ગણેશ ઉત્સવ પૂર્ણ થયો અને હાલ શ્રાદ્ધ ચાલી રહ્યા છે. શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થતાની સાથે જ નવરાત્રી અને ત્યારબાદ દિવાળીનો પર્વ આવશે. આ તહેવારો એવા છે જ્યારે લોકો સૌથી વધુ ઉત્સાહમાં જોવા મળે છે. તેમાં પણ કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી દિવાળી અને નવરાત્રીની ઉજવણી ફીક્કી થઈ હતી ત્યારે આ વખતે લોકોમાં વધારે ઉત્સાહ છે. તેનું કારણ છે કે આ વર્ષે તહેવાર ટાળે દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. જો કે કેસ ઘટી રહ્યા છે પરંતુ તેમ છતાં કોરોનાનું જોખમ ઓછો થયું નથી.
સરકારને ચિંતા છે કે આગામી તહેવારોની સીઝનમાં જો તકેદારી રાખવામાં નહીં આવે તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે. તેથી આગામી બે મહિના માટે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તેવામાં હવે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નવી કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ અંગે જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનું જોખમ હજુ પણ હટ્યું નથી. કેટલાક રાજ્યોમાં અત્યારે સંક્રમણમાં તેજી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે જે રાજ્યોમાં પ્રતિબંધ હળવા કરવામાં આવી રહ્યા છે ત્યાં પણ સંક્રમણને લઈને ચેતવણી આપવામાં આવી છે.
આગામી બે મહિના દરમિયાન તહેવારોનું વાતાવરણ રહેશે. આવી સ્થિતિમાં કેન્દ્રએ કોરોનાને લઈને સતર્ક રહેવાની સલાહ આપી છે અને કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે. આરોગ્ય સચિવે કહ્યું કે 21 સપ્ટેમ્બર 2021 ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક નવી SOP આપી દેવામાં આવી છે.
આરોગ્ય સચિવના જણાવ્યા મુજબ કન્ટેનમેન્ટ ઝોન તરીકે જે વિસ્તારોને શોર્ટ લિસ્ટ કર્યા છે ત્યાં સંક્રમણ અટકાવવા માટે આવા વિસ્તારોમાં સામૂહિક મેળાવડા ટાળવા પડશે. જે વિસ્તારોમાં સંક્રમણનો દર 5 ટકાથી ઓછો હશે ત્યાં જ જાહેર કાર્યક્રમનું આયોજન કરી શકાશે અને તે કરતા પહેલા પણ આગોતરી પરવાનગી લેવી જરૂરી રહેશે. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે આગામી બે મહિના માટે સાપ્તાહિક કેસમાં પોઝિટિવિટી રેટના આધારે વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે અને પ્રતિબંધો લાદવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં સમગ્ર દેશે કોરોનાનું વિનાશક સ્વરૂપ જોયું જેમાં સંક્રમણના દરમાં ભયજનક વધારો જોવા મળ્યો હતો. લોકોને હોસ્પિટલો અને ઓક્સિજન માટે ભટકવું પડ્યું હતું. મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 ના સંક્રમણને રોકવા માટે ફરી એકવાર કડક લોકડાઉન લાદવું પડ્યું હતું. ત્યારબાદથી હાલ સ્થિતિમાં થોડો સુધારો થયો છે અને મૃત્યુ દર પણ થોડો ઘટ્યો છે. જો કે હજુ પણ કેરળ, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળે છે. આવી સ્થિતિમાં આરોગ્ય મંત્રાલય તહેવારોની સીઝનમાં કોઈ બેદરકારી ઈચ્છતું નથી.