વેક્સિનેશન શબ્દ યાદ આવે એટલે નજર સામે લાંબી લાંબી લાઈનો જ દેખાઈ. વેક્સિનેશન મિશન પૂરજોશમાં ચાલતું હોવાના સરકારી દાવા વચ્ચે દેશભરમાં ઠેર-ઠેર વેક્સિનની અછત સર્જાઈ હતી. કેટલાય રસીકરણ કેન્દ્રો વેક્સિનના અભાવે બંધ રહ્યા હોવાનો દાવો લોકોએ કર્યો હતો. ત્યારે ગુજરાતની સ્થિતિ પણ કંઈક એવી જ છે અને અવાર નવાર આવા વીડિયો સામે આવતા રહે છે. ગુજરાતમાં હાલત એવી છે કે વેક્સિનની અછતને લઈને ઠેર-ઠેર લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ઘણી જગ્યાએ તો એવી પરિસ્થિતિ છે કે વેક્સિન લેવા માટે વહેલી સવારથી કે રાત્રિએથી લોકો લાઈનો લગાવી દે છે. ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં તો કંઈક નવું જ વાતાવરણ સામે આવ્યું છે. ત્યાં એક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકો વેક્સિન લેવા માટે રાત્રે જ ભેગા થઈ જાય છે. અને ચપ્પલ મુકીને પોતાના નંબરની રાહ જોતા હોઈ છે. જો વિગતે વાત કરીએ તો ગણદેવી તાલુકામાં આવેલાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર લોકો સવારે સાત વાગ્યે ટોકન લેવા માટે રાત્રિથી ઉભા રહ્યા હોવાનું સામે આવ્યું છે.
આ સાથે જ વિગતે વાત કરીએ તો માહિતી મળી રહી છે કે આ ગામમાં કેટલાક લોકોએ તેમના ચપ્પલો મૂકીને લાઈન લગાવી હતી. ગણદેવી શહેરની વસ્તી આશરે 15000ની જ છે, તેની સામે માત્ર 50 થી 100 ડોઝ પ્રતિ દિવસ આવતા હોવાનું સામે આવ્યું છે. જે નવસારી શહેરની સંખ્યાને પહોંચી વળતા નથી એ વાત પણ બધા લોકો સમજી શકે એવી છે. જો કે સરકાર આ વાત ગળે નથી ઉતારતી એવું લાગી રહ્યું છે.
વેક્સિનેશનની સ્થિતિ વિશે વાત કરીએ તો શહેરમાં વસતા મોટાભાગના વેપારીઓ સાથે સામાન્ય શહેરીજનોનો હજુ ફર્સ્ટ ડોઝ બાકી છે. ત્યારે 31મી જુલાઇની ડેડલાઇન કઈ રીતે પૂરી થશે તે અંગે લોકોમાં પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે. આરોગ્ય કેન્દ્ર મુજબ આજે 200 જેટલાં ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ત્યારે સરકાર જ્યારે સો ટકા રસીકરણના અભિયાનને વેગ આપી રહી છે ત્યારે બીજી તરફ વેક્સિનનો અપર્યાપ્ત જથ્થો શહેરીજનોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે.
રસીકરણની વાત ચાલી રહી છે ત્યારે આજની વાત કરીએ તો હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કોરોનાની રસી લેવા અંગે લાંબા સમયથી સંશય બનેલો હતો. પણ હવે સમાચાર એ છે કે કોંગ્રેસ નેતાએ ગુરુવારે એટલે કે ગઈકાલે રસી લઈ લીધી છે અને આજે તેઓ સંસદમાં પણ આવ્યા નહોતા. લાંબા સમયથી રાહુલ ગાંધીના રસી લેવા અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી કે શું તેમણે રસી લીધી છે કે નહીં, આ અંગે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રશ્નો પણ પૂછવામાં આવી રહ્યા છે.