Site icon News Gujarat

કેરીના ખેડૂતો રાતે પાણીએ રોયા, 13,800 હેક્ટરના આંબાને 60 કરોડથી વધુનું નુકસાન, હજારો આંબાઓ મૂળિયામાંથી ઉખડી ગયા

તાઉ-તે વાવાઝોડાએ જાનમાલની નુકસાની કરી એની ભરપાઈ કરવી કદાચ અશક્ય છે. કારણ કે એટલી હદે પાયમાલી સર્જાઈ છે કે ન પૂછો વાત. માણસોના મોત થયા છે અના સાથે સાથે વૃક્ષો તેમજ પશુ પંખીઓને પણ વાવાઝોડાંએ ભારે નુકસાન કર્યું છે. એવામાં કેરીના પાકને 60 કરોડનું નુકસાન થયું હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કુદરતી મીઠાશ અને પૌષ્ટિક અમૃત ફળ ગણાતી સૌરાષ્ટ્રની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના પાકને તાઉ-તે વાવાઝોડાએ ખેદાન-મેદાન કરી નાખ્યો છે. આ પહેલાં સતત પખવાડિયા સુધી કમોસમી વરસાદથી પાકને આંશિક નુકસાન થયું હતું. ત્યાં તો તાઉ-તે વાવાઝોડાની આફતે કેરી પકડવતા ખેડૂતો પર એવી થપાટ મારી કે એકસાથે બે વર્ષ નિષ્ફળ ગયા હોય એટલી નુકસાની કરી છે.

image source

જો આકંડા મળી રહ્યાં છે એ સાથે જ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 13,800 હેક્ટરમાં પથરાયેલા આંબાના વૃક્ષની પથારી ફરી ગઈ છે. એ રીતે વાવાઝોડાની ઝપેટમાં આવ્યા કે કુલ 60 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું છે. હવે હાલમાં આ વાવાઝોડાના કારણે હાલત એવી થઈ ગઈ છે કે કેરીની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેટલાક આંબા તો 100થી 150 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે ભારે વરસાદ વરસતાં મૂળિયાંમાંથી જ ઊખડી ગયા હોવાનો નજારો સામે આવ્યો છે.

image source

આ સાથે જ બીજા નુકસાનની વાત કરવામાં આવે તો ખેડૂતોને કેસર કેરી ઉપરાંત અન્ય ઉનાળુ પાકોમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ગીર-ગઢડા તાલુકાના અંકોલવાડીના ખેડૂત રાજુભાઈ પાનેલિયા જણાવ્યું હતું આ ખુબ જ મોટું નુકસાન છે, આની અસર આવતા વર્ષે પણ ભોગવવાનો વારો આવશે. હજારો આંબા તો જમીનથી ઊખડી જ ગયા છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જો કે તલાલા પંથકની હાલત પણ એવી જ છે. આશરે 60 કરોડની કેરીને નુકસાન થયાના તલાલાથી જાણવા મળ્યું છે. કારણ કે તાલાલા પંથકમાં 13,827 હેક્ટર જમીનમાં પથરાયેલા આશરે 15 લાખથી વધુ આંબાનાં વૃક્ષોને ઝપેટમાં લીધા હતા અને અનેક આંબામાં કેરીઓ ખરી પડી તો ક્યાંક આખા આંબા જ ઊખડી ગયા હતા.

image source

જે રીતે આ બે વિસ્તારમાં નુકસાન થયું એ જ રીતે આવું નુકસાન ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થયું છે. જૂનાગઢ ઉપરાંત વિસાવદર, મેંદરડા, માળિયાહાટીના, વંથલી પંથકમાં પણ કેરીનું વ્યાપક ઉત્પાદન થાય છે. અહીં અગાઉ વારંવાર કમોસમી વરસાદ વરસતો રહ્યો હતો અને હવે વાવાઝોડાએ દાટ વાળી દીધો છે. જૂનાગઢથી જાણવા મળ્યા મુજબ, વર્ષમાં કેસર કેરીનો પાક એક જ વાર લેવાય છે અને એ સીઝન ટાણે જ વાવાઝોડું આવતાં કેરીનો સોથ વળી ગયો છે.

image source

આ સાથે જ કેરી ઉપરાંત દરિયાકાંઠે આવેલી નારિયેળીનાં વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. કેળાંનાં વૃક્ષોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું જાણવા મળ્યું છે. આ રીતે વાવાઝોડાંએ ઘણા લોકોની પથારી ફેરવી નાંખી છે અને કંગાળ કરી દીધા છે.

Exit mobile version