ગુજરાતમાં તાઉતે વાવાઝોડા પછી એક નવું તોફાન દસ્તક આપવા તૈયાર છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી ઉદ્ભવશે અને પાકિસ્તાનના દરિયાકિનારે ત્રાટકવાની શક્યતા છે. જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.
તો બીજી તરફ ગુજરાતના લગભગ 100 જળાશયને હાઈ એલર્ટ પર અને 8 જળાશયને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. થોડા દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાઈ એલર્ટ પર મુકાયેલા 100 જળાશયોમાં 90 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે એલર્ટ પર મુકાયેલા 8 જળાશયમાં 80 થી 90 ટકા પાણીનો જથ્થો છે. તો બીજી તરફ 18 જળશાયમાં 70 થી 80 ટકા અને 80 જળશાયમાં 70 ટકા કરતા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી તંત્ર એલર્ટ બન્યુ છે અને આગામી સમયમાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તૈયારી કરી રહ્યું છે.
નોંધનિય છે કે, ગઈ કાલે સૌરાષ્ટ્રના જુનાગઢ પાસે આવેલા વિસાવદરમાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબકી જતા નદીઓ બે કાંઠે વહી રહી છે. તો બીજી તરફ જુનાગઢના ગીરનાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે દામોદર કુંડ પાણીથી છલોછલ ભરાઈ ગયો છે. આ ઉપરાંત જુનાગઢના ભવનાથ મંદિર અને ગિરનારના પગથીયા પરથી પાણી વહી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, જૂનાગઢમાં 2 ઇંચ, કેશોદમાં 3 ઇંચ, ભેંસાણમાં 2 ઇંચ, મેંદરડામાં 1.5 ઇંચ, અને માંગરોળમાં 3 ઇંચ, માણાવદરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જેથી ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ છે.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડતા વાહન વ્યવહાર માટે લગભગ 142 જેટલા રસ્તા બ્લોક કરવાની વહીવટી તંત્રને ફરજ પડી છે. એટલુ જ નહીં ગુલાબમાંથી પરિવર્તિત થયેલા શાહિન ચક્રવાતના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે સીએમ ભુપેન્દ્ર પટેલે સંભવિત વાવાઝોડાને લઈને એક તત્કાલ બેઠક બોલાવી સ્થિતિની સમિક્ષા કરી હતી અને જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રહેવા આદેશ પણ આપવામાં આવ્યા છે.
ગુજરાત હવામાન વિભાગે આપેલી લેટેસ્ટ માહિતી મુજબ આગામી કેટલાક દિવસો સુધી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તોફાનની આગાહી બાદ વહીવટીતંત્ર એલર્ટ પર છે. આ સિવાય ગુજરાતના 17 જિલ્લાઓમાં NDRF-SDRF ની ટીમો તૈનાત કરવામાં આવી છે, ગુજરાતના બંદર પર સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યા છે.
આ અંગે માહિતી આપતા અમદાવાદ આઇએમડીના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની પણ સંભાવના છે. દક્ષિણ અમદાવાદ અને તેના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના પણ છે. એલર્ટને જોતા વહીવટીતંત્રે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં NDRF ની 17 ટીમો તૈનાત કરી છે.
અરબી સમુદ્રમાં આવેલું વાવાઝોડું હાલ ડીપ ડિપ્રેશનમાં છે, જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશરબની શકે છે. શાહીનના પ્રભાવને કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય ગુરુવારે સવાર સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં 60 કિમી પ્રતિ કલાક અને 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની અપેક્ષા છે. તેથી, માછીમારોને આગામી 4 દિવસ સુધી દરિયામાં ન જવાની વિનંતી કરવામાં આવી છે.