રાજકોટ શહેર અને જિલ્લામાં શનિવા અને રવિવારે થયેલા ભારે વરસાદને પગલે અનેક નદીનાળા છલકાયા હતા. આ સમયે આભમાંથી વરસતું પાણી અને નીચે પુલ, રસ્તા પર વહેતું ધસમસતું પાણી બંને કેટલાક લોકો માટે યમરાજ સાબિત થયા હતા. જેમાંથી એક હતા રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ જેમની કાર પણ પાણીમાં તણાઈ ગઈ હતી અને તેમણે જીવ ગુમાવ્યો હતો.
ધોધમાર વરસાદ વચ્ચે શહેરના કાલાવાડ રોડ પર લોધિકા નજીક છાપરા ફેક્ટરીએ જવા માટે ઉદ્યોગપતિ કિશનભાઈ શાહ પોતાના ડ્રાયવર અને અન્ય એક વ્યક્તિ સાથે આઈ20 કારમાં નીકળ્યા હતા. આ તકે રસ્તામાં આવતા પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી. પાણીનું વહેણ વધારે હોવાથી સ્થાનિકોએ કારને પુલ પર ન ઉતારવા ચેતવ્યા હતા પરંતુ તેમ છતા કાર પસાર કરવા જતા કાર તણાઈ ગઈ હતી.
કારમાં સવાર ત્રણ વ્યક્તિમાંથી એકનો બચાવ થયો હતો જ્યારે ઉદ્યોગપતિ કિશનભાઈનો મૃતદેહ કીચડમાં ખુંચેલી કારમાંથી જ 24 કલાક પછી મળ્યો જ્યારે શ્યામ નામના વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો નહીં. આ ઘટનામાં જેનો બચાવ થયો છે તેવા મોતને નજરે નીહાળનાર સંજય બોરીયા નામના વ્યક્તિને તે ઘટનાની આપવીતી જણાવી હતી. મોતના મુખમાંથી બહા૨ નિકળેલા સંજયે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના કેવી રીતે બની
સંજયભાઈ બોરીચાના જણાવ્યાનુસાર તે અને અન્ય 2 વ્યક્તિ એમ કુલ 3 લોકો ફેક્ટરીએ જવા નીકળ્યા હતા. જ્યારે તેઓ આણંદપર છાપરા પહેલા આવતા બેઠાપુલ પાસે પહોંચ્યા ત્યારે પાણી જોયું તો કારમાં સવાર શ્યામ નામના વ્યક્તિએ કહ્યું કે રાહ જોઈએ કાર પાણીમાં નથી ઉતારવી. પરંતુ ઉદ્યોગપતિ કિશનભાઈએ કહ્યું કે તે કાર ચલાવી લેશે અને પાણીમાંથી કાઢી લેશે. તેથી તેઓ ડ્રાયવર સીટ પર બેઠા અને કાર પાણીમાં ઉતારી.
કાર પુલ પર ઉતરી અને પાણીનો ફોર્સ વધારે હોવાથી કા૨માં પાણી ભરાવવા લાગ્યું. થોડી જ સેકન્ડમાં તો કાર તણાવા લાગી. મોત ભાળી ગયેલા સંજયે કારના દરવાજા પર લાતો મારી અને દરવાજો ખુલી ગયો અને તેના હાથમાં ઝાડની ડાળી આવી ગઈ તો તેણે તે પકડી લીધી. આટલીવારમાં તો કાર પાણીના વહેણ સાથે વહેતી થઈ ગઈ. સંજય ઝાડની ડાળી પરથી ચઢી અને ખેતરમાં ઉતરી ગયો.
જો કે તેણે એટલું જોયું કે કારનો આગળનો કાચ તુટ્યો અને શ્યામ બહાર આવ્યો પરંતુ ત્યારપછી તેનો કોઈ પત્તો લાગ્યો નહીં જ્યારે કિશનભાઈ કારમાંથી નીકળી જ શક્યા નહીં અને બીજા દિવસે તેમનો મૃતદેહ કારમાંથી જ મળી આવ્યો.