કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન જે શ્રમિક વર્ગ છે જે રોજનું કમાઈને રોજ ખાય છે તેમને બે સમયનું જમવાનું મળવાની પણ સમસ્યા સર્જાઈ છે તેવામાં કેટલાક લોકો પોતાની લોભી વૃતિ છોડતા નથી.
રાજ્યમાં કોઈ ભૂખ્યા ન રહે તે માટે ગુજરાત સરકાર તરફથી એક યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ હતો કે શ્રમિકો ભૂખ્યા ન રહે. ગુજરાત સરકાર જરૂરીયાત મંદ લોકોના ઘર સુધી અનાજ પહોંચાડી રહી છે. આ ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓ પણ લોકોને જરૂરી વસ્તુઓની કીટની મદદ કરે છે. આવી સહાય ખરેખર જેમના માટે છે તેમના કરતાં વધારે લાભ ઠગ સાધુ સેવા લોકો લેવા લાગ્યા છે. આ જ કારણ છે કે સરકારની ટીમ જ્યારે અનાજ આપવા જાય છે તો ઘરની ચકારણી કરે છે.
આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી હતી. જેમાં એક દંપતિએ સરકારએ જાહેર કરેલા કંટ્રોલ રુમના નંબર પર ફોન કરી કહ્યું કે તેમને અનાજની જરૂર છે તેમના ઘરમાં ખાવા માટે કંઈ જ નથી. ટીમ આ ફોન આવ્યા બાદ તેમના ઘરે પહોંચી તો ખરી પરંતુ તેમનું ઘર જોઈ તેમને શંકા ગઈ. કારણ કે આ દંપતિ અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પર આવેલા સચિન ટાવરમાં રહેતા હતા.
આ ફ્લેટની કીંમત પણ દોઢ કરોડ જેટલી છે. અહીં રહેતા દીપક શાહ અને કિરણ શાહે કંટ્રોલ રુમમાં ફોન કર્યો હતો. ફોન આવતાં વેજલપુર સીટીના તાલુકા કાર્યાલય દ્વારા તેમના ઘરે ભોજન, કરીણાયાની કીટ અને ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ પોશ વિસ્તારના મોંઘા ફ્લેટમાં જ્યારે ટીમએ તપાસ્યું તો ત્યાંથી ભરપૂર અનાજ અને કરીયાણું મળ્યા હતા.
આ દંપતિ પાસે બધું જ હોવા છતાં સરકાર ફ્રીમાં આપે છે તો અનાજ ભંડારમાં ભરી લો તેવી ગણતરીથી સામાન મંગાવતા હતા. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટરના આદેશથી દંપતિને નોટિસ ફટકારવામાં આવી છે અને કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે. ટીમે કરેલી પુછપરછમાં જાણવા મળ્યું કે કિરણ શાહ સેવા નિવૃત શિક્ષિકા છે અને તેનો દીકરો પણ નોકરી કરે છે. તેમણે સરકારએ જે એપીએલ -1 કાર્ડ ધારકો માટે ફ્રી અનાજની યોજના મુકી હતી તેમાંથી પણ મફત અનાજ લીધું હતું.