કોરોના બાદ પણ નથી છોડતા પીછો નથી છોડતા આ લક્ષણો, લાંબા સમય સુધી કરે છે પરેશાન
કોરોના વાયરસના પ્રભાવો ઉપર ઘણા સમયથી રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને પોસ્ટ કોવિડ લક્ષણોથી અસરગ્રસ્ત લોકો પર કેવો પ્રભાવ પડી રહ્યો છે, તેને લઈને એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
Houston Methodist ના રિસર્ચમાં એક વાત સામે આવી છે કે કોરોનાથી સાજા થઈ ગયેલા લોકોમાં ઘણા લક્ષણો એવા છે કે જે અમુક અઠવાડિયા અથવા તો મહિનાઓ સુધી તેમની અસર દાખવી શકે છે. ખાસ કરીને તેમાં સૌથી વધુ ટકાવારી થાક લાગવાની છે, જે 58 ટકા જેટલી છે. આના સિવાય 44 ટકામાં માથું દૂખવું, ધ્યાન વિકાર 27 ટકા અને વાળને નુકસાનનું પ્રમાણ 25 ટકા હતું, સાથે જ 24 ટકામાં શ્વાસની સમસ્યા, સ્વાદ પારખવામાં થતી મુશ્કેલીમાં 23 અને સૂંઘવાની ક્ષમતામાં ઘટાડાની સમસ્યા 21 ટકા જેટલી હતી.
આ મામલે રિસર્ચ કરનારા લોકોનું કહેવું છે કે અન્ય બીમારીઓના લક્ષણો જેવા કે ફેફસાંની બીમારીના ઉધરસ, છાતીમાં દુખાવો, બેચૈની જેવા લક્ષણો પણ જોવા મળ્યા. આ સાથે જ સ્લીપ એપનિયા, પલ્મોનરી ફાઈબ્રોસિસ તેમજ કાર્ડિયોવસ્ક્યુલર બીમારીઓ જેવી કે માયોકાર્ડિટિસ, ટિન્નિટસ, અને રાત્રિના સમયે ઉંઘમાં પરસેવો વળવોના લક્ષણો પણ જોવા મળ્યા. જો કે સંશોધકો સૌથી વધુ ત્યારે ચોંકી ગયા જ્યારે તેમને દર્દીઓમાં ન્યુરોલોજિકલ બીમારીઓ જેવી કે ડિમેંશિયા અને ડિપ્રેશનની હાજરી પણ જોવા મળી.
આ અભ્યાસમાં 18251 રિપોર્ટને ધ્યાને લેવામાં આવ્યા, જેમાંથી માત્ર 15ને અંતિમ તારણ માટે સિલેક્ટ કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સંશોધનકારોની ટીમે બ્રિટન, અમેરિકા, યુરોપ, ચીન, ઈજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને મેક્સિકોમાંથી કુલ 47910 દર્દીઓના ડેટાને ધ્યાને લીધો હતો.
આમાં સીટીસ્કેન, બ્લડ ક્લોટનું જોખમ, સોજો, એનીમિયા, હાર્ટએટેકની સંભાવના, બેક્ટેરિયલ ઈન્ફેકશન અને ફેફસાંની સમસ્યા જેવા ઈન્ડિકેટર્સને સામેલ કરી તેમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે 80 ઠીક થઈ ગયેલા વયસ્ક દર્દીઓમાં લાંબા સમય સુધી ઓછામાં ઓછી એક લક્ષણની હાજરી હતી. જે લગભગ અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી રહ્યું હતું. કુલ 55 જેટલા વિવિધ લક્ષણોની ઓળખાણ કરવામાં આવી, તેમ છતાં હજુ પણ ઘણા લક્ષણોની જાણ ન થઈ શકી હોવાની સંભાવના પણ વૈજ્ઞાનિકોએ દર્શાવી હતી.
રિસર્ચસનું માનવું છે કે દરેક લક્ષણને પૃથક રીતે અને અન્ય લક્ષણોની સાથે જોડીને સમજવા માટે હજુ વધુ પ્રયાસોની જરુર છે. જો કે આ પોસ્ટ કોવિડ લોંગટર્મ સમસ્યાઓ શા માટે થઈ રહી છે તેના કારણોની હજુ સુધી જાણ થઈ નથી, પરંતુ આ રિસર્ચના આગળના તબક્કામાં તેના વિશે પણ ગહન સંશોધન હાથ ધરવામાં આવશે.