અમદાવાદ-સુરત બાદ ગુજરાતના આ શહેરમાં કરફ્યૂના સમયમાં કરાયો વધારો, જાણો નહિં તો…
રાજ્યમાં જે રીતે એક પછી એક મોટા શહેરો માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવી રહ્યા છે તેને જોતાં એક વાત તો સ્પષ્ટ થઈ ચુકી છે કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. તાજેતરમાં જ ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો તે વાતને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ફરી એકવાર લોકોને લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળે તેવા એંધાણ મળી રહ્યા છે.
જો કે સરકાર હાલ તો રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કરવાના મૂડમાં નથી પરંતુ જે શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં સ્થાનિક મહાપાલિકાઓ આંકરા નિર્ણય લઈ રહી છે. રાજ્યમાં સૌથી વધુ કેસ હાલ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નોંધાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરત મહાપાલિકાએ તો પહેલાથી જ કડક નિર્ણય લઈ લીધા છે.
અમદાવાદ અને સુરત બંને જગ્યાએ રાત્રી કર્ફ્યુનો સમય 10 કલાકને બદલે 9 કલાક કરી દેવામાં આવ્યો છે અને સાથે જ શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે શહેરના તમામ મોલ અને મલ્ટીપ્લેક્ષ પણ બંધ રાખવા આદેશ કરાયો છે. આ બે જગ્યાઓ એવી છે જ્યાં શનિવાર અને રવિવારના દિવસોમાં વધારે ભીડ થતી હોય છે.
આ સિવાય બંને શહેરોમાં જાહેર બગીચા પણ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ વડોદરાના ઓએસડી વિનોદ રાવે પણ સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે કે વડોદરામાં પણ રાત્રિ કર્ફ્યુ 9 વાગ્યાથી અમલમાં આવશે. આ ઉપરાંત વડોદરામાં પણ શનિવાર અને રવિવાર એમ બે દિવસ મોલ, મલ્ટીપ્લેક્ષ બંધ રહેશે. જો કે અહીં હજુ સુધી સીટી બસ સર્વિસ યથાવત રાખવામાં આવી છે. પરંતુ તંત્રએ સીટી બસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે વાતનું કડકાઈથી પાલન કરવા આદેશ કર્યા છે. વડોદરામાં પણ તાત્કાલિક અસરથી બાગ બગીચા બંધ કરી દેવામાં આવ્યા છે.
વડોદરામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈ તુરંત જ કોચિંગ ક્લાસ પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી વડોદરા શહેરના આશરે 1700 જેટલા ક્લાસ ફરીથી બંધ થયા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સરકારે શાળા અને ક્લાસ ફરીથી શરુ કરવા મંજૂરી આપી હતી. તેવામાં ફરી એકવાર ક્લાસ, શાળા કોલેજો બંધ કરવાનો વારો આવ્યો છે.
વડોદરામાં વધતાં કેસને લઈને હોસ્પિટલના તબીબો સાથે પણ વિનોદ રાવે મહત્વની બેઠક કરી હતી. જેમાં ટેસ્ટીંગ, સ્ક્રીનીંગ અને સારવાર અંગેની વ્યવસ્થાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના કેસમાં જબરો ઉછાળો આવ્યો છે. અહીં હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા એક સમયે 500 જેટલી હતી જે હવે 2000થી વધી ચુકી છે.