આખો પરિવાર ગુમ થતા શહેરમાં ભારે ચકચાર મચી, 10 દિવસથી નથી મળી રહી કોઇ ભાળ
જામનગરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરના ગોકુલ નગર એક પરિવારના પાંચ સભ્યો અચાનક કોઈપણ કારણોસર ગુમ થયા હતા. જેને લઈ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, આ પરિવાર કયા કારણોસર લાપતા બન્યો છે અને ક્યાં ગયો છે. જામનગર સીટીસી ડિવિઝનમાં પરિવાર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસને ઘરમાંથી મોબાઈલ ફોન અને સીમ કાર્ડ તુટેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમજ પોલીસે સગા સંબંધીઓ સાથે તપાસ કરતા આર્થીક સંકળામણના કારણે પરિવારજનો ઘરેથી જતા રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
શહેરમાં એક જ પરિવારના 5 સભ્યો ગુમ થતા ભારે ચકચાર મચી છે. આ પરિવારના અરવિંદ નિમાવત (ઉ.વ.-52) , તેમના પત્ની શિલ્પા નિમાવત (ઉ.વ.-45), દીકરી કિરણ નિમાવત (ઉ.વ.-26), રણજીત નિમાવત (ઉ.વ.24) અને કરણ નિમાવત (ઉ.વ.-22) રહે ગોકુલનગર રડાર રોડ નવા નગર શેરી નં 5 મોબાઇલ પાન વાળી શેરી પ્રફુલભાઇ સવાણીના મકાનમાં રહેતા હતા. આ તમામ લોકો ગત 11 માર્ચના રોજ કોઈપણને જાણ કર્યા વગર ઘરથી ચાલ્યા ગયા છે. અરવિંદ નિમાવત હોટલના ધંધા સાથે સંકળાયેલા હતા.
આ અંગેની ગઈકાલે જામનગર સીટી સી ડિવિઝનમાં જાણ કરાઈ હતી. ખાસ કરીને આ પરિવાર કયા કારણથી લાપતા બન્યો છે, ક્યાં છે અને ક્યાં ચાલ્યો ગયો છે તે અંગે જામનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ પરિવારના કોઈપણ સભ્યો વિશે જાણ થાય તો તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવે તેવો પોલીસ દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.
પી.આઈ એન. એ. ચાવડાએ જણાવ્યું હતું કે, ગોકુલ નગરમાં રહેતો એક પરિવાર ગુમ થયો છે. ત્યારે મોબાઈલ અને સીમકાર્ડ ઘરેથી તુટેલી હાલતમાં મળી આવ્યાં છે. ટેકનિકલ એનાલીસીસ અને સગા સંબંધીની પૂછપરછ કરવામાં આવી છે. તપાસમાં એવુ જાણવા મળ્યુ છે કે, આર્થિક સંકળામણના કારણે ઘરેથી ચાલ્યા ગયા છે. આગળ વધુ તપાસ ચાલુ છે.