કોરોનાથી સાજા થયાં બાદ આડેધડ દવાઓ લેનાર માટે ચેતવણી, વડોદરામાં સામે આવી ખતરનાક ફરિયાદો

કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ છે. બદલાયેલા લક્ષણો અને વધતાં જતાં આંકડાઓથી સ્થિતિ કાબુ બહાર થઇ છે. આ સાથે રાહતનાં સમાચાર એ છે કે ઘણાં દર્દીઓ સાજા પણ થઈ રહ્યાં છે. પરંતુ આ વચ્ચે એક વાત સામે આવી છે જેને સામાન્ય માણસથી લઈને ડોકટરોને પણ હચમચાવી મૂક્યા છે. કોરોનાની સારવાર દરમિયાન દવા સાથે અપાતા સ્ટિરોઇડની આડઅસર સાજા થયેલાં લોકોમાં જોવા મળી છે.

image source

મળતી માહિતી મુજબ આવા કેસો વડોદરાનાં દર્દીઓમાં સામે આવ્યાં છે. દર્દીઓના પેટમાં દવાની આડઅસર જોવા મળી રહી છે. કોરોના વાયરસનાં સંક્રમણ થયા બાદ સંપૂર્ણ સાજા થયેલાં લોકોમાં પેટમાં ચાંદા, હોજરી-આંતરડાંમાં કાણાં કે લોહી પડવા જેવી ફરિયાદો સામે આવી રહી છે. ડોકટર પાસે પહોંચેલા કેટલાક દર્દીઓમાં ગભરામણ અને ઊલટી બાદ અન્ય લક્ષણો શરૂ થાય છે. આ સાથે મોટી સંખ્યામાં લોકો પેટનાં રોગોનાં નિષ્ણાત ગેસ્ટ્રોલોજિસ્ટ પાસે સારવાર માટે આવી રહ્યા છે જેનાં દ્વારા આ માહિતી સામે આવી છે. આ અંગે નિષ્ણાતોનાં મત મુજબ કોરોનાની સારવાર દરમિયાન અપાયેલા સ્ટિરોઇડ્સના સંખ્યાબંધ ડોઝ આવું થવાનું મુખ્ય કારણ છે.

આ દર્દીઓ સાથે થયેલી વાતચીતમાં જાણવાં મળ્યું હતું કે જ્યારે તેઓ આ બાબતે ડોકટર પાસે ગયાં ત્યારે ડોકટરે કહ્યું કે લોહી પાતળું થવાનું કારણ છે કે લોકો અનેક દવાઓ તબીબી સલાહ વિના જાતે જ આડેધડ લઈ રહ્યાં છે અને આ દવાઓ લેતાં તેમને શરૂઆતમાં રાહત જેવું લાગે છે પરંતુ થોડા દિવસોમાં જ આડઅસર શરૂ થઈ જાય છે. ડોકટરે આગળ જણાવ્યું હતું કે તેમને જ્યારે એવી જાણ થાય છે કે આમ કરીને હોજરી-આંતરડાંને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે ત્યાં સુધીમાં રોગ આગળ વધી ગયો હોય છે અને ઘણાં કિસ્સાઓમાં આવું ખુબ જ ઘાતક સાબિત પણ થાય છે.

image source

જાણકારોનું કહેવું છે કે લોહી પાતળું કરવાની દવાઓના વધારે ડોઝથી આંતરડાંની દીવાલો ફૂલી શકે છે. આવી દવાઓના લીધે જાણે જૂની ટાયર ટ્યૂબની જેમ આંતરડાંની દીવાલો પણ સહેજ ફૂલતી હોય તેવું થાય છે અને જે ભાગ નબળો હોય છે અને ત્યાંથી લોહી પડવાનું શરૂ થઇ જાય છે. આ સ્થિતિની ગંભીરતા વિશે વાત કરતાં એક એક્સપર્ટે કહ્યું છે કે જો આ બાબતે દર્દી ધ્યાન નહીં રાખે તો પેપ્ટિક અલ્સર થયા બાદ દર્દીનું મોત પણ થઇ શકે છે અને સોજો આવવાનું કારણ એ છે કે યકૃતમાં પણ બિનજરૂરી રસાયણો વધી જાય છે જેથી સોજો આવે છે અને લીવર ફેલ્યોરની શક્યતાઓ પણ વધી જાય છે.

