એક તરફ રાજ્યમાં અને દેશમાં ઘટતા કોરોનાના કેસની સંખ્યા જોઈ લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે અને તેવામાં એક ચિંતાજનક જાણકારી સામે આવી રહી છે. કોરોનાની બીજી લહેરની પીકમાં જે ભયંકર દ્રશ્યો અને સ્થિતિ સર્જાઈ હતી તેનાથી પણ વધારે ખરાબ સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જી હાં કોરોના મહામારીનું ભયંકર સ્વરૂપ ભારતમાં ફરી એકવાર જોવા મળી શકે છે.
તાજેતરમાં જ નીતિ આયોગે કોરોનાની ત્રીજી લહેર અંગે ચેતવણી જારી કરી એક એહવાલ રજૂ કર્યો છે. છે. નીતિ આયોગે આશંકા વ્યક્ત કરી છે કે આગામી માસથી એટલે કે સપ્ટેમ્બરમાં દરરોજ 4 થી 5 લાખ કોરોના કેસ સામે આવી શકે છે. આ અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે કોરોના સંક્રમિત થતા દર 100 કોરોનાના કેસમાંથી 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવી પડી શકે છે. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગે બે લાખ આઈસીયુ બેડ અગાઉથી તૈયાર રાખવાની જરૂર છે.
નીતિ આયોગે કોરોનાની બીજી લહેર બાદ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડ બેડ અલગ રાખવાની ભલામણ પણ કરી છે. કમિશનનું કહેવું છે કે ખરાબ પરિસ્થિતિ એટલે કે ત્રીજી લહેરનો સામનો કરવા માટે અગાઉથી તૈયાર રહેવું પડશે. સપ્ટેમ્બર સુધીમાં બે લાખ આઈસીયુ બેડ તૈયાર કરવા જોઈએ. આ સિવાય 1.2 લાખ વેન્ટિલેટરવાળા આઈસીયુ બેડ, 7 લાખ ઓક્સિજન બેડ અને 10 લાખ કોવિડ આઇસોલેશન કેર બેડ તૈયાર હોવા જોઇએ.
નીતિ આયોગે અગાઉ સપ્ટેમ્બર 2020 માં પણ કોરોનાની બીજી લહેર અંગે આગાહી કરી હતી. ત્યારે નીતિ આયોગે 100 ચેપગ્રસ્તમાંથી ગંભીર કોવિડ લક્ષણો ધરાવતા 20 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે અંદાજ ગત વખત કરતા વધારે છે.
મહત્વનું છે કે હાલની સ્થિતિની વાત કરીએ તો ભારતમાં સતત 56 દિવસથી 50,000 થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે. રવિવારે આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર કોરોનાના કુલ 30,948 નવા કેસ નોંધાયા અને 403 લોકોના મોત થયા હતા. ભારતમાં કોવિડથી રિકવરી રેટ વધીને 97.57 ટકા થયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં અત્યાર સુધી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,16,36,469 થઈ ગઈ છે.