વરસાદ, ઉકળાટ, ઠંડક અને નવરાત્રિનો સમન્વય… આ સીઝન ક્યાંક બિમાર ન પાડી દે
વિદાય પહેલા મેઘરાજા રાજ્યભરમાં બેટીંગ કરી રહ્યા છે.. હજી આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.. રાજ્યમાં એક તરફ નવરાત્રિ ચાલી રહી છે.. બીજી તરફ મેઘરાજા મહેર કરી રહ્યા છે.. અને ત્રીજી તરફ અસહ્ય બાફ અને ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.. તો મોડી રાત્રે અને વહેલી સવારે થોડી ઠંડકનો અનુભવ પણ લોકોને થઇ રહ્યો છે.. પરંતુ આગામી બે દિવસ મધ્ય ગુજરાત અને ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે..
• હજી ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન ખાતાની આગાહી
• દિવસે આકરો તાપ, અસહ્ય બફારો અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ
• ભાદરવા માસનો બાકી રહી ગયેલો તાપ આસો માસમાં પડી રહ્યો છે
નૈઋત્યના ચોમાસાની વિદાય ચાલી રહી છે. ઋતુના આ સંધિકાળમાં દિવસે પ્રખર તાપ અને રાત્રે ગુલાબી ઠંડી શરૂ થઈ છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાની શરૂઆતમાં હોય તેવું એટલે કે 36 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી પરેશાન બની ગયા છે.
હજુ વાતાવરણમાં ચોમાસાનો થોડો ઘણો ભેજ હોવાના કારણે સ્થિતિ એવી બને છે કે પરસેવો પણ ખૂબ થાય છે અને જો બપોરે બહાર નીકળે તો આકરા તાપનો સામનો કરવો પડે છે. વળી મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ પણ શહેરીજનો કરી રહ્યાં છે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. ભાદરવા માસમાં આકરો તાપ પડે પરંતુ ત્યારે ચોમાસાનો બાકી રહી ગયેલો વરસાદ પડયો હતો. તેના કારણે હવે આસો માસમાં ભાદરવા માસનો તડકો પડી રહ્યો છે. ટૂંકમાં ઋતુ ખેંચાઈ ગઈ છે. ભેજ અને તીવ્ર ગરમીના કારણે શહેરીજનો હેરાન બન્યા છે. હાલમાં તહેવારોનો માહોલ છે. કોરોનાના ઓછા કેસના કારણે બજારમાં ખરીદીનો ચમકારો દેખાયો છે. વેપારીઓ પણ કોરોનાની કસર પુરી કરવા દિન-રાત એક કરી રહ્યાં છે ત્યારે જ આકરી ગરમી વિલન બની રહી છે.
હવામાન ખાતાએ જો કે હજુ પણ વરસાદની આગાહી જારી કરી છે. હવામાન ખાતાના બુલેટિન પ્રમાણે તા.11ના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમુક
ક્યારે ક્યાં થશે મેઘ મહેર
તા.12ના રોજ હળવાથી મધ્યમ વરસાદ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં વરસશે.
તા.13ના રોજ હળવાથી મધ્યમ વરસાદ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસશે.
તા.14 અને 15ના રોજ વાતાવરણ સુક્કું રહેશે.
એક તરફ વરસાદ, બીજી તરફ ઉકળાટ અને ત્રીજી તરફ ઠંડક.. ક્યાંક ઋતુગત રોગચાળાને આમંત્રણ તો નહીં આપે ને..?