આ શું બોલ્યા પાટીલ..? જેનાથી વધી ગઇ ભાજપની ચિંતા
રાજ્યભરમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઇ રહી છે.. અને નવુ મંત્રી મંડળ મુખ્યમંત્રીની સાથે જન આશિર્વાદના નામે લોકસંપર્ક રાઉન્ડ પર નિકળ્યા છે.. અને એક પ્રકારનો સર્વે થઇ રહ્યો છે.. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ C R પાટીલે સાબરકાંઠામાં એક એવુ નિવેદન કર્યું.. કે ભાજપના વર્તમાન ધારાસભ્યો સહિત પક્ષમાં પણ સોંપો પડી ગયો.. આખરે એવું તો શું કહ્યું પાટીલે કે ધારાસભ્યોની ચિંતા વધી ગઇ..?
ભાજપે થોડા સમય અગાઉ જન આશિર્વાદ યાત્રા કરી હતી.. અને તે યાત્રા દરમિયાન થયેલા સર્વેમાં તારણ આવ્યું કે ગુજરાતની વર્તમાન સરકાર અને ખુદ મુખ્યમંત્રી સામે રાજ્યમાં ભારોભાર રોષ છે.. અને માટે જ ચૂંટણીના દોઢેક વર્ષ અગાઉ જ મુખ્યમંત્રી સહિત આખે આખી સરકાર બદલી નાંખવામાં આવી.. હવે નવી સરકારના નવા મંત્રીઓ જન આશિર્વાદ યાત્રાના બીજા તબક્કામાં નિકળ્યા છે.. ત્યારે હવે ઘાત ભાજપના ધારાસભ્યો પર છે.. અને તેની વચ્ચે જ સાબરકાંઠામાં પેજ કમિટીના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ C R પાટીલે સંકેત આપ્યા કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નવા 100 ચહેરા ઉતારશે.. પાટીલના આ નિવેદને ધારાસભ્યોની ચિંતા વધારી.. કોનુ પત્તુ કપાશે..? અને કયા નવા ચહેરાને સ્થાન મળશે..?
પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ
આજે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું અને કાર્યકરો સાથે બાઈકલ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે એક સભા સંબોધી હતી. જ્યાં તેમણે વિરોધીઓ પાર્ટીઓ પર જોરદાર વરસ્યા હતા. પાટીલે સભામાં સંબોધન કરતા કોંગ્રેસ અને આપને આડે હાથે લેતા આપને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી ગણાવી હતી. તો બીજી તરફ કાર્યકર્તાને સંસ્થામાં નોકરી અપાવી હોવાનો પણ સ્પીચમાં ઉલ્લેખ કર્યો હતો.
100 નવા ચહેરાનો સીધો સંકેત
આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે, ત્યારે 2022ની ચૂંટણી પહેલા સીઆર પાટીલે પક્ષના જ નેતાઓની ટિકીટ વિશે એક નિવેદન આપ્યું હતું. પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે નેતાઓને સંકેત આપતા જણાવ્યું હતા કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 100થી વધુ ધારાસભ્યોને પડતાં મુકાશે. કેટલાક રીટાર્યડ થશે અને કેટલાક નવા લેવાના એટલે 100 થાય. પરંતુ તાત્કાલિક પાટીલે પક્ષના કોઈ નેતા કે કાર્યકરોમાં રોષ ન ફેલાય તે રીતે વાત વાળી હતી. તેમણે છેલ્લે એવું પણ જણાવ્યું હતું કે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.
કોઇપણ લાગવગ નહીં ચાલે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ માટે પહેલા સર્વે થાય છે અને ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે તેને આપવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ધારાસભ્યોનું કામ જોવામાં આવશે, તેઓ લોકો સુધી પહોંચવામાં કેટલા સફળ થયા છે, તેમના વિસ્તારમાં કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.
બંધ બેસતી પાઘડી પહેરવી નહીં
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આડકતરી રીતે ભાજપના નેતાઓને શાનમાં સંકેત આપી દીધા છે. બીજી બાજુ સહકારી ક્ષેત્રે હોદ્દા ધરાવતા નેતાઓને પણ સૂચન કર્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા નહીં આપે તો સહકારમાં મેન્ડેડ આપવામાં નહીં આવે. પછી ધારાસભ્યોને સંબોધતા કહ્યું કે આમાંથી કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.