Site icon News Gujarat

અમદાવાદમાં જાહેરમાં ઇંડા નોનવેજની લારી પર પ્રતિબંધ, મુખ્યમંત્રીએ કહ્યું જેને જે ખાવુ હોય તે ખાય પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવુ જોઇએ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવાળીના તહેવારોમાં એક નિવેદન આપ્યું કે આપણે માસાહારથી દૂર રહીને શાકાહાર તરફ વળવું જોઇએ.. અને તે નિવેદન બાદ થોડાં જ સમયમાં રાજકોટ મહાનગર પાલિકાએ જાહેરમાં ઇંડા નોનવેજ વેચતી લારીઓને દૂર કરી.. ત્યારબાદ વડોદરા, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને હવે અમદાવાદમાં પણ જાહેરમાં ઇંડા નોનવેજની લારીઓને દૂર કરવાના આદેશો કરી દેવાયા, તો આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી કે જેને જે ખાવુ હોય તે ખાય પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવું જોઇએ.

image soucre

હવે આને રાજકીય ખેંચતાણ સમજવી કે પછી ઇંડા નોનવેજ મચ્છી જાહેરમાં વેચતા નાના વેપારીઓ પરની તવાઇ..? કારણ કે પૂર્વ મુખ્યમંત્રીએ કરેલા નિવેદન બાદ વિવાદનો વંટોળ શરૂ થયો. અને વર્તમાન મુખ્યમંત્રીએ તેના પર જાણે પૂર્ણ વિરામ મૂકી દીધું.

હવે અમદાવાદમાં પણ માંસ, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અગાઉ રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં પ્રતિબંધ મુકાયો હતો, અમદાવાદમાં જાહેર રસ્તા, મંદિર, ગાર્ડન જેવાં સ્થળે 100 મીટરમાં લારી ઊભી નહીં રાખી શકાય

રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના 100 મીટરના દાયરામાં નૉનવેજની લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો નિર્ણય સોમવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. એટલું જ નહીં, પણ હેલ્થનું લાઈસન્સ નહીં ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઇંડાંના વેચાણ સામે પગલાં લેવામાં આવશે.

image soucre

બીજી તરફ, અગાઉ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ થયેલા ઠરાવ અનુસાર આ પ્રકારની લારીઓ જાહેર રસ્તાઓ પર ઊભી રહીને ધંધો ન કરે એવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે.ત્યારે આજની બેઠકમાં એસ્ટેટ વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેર સ્થળો પર ઊભા રહીને આ પ્રકારના ખાદ્ય ખોરાકનું વેચાણ કરતા અટકાવવામાં આવવા જોઇએ. જે લોકો પાસે એનું યોગ્ય લાઇસન્સ ન હોય તે તમામ દુકાનો સામે આવતીકાલથી તવાઇ ‌આવશે.

ગુજરાતમાં 40% લોકો નૉનવેજ, 38.2% મહિલાઓ માંસ, ઇંડાં ખાય છે

સેન્સસનાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ સરવેના 2014નાં તારણો અનુસાર ગુજરાતમાં 40 ટકા લોકો નૉન-વેજિટેરિયન છે, જેમાં 39.9 ટકા પુરુષો અને 38.2 ટકા મહિલાઓ નૉનવેજ ખાય છે.

નૉનવેજ ખાવા બાબતે ગુજરાતના લોકો હરિયાણા, રાજસ્થાન, પંજાબના લોકોથી પણ આગળ છે. દેશમાં નૉનવેજ ખાનારાઓની ટકાવારી 71 ટકા છે. સર્વે 2014નાં તારણો મુજબ સૌથી વધારે તેલગાણામાં 98.7 ટકા લોકો નૉન-વેજિટેરિયન છે.

કેમ પ્રતિબંધ? મ્યુનિ.નો જવાબ: લોકોની સુરુચિનો ભંગ થાય છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નૉનવેજની લારીઓ પર પ્રતિબંધનું કારણ આપતાં જણાવ્યું હતું કે શહેરમાં જાહેર રસ્તાઓ પર ચાલતી માંસ, મટન, મચ્છી અને ઇંડાંની લારીઓને કારણે લોકોની સુરુચિનો ભંગ થઇ રહ્યો છે. ત્યાંથી નીકળતા નાગરિકોને તેની સૂગને કારણે મુશ્કેલી પડી રહી છે.

નિયમ: લાઇસન્સ હોય તોપણ માંસ, મટન જાહેરમાં દેખાવાં જોઈએ નહીં

image soucre

અમદાવાદમાં જો માંસ-મટન, મચ્છી કે ઇંડા વેચતી દુકાનો પાસે લાઈસન્સ હોય તોપણ તેઓ જાહેરમાં દેખાય એ રીતે આવી વસ્તુઓ રાખી શકશે નહી. જો આવી દુકાનોમાં જાહેરમાં દેખાય એ રીતે માંસ- મટન, મચ્છી, ઇંડા રાખશે તો તેમને પહેલી વખત સૂચના આપવામાં આવશે કે તેઓ આવી તમામ વસ્તુઓ જાહેરમાં દેખાય નહિ એ રીતે રાખે, જો સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનને સીલ કરી દેવામાં આવશે. દુકાનમાં જે વેચાણ થાય એ બંધ બોડીનું હોવાનું જોઇએ.

એકલા અમદાવાદમાં રોજના 18 લાખ ઇંડાંનું વેચાણ

image source

અમદાવાદ શહેરમાં રોજનાં 18 લાખ જેટલા ઇંડાં વેચાય છે. એટલું જ નહીંસ ઠંડી વધવાની સાથે જ શહેરમાં ઇંડાંના વેચાણ પણ વધતું હોય છે. એટલું જ નહીં, રોજનું અંદાજે 200 ટન મરઘાનું મટન એટલે કે 1.70 લાખથી 2 લાખ જેટલા મરઘા વેચાય છે.

જેને જે ખાવું હોય એ ખાય, લારીનો ખોરાક હાનિકારક ન હોવો જોઈએ: મુખ્યમંત્રી
વિવિધ શહેરોમાં નૉનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે સોમવારે આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘કોઇ વેજ ખાય કે નોનવેજ ખાય એની સામે અમારો કોઇ પ્રશ્ન જ નથી. જેને જે ખાવું હોય એ ખાય, પણ લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે. ઉપરાંત ટ્રાફિકને અડચણ રૂપ લારી હટાવવા જેવી બાબત હોય એ પાલિકા, મહાપાલિકા હટાવી જ શકે એ એમાં વેજ-નોનવેજની કોઇ વાત નથી.’ મુખ્યમંત્રી આણંદ જિલ્લાના બાંધણી ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ માટે આવ્યા હતા.

Exit mobile version