લોકડાઉન વચ્ચે અંકલેશ્વરમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 4 જગ્યાઓએ શાક માર્કેટની વ્યવસ્થા કરાઈ છે. જેમાં શાકવાળા માટે ઊભવાની જગ્યા પણ એવી રીતે ગોઠવાઈ છે કે એક જગ્યાએ ભીડ એકત્ર થાય જ નહીં.
અંકલેશ્વરમાં જીનવાલા સ્કૂલ કંપાઉંટમાં 10, 10 ફૂટની દૂરી પર 60 રેકડીવાળાને ઊભા રાખવામાં આવ્યા છે. એક રેકડી પાસે પણ માત્ર 5 વ્યક્તિ જ ઊભે તેવી સુચના આપવામાં આવી છે. આ વ્યવસ્થાનું પાલન પણ શાકવાળા સારી રીતે કરી રહ્યા છે.
લોકડાઉન છે તેવામાં જિલ્લા પ્રશાસન શાક વેંચનારાઓને આ રીતે સુવ્યવસ્થિત રીતે ઊભા રહેવા અને સામાજિક અંતર જળવાય તેનું ખાસ ધ્યાન રાખવા વારંવાર સુચનાઓ આપે છે. પરંતુ ઘણા શહેરોમાં શાકભાજીની માર્કેટમાં એવા દ્રશ્યો જોવા મળે છે જે લોકડાઉનના લીરેલીરા કર્યાની ચાડી ખાતા હોય છે. તેવામાં અંકલેશ્વરની આ શાક માર્કેટએ ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. અહીં લોકોએ પણ આ વ્યવસ્થાને જાળવી છે.
આ વ્યવસ્થા પણ અહીંના સ્થાનિક તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. અહીં સ્કૂલ ગ્રાઉન્ડ ઉપરાંત મિશન કંપાઉન્ટમાં પણ 200 રેકડીઓને ઊભી રાખવામાં આવી છે. તંત્રએ કરેલા આ કામની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. સૌ કોઈ આ વ્યવસ્થાને સામાજિક અંતરનું ઉત્તમ ઉદાહરણ ગણી રહ્યા છે અને આ કામને બિરદાવી રહ્યા છે.
ખાસ વાત તો એ છે કે અહીં આ પહેલો દિવસ નથી. અહીં છેલ્લા કેટલાક દિવસોથી આ જ વ્યવસ્થા છે અને તેનું સુચારુ રીતે પાલન લોકોએ પણ કર્યું છે. લોકો ખરીદી સમયે સામાજિક અંતરનું ખાસ ધ્યાન રાખે છે. આ ઉપરાંત ચૌટાબજાર, એશિયાજ નગર અને દીવા રોડ પર પણ હંગામી માર્કેટ તૈયાર કરાયા છે અને ત્યાં પણ આ રીતે નિયત કરેલી દૂરી પર રેકડીઓને ઊભી રાખવામાં આવી છે.
આ સિવાય ભરુચમાં સેવાશ્રમ અને શક્તિનાથમાં પણ સોશિયલ ડિસ્ટંસ મેઈન્ટેઈન કરી રેકડીઓ ઊભેલી જોવા મળી હતી. આ વ્યવસ્થાનું પાલન થાય તે વાતની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.