ઝાડા-ઊલટી થતાં 13 કલાકમાં જ પિતા અને પછી 3 વર્ષના પુત્રનું મોત, પરિવારમાં શોકનો માહોલ

કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલા જે. પી.ની લાટીના છાપરામાં દૂષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે. 100 જેટલાં ઘરોમાં દરેકના ઘરમાં એક-બે વ્યક્તિ આ ઝાડા-ઊલટી  સહિતની બીમારીઓમાં સંપડાઈ ગયા છે. છેલ્લા 15 દિવસથી અહીં દૂષિત પાણી આવે છે, જે અંગે તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લેવાયાં ન હતાં, જેને પગલે રોગાચાળો ફાટી નીકળતાં ઘરે-ઘરે બીમારીના ખાટલા જોવા મળે છે, જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્થાનિકોએ ત્રણ મોત માટે તંત્રને જવાબદાર ઠેરવ્યું છે. ખૂબ જ દુર્ગંધ મારતું તેમજ દૂષિત પાણી આવતું હોવા અંગે સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી.

image source

જોકે તંત્ર દ્વારા આ દિશામાં કોઈ પગલાં ન લેતાં પરિસ્થિતિ વણસી ગઈ છે. રોગચાળાની સ્થિતિને પગલે પાલિકાની આરોગ્યની 10 ટીમને દોડતી કરાઈ હતી. જે. પી.ની લાટીના છાપરા અને આસપાસના વિસ્તારોમાં પણ આરોગ્યની ટીમ દ્વારા મુલાકાત લેવાઈ હતી, જેમાં 1 હજાર ઘરોમાં ઓઆરએસ, જરૂરી દવાઓ અને પાણી શુદ્ધ કરવા માટે ગોળીઓ આપવામાં આવી હતી. કલોલ સિવિલ, પ્રાઈવેટ હોસ્પિટલ્સ અને ઘરે પણ લોકો સારવાર લઈ રહ્યા છે, જોકે બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોતને પગલે તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ તો ચોમાસાની સીઝનનો સારો વરસાદ પણ થયો નથી ત્યારે જ કલોલમાં જે રીતે દૂષિત પાણીને કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે એના પરથી લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જ્યારે સારો વરસાદ પડશે, એને કારણે ફેલાતી ગંદકી અને માખી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળામાં વધારો થવાની હાલ શક્યતા જણાઈ રહી છે ત્યારે નગરપાલિકા તરફથી નગરમાં જ્યાં સંભવિત રોગચાળાની સ્થિતી ઊભી થાય એમ લાગી રહ્યું છે એવા વિસ્તારોમાં અત્યારથી જ તકેદારીના પગલારૂપે જે-તે વિસ્તારમાં ગંદકી અને પાણીને લગતી સમસ્યા હોઈ, એનો ઉકેલ લાવી આગામી સમયમાં આ વિસ્તાર જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ દિશામાં પગલાં લઈ શહેરીજનોને સંભવિત રોગચાળાના ખતરાથી બચાવવા માટે નક્કર આયોજન હાથ ધરવું જોઈએ, એવી નગરજનોની માગણી છે.

પાણીનો સપ્લાય બંધ કરાયો, ટેન્કરથી પાણી અપાશે

image source

પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા, જેમાં સ્થાનિકો સાથે વાતચીત કરીને દૂષિત પાણીની સમસ્યાનું કારણ શોધવા મથામણ કરી હતી. સમગ્ર મુદ્દે કલોલ પાલિકાની ચીફ ઓફિસર નીતિનભાઇ બોડાતે કહ્યું હતું કે ‘જે વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા છે ત્યાં પાણીનો સપ્લાય બંધ કરાયો છે, થોડા દિવસ ટેન્કરથી પાણી પહોંચાડાશે. પાણીનાં સેમ્પલો લઈને એને ચકાસણી માટે મોકલી અપાયાં છે.’

પુત્રની દફનવિધિ સમયે જ પિતાના મોતના સમાચાર આવ્યા

image source

રોગચાળાને પગલે આ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય કિશોરભાઈ માણેકભાઈ દેવીપૂજક તથા તેમના 3 વર્ષના દીકરા કરણનું મોત થયું છે. પતિ-પુત્રના મોતને પગલે નિરાધાર બન્યા. આસપાસના લોકોએ કહ્યું હતું કે શનિવારે 12 વાગ્યે કરણ બીમાર થતાં તેને દાખલ કરાયો હતો, જેનું રાત્રે 8 વાગ્યે મોત થયું હતું. બીજી તરફ શનિવારે સાંજના સમયે કિશોરભાઈને સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં રવિવારે સવારે 9 વાગ્યે તેમનું મોત થયું હતું. કરણનું રાત્રે મોત થતાં બાદ રવિવારે સવારે તેની દફનવિધિ કરાઈ હતી. ત્યારે પિતાના મોતના સમાચાર આવ્યા હતા.

રોગચાળામાં માતા-પિતાએ 6 વર્ષની દીકરી ગુમાવી

image source

આ જ વિસ્તારમાં રહેતા મનોજભાઈ મારવાડીએ પોતાની 6 વર્ષની દીકરી સીમર ગુમાવી છે. તેમને કહ્યું કે ‘શનિવારે સાંજે સીમરની તબિયત બગડતાં સિવિલ લઈ જવાઈ હતી, જ્યાં બાટલો ચઢાવવાની સહિતની સારવાર શરૂ કર્યાના 15 મિનિટમાં જ મોત થયું.