થોડા સમય પહેલા સુધી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા હતા અને આજે અચાનક રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો છે. મુખ્યમંત્રી પદ પરથી વિજયભાઈ રૂપાણીએ અચાનક રાજીનામું આપી દીધું છે. આ સમાચારથી રીતસર ખળભળાટ મચી ગયો છે.
વિજયભાઈના રાજીનામાને મંજૂર રાખવામાં આવ્યું છે અને સાથે જ શરૂ થયો છે બેઠકોનો દોર અને ચર્ચાઓ કે નવા મુખ્યમંત્રી કોણ બનશે. જાણવા મળતી માહિતી અનુસાર ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગાંધીનગર પહોંચી ચુક્યા છે અને બેઠકો ચાલી રહી છે.
રાજીનામું આપી તેમણે ગુજરાતની જનતા, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માની કહ્યું હતું કે તેઓ રાજીખુશીથી અને પોતાની મરજીથી રાજીનામું આપી રહ્યા છે અને તેઓ હજુ પણ ભાજપના સંગઠનમાં તેમને જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવી કામ કરશે. તેમણે પાંચ વર્ષ માટે સંગઠને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી આપી હતી. આ કાર્યકાળમાં તેમણે અનેકવિધ વિકાસકાર્યો કર્યા છે.
વિજય રૂપાણીના મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને હજુ પણ ભાજપ સાથે જોડાઈ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે ત્યારે તેમના માટેની શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ગાંધીનગર ખાતે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે જેમાં રાજ્યભરના ધારાસભ્યો જોડાશે અને ભાજપના ધારાસભ્યો નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરશે.
વિજય રૂપાણીના કાર્યકાળમાં લેવાયા આ ઐતિહાસિક નિર્ણયો
- – લેન્ડ ગ્રેબિંગ એક્ટ બન્યો.
- – લવ જેહાદનો કાયદો બન્યો
- – સામાન્ય લોકોની સુરક્ષા વધે તે માટે ગુંડા એક્ટ લાગુ કર્યો
- – ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે સૂર્યોદય યોજના અમલી કરી
- – રૂફટોપ યોજના
- – ગૌહત્યા અટકાવવા કડક કાયદો
- – ઉત્તર ગુજરાત માટે સુજલામ-સુફલામ યોજના
- – દરિયાઈ વિસ્તારો માટે ડીસેલીનેશન પ્લાન
- – સૌરાષ્ટ્ર માટે સૌની યોજના
- – દીકરીઓનો જન્મ દર વધે તે માટે વહાલી દીકરી યોજના, વિધવા પેન્શન યોજના, અન્નપૂર્ણા યોજના
- – નવી 6 મેડિકલ કોલેજને મંજૂરી
- – આયુષ્યમાન ભારત, મા અમૃતમ અને વાત્સલ્ય યોજનાથી લાખો પરિવારોને આર્થિક લાભ