આ અંગે એક્સપર્ટ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે કોરોનાથી સાજા થયેલાં લોકોને સલાહ આપતાં કહ્યુ છે કે કોરોનામુક્ત થયા બાદ 7થી 10 ટકા દર્દીમાં આવી તકલીફો જોવા મળી રહી છે. આ પૈકીના મોટા ભાગના લોકો કોરોના મટ્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી લીધા પછી હોસ્પિટલના તબીબની વિઝિટ માટે નહોતા જતા કે તબીબોએ સૂચવેલા રિપોર્ટ કરાવાની પણ કાળજી લઈ રહ્યાં નહોતા જેથી આવા કિસ્સા સામે આવ્યાં છે. આથી કોરોના મટ્યા બાદ ડોકટરની દેખરેખ હેઠળ જ દવાઓ લેવી જોઇએ અને નિયમિત જરૂરી રિપોર્ટ્સ અને સલાહ મુજબ દવાઓ લેવી જોઈએ.

image source

આ અંગે ડો. દેવાંગ શાહ ગેસ્ટ્રોલોજિસ્ટ સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે કોરોના મટી ગયા પછી પણ લોહીના ગઠ્ઠા જામવાની ક્રિયા શરીરમાં ચાલુ જ હોય છે. જો દર્દી લોહી પાતળું થવાની દવા લેવાનું બંધ કરે તો હૃદય અને મગજ કે ફેફસાં ઉપરાંત આંતરડાં-હોજરીની લોહીની નળીઓમાં પણ લોહીનાં ગઠ્ઠા જામી જાય છે જેને કારણે આંતરડાં-હોજરીની અંદર જ લોહી જામતાં ગેંગરિન થઇ જાય છે. અને મોટા ભાગે દવાઓ બંધ કરતાં ગેંગરિનની શક્યતા થાય છે.

આ સ્થિતિમાં નિષ્ણાંતો સલાહ આપી રહ્યાં છે કે જો પેટ ફૂલી જવું, ઝાડા, ઉબકા જેવાં લક્ષણો જણાય તો તરત તબીબનો સંપર્ક કરવો જરૂરી છે. પ્લેટલેટ, ડી ડાઇમર સહિતના ટેસ્ટ ઉપરાંત પેટના ભાગનો સીટી સ્કેન એન્જિયોગ્રાફી સાથે કરાવવો જોઇએ. જો અગાઉ કોઇ બીમારી ન હોય પણ કોરોના બાદ પેટ ફૂલી જવું, ઝાડા (કેટલાક કિસ્સામાં લીલા રંગના) થવા, ઉબકા આવવા જેવાં લક્ષણો જણાય તો ડૉકટરનો તરત જ સંપર્ક સાધી એન્ડોસ્કોપી અને લોહીના રિપોર્ટ કઢાવી લેવા જોઈએ. હૃદયરોગના દર્દીઓ, કાર્ડિયાક ડ્રગ્સ ચાલુ હોય તેવા લોકોએ વિશેષ સાવચેતી રાખવી જોઇએ.

image source

આ મુદ્દે જ્યારે ડો.પંકજ જૈન જે એક ગેસ્ટ્રોલોજિસ્ટ છે તેમનું કહેવું છે કે પેટમાં થતાં દુખાવાની અવગણના ન કરવી જોઈએ. કોરોના મટ્યા બાદ એક મહિના સુધી દર 5 દિવસે તબીબી તપાસ અને દર 10 દિવસે રિપોર્ટસ કઢાવવાથી સાચું મૂલ્યાંકન થઇ શકે છે જેથી તેની ખાસ તકેદારી રાખવી જોઈએ જેથી આવી કોઈ સમસ્યા નો ભોગ બનવું પડે નહીં. આ સાથે જો પેટમાં ખાસ કરીને નાભિની પાછળના ભાગે દુખાવો થાય તો કોરોનાથી સાજા થયેલાં લોકોએ તેને અવગણવો જોઈએ નહીં કારણ કે આ ભાગમાં લોહીના ગઠ્ઠા જામવાની શરૂઆત હોઇ શકે છે જેથી વહેલી તકે ડોકટરોની સલાહ મુજબ સારવાર શરૂ કરવી જોઇએ.