ફોન બિલને કંટ્રોલમાં રાખવું છે તો જલ્દી તેનો ઉપયોગ ઘટાડો, જાણો શું આવી શકે છે મોટા ફેરફાર
આજના સમયમાં તમે જો તમારી આજુબાજુ, આડોશ પડોશમાં નજર ફેરવશો તો.જાણવા મળશે કે અંદાજે દરેક ઘરમાં સભ્ય દીઠ મોબાઈલ ફોનના યુઝર્સ હશે. એટલું જ નહિ ખુદ આપણા ઘરમાં જ જોઈએ તો પણ દરેક સભ્ય પાસે મોબાઈલ હશે. પણ હવે આ મોબાઈલનું વળગણ ભારે પડી શકે તેમ છે.
વિગતથી વાત કરીએ તો સ્માર્ટફોન યુઝર્સ બે પ્રકારના હોય છે એક પ્રિપેડ યુઝર અને બીજા પોસ્ટપેડ યુઝર. બન્ને પ્લાન્સ પોતપોતાના ફાયદાઓ ધરાવે છે. કોઈ યુઝર પ્રીપેડ પ્લાન એટલા માટે લે છે કે તેને તે પ્લાન સસ્તો પડતો હોય તો કોઈ યુઝર પોસ્ટપેડ પ્લાન એટલા માટે પસંદ કરે છે કારણ કે તેમાં થોડા વધુ ફાયદાઓ મળે છે. પરંતુ હવે આ બન્ને પ્લાનના યુઝરો માટે મોબાઈલ ફોન વાપરવો મુશ્કેલ બની જવાનો છે કારણ કે આગામી 6 મહિના સુધીમાં સ્માર્ટફોન યુઝર્સનું ફોન બિલ અંદાજે 30 ટકા જેટલું વધી જવાનું છે.
જાણીતી ટેલિકોમ કંપની એરટેલે પોતાના પ્રિપેડ યુઝર માટેના પ્લાનને મોંઘા કરી નાખ્યા છે જ્યારે અન્ય ટેલિકોમ કંપનીઓ પણ આ જ રસ્તે આગળ વધી રહી છે. એરટેલે પોતાના એન્ટ્રી પ્લાનને 60 ટકા મોંઘો કરી દીધો છે એટલે એરટેલનો જે પ્લાન પહેલા 49 રૂપિયાનો હતો તે પ્લાન હવે 79 રૂપિયાનો કરી દેવામાં આવ્યો છે. એ સિવાય વોડાફોન આઈડિયાએ પણ પોતાના અમુક સર્કલમાં પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે.
આ પરિસ્થિતિમાં જેમ જેમ પ્લાન મોંઘા થઈ રહ્યા છે તેમ તેમ તેને લાગુ પણ કરવામાં આવી રહ્યા છે. વોડાફોન આઈડિયાએ પોતાના પ્લાનની કિંમત એટલા માટે વધારી છે કારણ કે કંપની પહેલાથી જ ખોટમાં ચાલી રહી છે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના સબ્સ્ક્રાઇબ બેઝમાં 90 ટકાથી વધુ પ્રિપેડ યુઝર્સ છે.
ઉલ્લેખનીય છે કે વોડાફોન આઈડિયાએ પણ પોતાના કોર્પોરેટ ગ્રાહકો માટે બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાન અંતર્ગત ડેટા બેનેફિટમાં કાપ મુક્યો છે. બન્ને કંપનીઓ ખાસ કરીને વોડાફોન આઈડિયા ટેરીફ અને એવરેજ રેવન્યુ પર યુઝર વધારવા પર જોર આપી રહી છે. એનાલિસ્ટ પર એક નજર નાખીએ તો હાલના સમયમાં સૌથી મોટી ટેલિકોમ કંપની જિયો ARPU ગ્રોથની કિંમત પર ઝડપથી યુઝરને જોડવામાં લાગી છે.
બીજી બાજુ જો આપણે વોડાફોન આઈડિયાની વાત કરીએ તો આ કંપનીની હાલત અત્યારે ખરાબ છે. કંપનીને 2022 સુધીમાં 22,000 કરોડ રૂપિયા ચૂકવવાના છે અને આ માટે કંપનીને કેશની ખૂબ જરૂર છે અને આ જ કારણ છે કે કંપની હવે તાત્કાલિક ટેરીફ વધારી રહી છે. એનાલીસીસ મેસનમાં પાર્ટનર અને ભારત તેમજ મધ્ય પૂર્વના હેડ રોહન મખીજાએ કહ્યું હતું કે, ટેરીફના 30 થી 35 ટકા ઉપર વધવાની શકયતા છે.