જો તમારું બેંક ખાતું પણ એસબીઆઈમાં છે તો તમારા માટે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમને આ વાતની જાણકારી નહીં હોય તો શક્ય છે કે પાછળથી તમારે માથે હાથ દઈ રોવાનો વારો આવે. આપણે સૌ જાણીએ છીએ કે જેમ જેમ ડિજીટલાઈઝેશન વધી રહ્યું છે તેમ તેમ ફ્રોડ કરવાનું પ્રમાણ પણ વધ્યું છે. ફ્રોડ કરનાર લોકો અલગ અલગ રસ્તા શોધી કાઢે છે લોકોને ચુનો ચોપડી દેવાના. તેવામાં એસબીઆઈના ખાતેદારો પર એક સંકટ તોળાઈ રહ્યું છે.
તેવામાં જો તમને પણ એસબીઆઈ તરફથી મેસેજ આવતો હોય કે તમારું યોનો અકાઉંટ બંધ કરી દેવામાં આવ્યું છે તો તે મેસેજ તમને ગેરમાર્ગે દોરી અને લૂંટી લેવા માટે કરવામાં આવ્યો છે. એસબીઆઈના ખાતેદારોને આ પ્રકારના મેસેજ મળતા થયા બાદ બેંકે સ્પષ્ટતા કરી છે કે બેંક તરફથી આવા કોઈ મેસેજ મોકવામાં આવી રહ્યા નથી. આ પ્રકારના મેસેજ ફ્રોડ છે.
જો કોઈને આ પ્રકારનો મેસેજ આવે તો તેણે સતર્ક થઈ જવું જોઈએ. આ અંગે ટ્વીટર પર જાણકારી પણ શેર કરવામાં આવી છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યું છે કે એક નકલી મેસેજ સામે આવી રહ્યો છે જેનો સંબંધ એસબીઆઈ બેંક સાથે નથી. આ મેસેજમાં દાવો કરવામાં આવે છે કે વ્યક્તિનું યોનો અકાઉન્ટ ક્લોઝ કરી દેવામાં આવ્યું છે. ટ્વીટ સાથે આ મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. મેસેજમાં યોનો અકાઉન્ટ બંધ થયાની વાત કરવામાં આવી છે. મેસેજમાં ખાતેદારને એમ પણ કહેવામાં આવે છે કે તેઓ નેટ બેકિંગમાં લોગન કરે અથવા તેનું પાન કાર્ડ અપડેટ કરે. આ મેસેજ સાથે એક લિંક પણ શેર કરવામાં આવે છે જેના પર જઈ યૂઝરને પ્રોસેસ કરવાનું કહેવામાં આવે છે.
પરંતુ જણાવી દઈએ કે આ લિંક નકલી હોય છે અને તેને ક્લિક કરવી જોઈએ નહીં. જો કોઈ યૂઝર તેને ક્લીક કરે છે તો તેમાં પર્સનલ વિગતો અને બેંક સંબંધિત જાણકારી પુછવામાં આવે છે. જો આ બધી વિગતો તમે લિંકમાં શેર કરો તો તમારી સાથે ફ્રોડ થઈ શકે છે અને તમારા ખાતામાંથી પૈસા પણ ઉપડી શકે છે. આ સાથે જ બેંકે સ્પષ્ટતા કરી છે કે બેંકના નામે જો કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરવાનું કહેવામાં આવે તો પણ કરવું જોઈએ નહીં. જો આ પ્રકારના મેસેજ કે અન્ય કોઈ વિગતો માંગવામાં આવે તો તેની ફરિયાદ ઈમેલ તરીકે report.phishing@sbi.co.in પર કરવો.