ભારતએ પરત બોલાવ્યા અફઘાનિસ્તાનથી સુરક્ષા દળના જવાનોને, વધી ગઈ આતંકી હુમલાની આશંકા
કોરોનાના મારથી દેશની પ્રજા ત્રાહીમામ પોકારી ઊઠી છે. લોકડાઉન થવાથી લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે અને લોકો માટે અનેક સમસ્યા ઊભી થઈ છે. તેવામાં આતંકી હુમલાની દહેશત પણ વધી છે. તાજેતરમાં જ ભારતએ અફઘાનિસ્તારના હૈરાત અને જલાલાબાદના ભારતીય કોન્સુલેટની સુરક્ષામાં તૈનાત આઈટીબીપીના જવાનો અને અન્ય સ્ટાફને સ્વદેશ બોલાવી લીધા છે.
અફઘાનિસ્તાનમાં ભારતીય કોન્સુલેટની સુરક્ષા આઈટીબીપીના હાથમાં છે પરંતુ કોરોનાના જોખમના કારણે ભારતએ પોતાના જવાનોને પરત બોલાવ્યા છે. તેમને લાવવા માટે 7 એપ્રિલએ વાયુ સેનાનું વિમાન ગયું હતું. આ સાથે જ આઈએસઆઈએસની નજર હવે ભારતીય કાન્સુલેટ પર પડે તેવી ભીતી છે.
તાજેતરમાં જ અહીં એક ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આતંકીઓએ બેફામ ગોળીબાર કર્યો હતો જેમાં 25 લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસએ લીધી હતી. તેવામાં હવે ભારતીય કોન્સુલેટ પર પણ આતંકી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે તેમ ગુપ્તચર એજન્સીઓને ભીતી છે.
આ હુમલો કરનાર ત્રણ આતંકીઓમાંથી એક ભારતીય હોવાનું પણ જાણવા મળ્યું છે. આઈએસઆઈએસમાં તેનું નામ અબુ ખાલિદ અલ હિંદી હતું. જો કે તેનું સાચું નામ મુહમ્મદ મુહસિન હોવાનું બહાર આવ્યું છે. આ વ્યક્તિ મૂળ કેરળનો રહેવાસી હતો. તે થોડા સમય પહેલા જ આતંકી સંગઠન આઈએસઆઈએસમાં જોડાયો હતો. આઈએસઆઈએસએ તેની પ્રોપેગેન્ડા મેગેઝીન અલ નાબામાં તેની તસવીર પણ છાપી હતી.
મહત્વપૂર્ણ છે કે અફઘાનિસ્તાનથી જે જવાનો પરત આવ્યા છે તેમને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જેથી તેમને ચેપથી બચાવી શકાય. જેથી તેઓ સ્થિતિ સામાન્ય થતા ભારતની રક્ષા અને પોતાની ફરજ પર ભયમુક્ત થઈ પરત ફરી શકે.