આ રીતે જામનગરમાં રોટલાથી કરવામાં આવે છે આગાહી, જાણી લો તમે પણ આજે
વરસાદની આગાહી કરતી આ અનોખી રીત વિષે તમે ક્યારેય નહીં જાણ્યું હોય – જામનગરમાં રોટલાથી કરવામાં આવે છે ચોમાસાની આગાહી – જાણો કેવી રીતે
દર વર્ષે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા, જ્યોતિષ શાસ્ત્ર દ્વારા, ટીટોડીના ઇંડા દ્વારા ચોમાસું કેવું રહેશે તે વિષેની આગાહીઓ થતી હોય છે. હવામાન વિભાગ પણ અત્યાધુનિક ઉપકરણો છતાં પણ વરસાદની ચોક્કસ ભવિષ્વાણી કરવામાં ઘણીવાર નિષ્ફળ સાબિત થાય છે. પણ સદીઓ પહેલાં જ્યારે હવામાન વિભાગ નહોતો અત્યાધુનિક ઉપકરણો નહોતા ત્યારે પણ ચોમાસાની ભવિષ્યવાણી તો કરવામાં આવતી જ હતી.
ગુજરાતના જામનગરમાં પણ એક અનોખી રીતે ચોમાસાની એટલે કે વરસાદની આગાહી કરવામાં આવે છે. અને આ પરંપરા અહીં આજકાલની નથી પણ છ સદીઓથી એટલે કે છસ્સો વર્ષથી ચાલતી આવી છે. અને અહીં રોટલાથી આવનારું ચોમાસું કેવું રહેશે તેની ભવિષ્યવાણી કરવામાં આવે છે.
અહીં જામનગર નજીકના આમરા ગામમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં આવેલા ભમરિયા કૂવા પર એક વિધિ કરવામાં આવે છે જેમાં કૂવામાં રોટલા પધરાવવામાં આવે છે. અને તે રોટલા પરથી ગામમાં કેવો વરસાદ રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. આ પરંપરા સંપૂર્ણ વિધિવત કરવામાં આવે છે. અને આખુંએ ગામ આ વિધિમાં હાજર થાય છે. તો ચાલો જાણીએ ક્યારથી શરૂ થઈ આ પરંપરા અને ક્યારથી કરવામાં આવે છે આ વિધિ.
જામનગર દ્વારકાના મુખ્ય માર્ગ પર આમરા ગામ આવેલું છે અહીં દર વર્ષે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવવામાં આવે છે અને તે રોટલો જે દિશા તરફ વહે છે તેના પરથી આખાએ ચોમાસાનો ક્યાસ લગાવવામાં આવે છે. આ વિધિને ગામના લોકો ધામધૂમથી કરે છે. ગામના લોકો ઢોલ નગારા સાથે ભેગા થાય છે, અને જાણે કોઈ મોટો ઉત્સવ હોય તેવો માહોલ સર્જાય છે. કોઈ તહેવારની જેમ જ આ વિધિને કરવામાં આવે છે અને ગ્રામજનો નવા વસ્ત્રો પહેરીને આ ઉત્સવમાં શામેલ થાય છે.
સદીઓ જુની આ પરંપરામાં ગામમાં રહેતા સથવારા પરિવારના વૃદ્ધ મહિલા દ્વારા બાજરીનો રોટલો ઘડવામાં આવે છે. અને તે રોટલાને ગામના વાળંદના હાથે મંદીર સુધી લઈ જવામાં આવે છે ત્યાર બાદ અહીં આવેલા ભમરિયા કૂવાના કાંઠે આવેલ સતી માતાજીના મંદિરમાં પૂજા વિધિ કરવામાં આવે છે તેમજ કેટલીક વિધિ પણ કરવામાં આવે છે. બધી જ વિધિ પૂર્ણ થયા બાદ ગામના ક્ષત્રિય પરિવારના કોઈ એક સભ્યના હાથે ભમ્મરિયા કૂવામાં આ રોટલાને પધરાવવામાં આવે છે.
ક્યારથી શરૂ થઈ આ પરંપરા
ઉપર જણાવ્યું તેમ આ પરંપરા ઓછામાં ઓછી 600 વર્ષ જૂની છે. અહીં રોટલો કૂવામાં નાખ્યા બાદ રોટલો જે દિશામાં વહે છે તેને આધારે ચોમાસું કેવું રહેશે તેનો ક્યાસ કાઢવામાં આવે છે. આ વિધિ કરતા પહેલાં આ મંદિરમાં પૂજા થાય છે અને નવી ધજા ચડાવવામાં આવે છે.
એક વાયકા પ્રમાણે આ ગામની એક મિહલા સદીઓ પહેલાં ભાથુ લઈને પોતાની વાડીએ જઈ રહી હતી. તે વખતે કોઈ બહાવટિયાએ તેણી પાસેથી ભાથુ છીનવી લીધું હતું. આ ઘટનાથી તેણી ખૂબ ક્ષોભ અનુભવી રહી હતી અને ગામના લોકો શું વાતો કરશે તે ભયમાં તેણીએ કૂવામાં આત્મહત્યા કરી હતી. અને તે જ સમયથી આ કૂવામાં તેણીને રોટલો આપવાની અને વરસાદનું અનુમાન લગાવવાની પરંપરા પડી છે.
રોટલો વહેવાની દિશા પરથી વરસાદનું અનુમાન બાંધવામાં આવે છે
જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય છે અને જો પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછો વરસાદ પડે છે અથવા તો દુષ્કાળ સર્જાય તેવું પણ અનુમાન લગાવવામાં આવે છે. ગામ લોકોનું કહેવું છે કે દર વર્ષે આ માન્યતા સાચી પડે છે. ગયા વર્ષે પણ જે અનુમાન બાંધવામાં આવ્યું હતું તે સાચું પડ્યું હતું. આ વરસાદની રોટલાની દિશા જણાવે છે કે આ વર્ષે સારો વરસાદ વરસશે. જો કે એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે ગયા વર્ષ કરતાં વરસાદ ઓછો પડશે અથવા તો ખેંચાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત