અમદાવાદ મનપાના જન્મ મરણના રેકોર્ડમાં નોંધ બદલી આપવાના બદલે 2500 રુપિયામાં કામ કરી દેતા એક વ્યક્તિની ઓળખ સામે આવી છે. આ ખરેખર ઘણું ચિંતાજનક છે કારણ કે આનાથી મનપાના વિભાગની પોલંપોલ તો સામે આવી જ છે, પરંતુ મનપાના રેકોર્ડની બેદરકારી અને કોઈ પણ પ્રકારની છેડછાડ માત્ર અમુક પૈસામાં પોસિબલ છે તે પણ જાહેર થઈ ગયું છે.
આ વિશેમા મનપાના જન્મ મરણ વિભાગમાં કામ કરતા દિવ્યેશ નામધારીએ કોરોનાકાળમાં એક બાળકના દાખલામાં ચેડા કરીને તેના નામમાં ફેરફાર કરી આપ્યો હતો. મનપાના નિયમો પ્રમાણે જો એક વાર કોઈ નામ નોંધાઈ જાય તો પાછળથી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી.
જો કે આ ઘટનામાં અહીં આઉટસોર્સિંગ તરીકે કામ કરતા માણસે 2500 રુપિયા લઈને નામમાં ચેડા કરીને તેમાં ફેરફાર કરી આપ્યો હતો. આ અંગે અધિકારીઓએ તપાસ કરી હતી અને આ જાણકારીમાં તથ્ય લાગતા કર્મચારીને તાત્કાલિકે કામ પરથી છૂટો કરી દેવાયો હતો. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે, આ અંગે કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે સંબંધિત કર્મચારીની સામે તપાસ ચાલુ કરી દેવાઈ છે અને તેની સામે કાર્યવાહી કરીને પગલાં પણ લેવામાં આવશે. સાથે જ આ વિષયમાં પોલીસ ફરિયાદ પણ કરી દેવાઈ છે.
આ ખરેખર બહુ ચિંતાજનક બાબત છે કારણ કે જો આ પોસીબલ છે તો પછી કોઈ પણ વ્યક્તિ અમુક રકમ આપીને અન્ય કોઈ પણ વ્યક્તિના અથવા પોતાના જૂના સંબંઘિત રેકોર્ડમાં સુધારો કરાવી શકે છે, આનાથી વ્યક્તિની મૂળભૂત ઓળખાણને જ સીધી અસર થાય છે. સંપત્તિના વિવાદો, અન્ય કાયદાકીય બાબતો કે પછી સુરક્ષા જેવા વિષયો માટે પણ આ ખરેખર ખૂબ જ ધ્યાન ખેંચનારી બાબત છે. અસામાજિક ત્તત્વો આપણી સિસ્ટમમાં રહેલા આવા છીંડાનો ભરપૂર ઉપયોગ કરીને પોતાનું ધાર્યું કરી શકે તેવી પણ સંભાવના અસ્થાને નથી. બને તેટલું જલ્દીથી આવા રેકોર્ડને ડિજિટલાઈઝ કરીને તેની સુરક્ષાની સંપૂર્ણ ખાતરી કરવી જોઈએ. કેમ કે આ વ્યક્તિની ઓળખાણ સાથેનો મુદ્દો છે અને આ બાબતે જો કશુંક પણ અણછાજતું થાય લોકોને મોટું નુકસાન થઈ શકે છે.