કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન,બાકી વિસ્તારોમાં 8 જૂનથી ખુલી શકશે, વાંચો વધુ વિગતો
અનલોક ૧.૦ / કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન યથાવત, અન્ય વિસ્તારોમાં 8 જૂનથી શરતી અનલોક લાગુ થશે.
• લોકડાઉનનો પાંચમાં તબક્કો અનલોક ૧.૦ના નામે આપી શરતો સાથે ત્રણ તબક્કામાં લાગુ
• જો કે કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જુન સુધી લોકડાઉન યથાવત રહેશે.
• અનલોક ૧.૦ ત્રણ તબક્કામાં લાગુ થશે, કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તાર સરકારની ગાઇડલાઇન પ્રમાણે ખુલશે.
• રાજ્ય સરકાર પરિસ્થિતિના આધારે જરૂર મુજબ પ્રતિબંધ અને છૂટછાટ આપી શકે છે.
૩૧મી મેના દિવસે જયારે લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થયો છે, ત્યારે સરકાર લોકડાઉનને આગળ વધારવાના પક્ષમાં છે. પણ દેશના અર્થતંત્ર અને લોકોની જરૂરીયાતને ધ્યાનમાં લઈને સરકારે લોકડાઉનના પાંચમાં તબક્કાને વધુ છૂટછાટ સાથે અનલોક ૧.૦ નામ આપીને ત્રણ તબક્કામાં લોકો માટે ખુલ્લું મુક્યું છે.
સરકારે અનલોક એટલે કે લોકડાઉનના પાંચમાં તબક્કા માટે જે ગાઈડલાઈન બહાર પાડી છે એ મુજબ કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સરકાર તબક્કાવાર છૂટછાટ આપશે. જો કે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન ૩૦ જુન સુધી યથાવત રહેશે, એ સિવાયના વિસ્તારો તબક્કાવાર ખુલી જશે. જો કે કન્ટેનમેન્ટ ઝોનમાં પણ જરૂરિયાતની ચીઝવસ્તુઓ માટે છૂટછાટ આપી દેવામાં આવી છે.
લોકડાઉન (અનલોક ૧) તબક્કાવાર આ પ્રમાણે રહેશે.
૧. પહેલો તબક્કો – ૮ જુનથી
સરકારની ગાઈડલાઈન પ્રમાણે ૮ જુન પછી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્તરાં, શોપિંગ મોલ અને હોસ્પિટાલિટીની સર્વિસ શરુ થઇ શકશે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલય આ છૂટછાટ માટે વ્યવસ્થિત શરુ કરવાના નીતિનિયમો જાહેર કરશે જેથી આ જગ્યાઓ પર સામાજિક અંતર જળવાય.
૨. બીજો તબક્કો
બીજા તબક્કામાં સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ રાજ્ય સરકારની સલાહ બાદ શરુ થશે. જો કે વધુમાં આ અંગેનો નિર્ણય રાજ્ય સરકાર માતા-પિતા અને સંસ્થા સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી નિર્ણય કરી શકે છે. આ અંગે મળેલા સલાહ સૂચનો ધ્યાનમાં લઈને આ સંસ્થાઓ ખુલવા અંગે જુલાઇ મહિનામાં નિર્ણય લેવાઇ શકે છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલય આ છૂટછાટ માટે વ્યવસ્થિત શરુ કરવાના નીતિનિયમો જાહેર કરશે.
૩. ત્રીજો તબક્કો
ત્રીજા તબક્કામાં અન્ય સેવાઓ શરૂ કરવાના નિર્ણય એ સમયની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ લેવાશે. જેમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો, મેટ્રો રેલ, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિએટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને આ પ્રકારની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે. જો સ્થિતિમાં સુધાર આવશે તો સામાજિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, ધાર્મિક તેમજ અન્ય મોટા મેળાવડામાં પણ રાહત મળી શકશે.
અન્ય શરતો અને નિયમો
લોકોની અવરજવર પર કોઈ બંધન નહિ રહે – અનલોક તબક્કામાં મોટી રાહત એ રહેશે કે હવે બે રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર લોકોના અવરજવર તેમજ સામાનની અવરજવર પર કોઇ પ્રકારના પ્રતિબંધ રહેશે નહીં. આ પ્રકારની અવરજવર માટે હવે કોઇ જાતની મંજૂરી કે પરમિટની જરૂર પડશે નહી.
રાત્રી દરમિયાન સંપૂર્ણ કર્ફ્યૂ – અનલોકમાં ઘણી છૂટછાટ સાથે જ આખાય દેશમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી થનારી અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સમય દરમિયાન જરૂરી સેવાઓને છોડીને કોઇ પણ પ્રકારની અવરજવર થઇ શકશે નહી. જો આવી કોઈ અવરજવર થશે તો જે તે સ્થળે સ્થાનિક વહીવટીતંત્ર તેના અધિકારક્ષેત્રમાં CRPC કલમ 144 અંતર્ગત કાયદો લાગૂ કરી શકશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન યથાવત
અનલોકમાં અનેક છૂટછાટ છતાં કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 30 જૂન, 2020 સુધી યથાવત રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા-નિર્દેશો ધ્યાનમાં લઈને જિલ્લા અધિકારી દ્વારા કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામા આવશે. આ નક્કી કરાયેલા ઝોનમાં જરૂરી સિવાય કોઈ છૂટછાટ રહેશે નહી. મેડિકલ આપતકાલીન સેવા અને અન્ય જરૂરી સેવાઓની આપ-લે સિવાય અહીં અવરજવર પર સંપૂર્ણ બંધ રહેશે. જાહેર થયેલા ક્ન્ટેનમેન્ટ ઝોનમાં ઉંડાણપૂર્વકનું નિરીક્ષણ કરવામાં આવશે તેમજ ઘરે ઘરે જઇને દેખરેખ પણ રાખવામાં આવશે. જરૂરીયાત મુજબના મેડકિલ નિર્ણયો પણ સ્થાનિક તંત્ર દ્વારા લેવામા આવશે.
કન્ટેનમેન્ટ ઝોન બહાર બફર ઝોનની ઓળખ કરાશે
અનલોક દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની બહાર બફર ઝોનની ઓળખ કરવામાં આવશે. આ એવા વિસ્તારો હશે જ્યાં નવા કેસ આવવાનો ડર વધારે છે. જરૂર જણાતા બફર ઝોનમાં પણ લોકડાઉનના પ્રતિબંધ યથાવત રાખવામાં આવશે. જો કે કેન્દ્ર દ્વારા આપેલા નિર્દેશો મુજબ વિસ્તારોની પરિસ્થિતિ પ્રમાણે રાજ્ય સરકારને કન્ટેનમેન્ટ ઝોનની બહાર પણ અમુક ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકવાનો અધિકાર રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત