્વારા ડોર સ્ટેપ ઓપીડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે ખૂબ લોકપ્રિય બની છે. આ સેવાનો અત્યારસુધીમાં 1.52 લાખ લોકોએ લાભ લીધો છે, જેમાં શરદી, ઉધરસ સહિત વિવિધ રોગોના દર્દીઓ સામેલ છે.
કોરોના દર્દીઓ છેક વડોદરા સુધી લંબાશે
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ માટે બેડ ખુટી પડ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાથી હવે આણંદ, કરમસદ કે ગાંધીનગરની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદના કોરોના દર્દીઓ છેક વડોદરા સુધી લંબાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત