ખરાબ રોટલી સહિત આ વસ્તુઓમાંથી ફુગ પ્રવેશે છે શરીરમાં, અહીં 8 દિવસમાં 200 બ્લેક ફંગસના દર્દીઓ આવ્યા સામે
આંધ્રપ્રદેશમાં છેલ્લા આઠ દિવસમાં મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના 200 કેસ નોંધાયા છે. જ્યાર બાદ રાજ્યમાં બ્લેક ફંગસના કુલ કેસ 4,889 પર પહોંચી ગયા છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર છેલ્લા આઠ દિવસમાં 12 લોકો આ રોગના કારણે મૃત્યુ પામ્યા છે, જ્યાર પછી અત્યાર સુધીમાં આ રોગના કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 448 થઈ ગઈ છે. આંકડાકીય ડેટામાં કહેવામાં આવ્યું છે કે 3,978 ચેપગ્રસ્ત લોકોની રિકવરી બાદ હવે રાજ્યમાં 463 દર્દીઓ સારવાર હેઠળ છે.
કુલ 782 લોકોને સંક્રમણ અને 100 મૃત્યુ સાથે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં ચિત્તૂર સૌથી મોખરે છે. 740 કેસ સાથે ગુંટૂર જિલ્લો બીજા ક્રમે છે, પરંતુ અહીં મૃત્યુઆંક માત્ર 20 છે. પશ્ચિમ ગોદાવરીમાં સારવાર હેઠળ કોઈ દર્દી નથી જ્યારે વિજિયાનગરમમાં માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં બ્લેક ફંગસથી સંક્રમિત વ્યક્તિઓ પર 2,687 સર્જરી કરવામાં આવી છે.
મહત્વનું છે કે આ દુર્લભ બીમારી એવા લોકોમાં થાય છે જેઓની કોરોનાના કારણે પહેલાથી જ નબળી રોગ પ્રતિકારક શક્તિ થઈ ગઈ છે. બ્લેક ફંગસ પણ ખતરનાક રોગ છે કારણ કે તેમાં મૃત્યુદર લગભગ 50 ટકા છે. તેની સર્જરી કર્યા પછી પણ દર્દીને દ્રષ્ટિ ગુમાવવી, વિકૃત ચહેરો થઈ જવો જેવી ઘણી સમસ્યા થાય છે.
બ્લેક ફંગસનો ચેપ ફક્ત નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને થાય છે. હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો આ ફંગસના કેસ વધ્યો. કોરોના અગાઉ આ રોગ કીમોથેરાપી, હાઈ સુગર, કોઈપણ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટમાંથી પસાર થતા લોકો અને વૃદ્ધોને વધુ થતો હતો.
આ રોગ મ્યુકોર્માઇસેટ્સ નામની ફૂગના કારણે થાય છે. આ ફૂગ નાક દ્વારા શરીરના બાકીના ભાગ સુધી પહોંચે છે. સામાન્ય રીતે આ ફૂગ હવામાં હોય છે અને શ્વાસ દ્વારા નાકમાં જાય છે. ઘણી વખત ચેપ ત્યારે થાય છે જ્યારે શરીરના કટ અથવા બળેલા સ્થાન આ ફૂગના સંપર્કમાં આવે છે. નાક તેના પ્રવેશનું મુખ્ય સ્થળ છે, પરંતુ તે શરીરના કોઈપણ ભાગ પર હુમલો કરી શકે છે. ખરાબ રોટલી, ઝાડ અથવા કોઈપણ સડતી વસ્તુ પર આ ફૂગ દેખાઈ શકે છે. તેના સંપર્કમાં આવતાં જ તે ઝડપથી શરીરમાં પ્રવેશ કરે છે અને ફેલાય છે.
જો શરૂઆતના કેટલાક લક્ષણોને સમયસર ઓળખવામાં આવે અને સારવાર આપવામાં આવે તો દર્દીના જીવને બચાવી શકાય છે. હાલના સમયમાં વૃદ્ધો અને કોરોનામાંથી સાજા થયેલા લોકોએ આ અંગે જાગૃત રહેવાની જરૂર છે. માથાનો દુખાવો, ભરેલું નાક, આંખોમાં લાલાશ સાથે સોજો, આવા લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.