1 લાખમાંથી 2-3 કેસ હોય આવા, સુરતની સગર્ભાની અચાનક રાત્રે બેભાન થઈ ગઈ અને ફાટી ગયું હૃદય
ગર્ભાવસ્થા એવો સમય હોય છે જ્યારે એક મહિલાએ માત્ર પોતાનું જ નહીં તેની અંદર ઉછરી રહેલા અન્ય એક જીવનનું પણ ધ્યાન રાખવાનું હોય છે. ગર્ભાવસ્થાનો સમય ખૂબ જ સંવેદનશીલ પણ હોય છે. તેમાં પણ શરુઆતના મહિનાઓમાં સ્ત્રીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ઘરના વડિલો પણ સલાહ આપતા હોય છે કે શરુઆતના સમયમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ સમય ખૂબ નાજુક હોય છે.
તાજેતરમાં જ સુરતમાં પણ એક એવી ઘટના બની જે લાખો દર્દીમાં એકવાર જોવા મળતી હોય છે. સુરતમાં એક સગર્ભાનું હૃદય ફાટી જવાથી મોત થયું હતું. જો કે ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની હતી જેમાં સગર્ભાનું મોત હૃદય ફાટી જવાથી થયું હોય. આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે આવો કિસ્સો 1 લાખમાં 2 કે 3 સાથે બને છે. સુરતની સગર્ભાનું મોત થયા બાદ ભારે ચકચાર મચી હતી અને આ કેસને અભ્યાસ રુપી કેસ ગણવામાં આવી રહ્યો છે.
આ અંગે સુરતની સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર સંદીપે કહ્યું હતું કે ગર્ભાવસ્થાના શરુઆતના 6 મહિનામાં સગર્ભાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન નિયમિત રીતે ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્યની સાથે માતાના હાર્ટનું ચેકઅપ પણ થવું જરૂરી છે. આ કામમાં સોનોગ્રાફી અને 2ડી ઈકોના રિપોર્ટ મહત્વના સાબિત થઈ શકે છે. આ સાથે જ મહિલાઓની ગર્ભાવસ્થામાં ખોરાક સાથે ઊંઘ, કસરતનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. આ કેસ સામે આવ્યા બાદ નિષ્ણાંતોનું માનવું છે કે જેમ આ રેર કેસ બન્યો તેમ પ્રસૂતિ સમયે પણ હૃદય ફાટી જાય તેના જોખમને નકારી શકાય નહીં.
ડોક્ટરના જણાવ્યાનુસાર જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભાને હાથ-પગ પર સોજા આવે, બ્લડ પ્રેશર વધ ઘટ થાય કે પછી ધબકારા વધી જાય તેવું થતું હોય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી. આ લક્ષણોને અવગણવા જોઈએ નહીં.
મહત્વનું છે કે તાજેતરમાં જ 25 વર્ષીય યોગિતા નામની સગર્ભાનું હૃદય ફાટી જવાથી મોત થયાની ઘટના બની હતી. યોગિતાને સંતાનમાં 3 વર્ષની દીકરી હતી અને આ તેની બીજી ગર્ભાવસ્થા હતી. તેને છ માસનો ગર્ભ હતો અને અચાનક તે રાત્રે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી તો ડોક્ટરે તેને મૃત જાહેર કરી. ત્યારબાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ સ્મિમેર હોસ્પિટલના ડોક્ટર સંદીપે ઓપરેટ કર્યું હતું.