આજથી રાજ્યભરમાં એ લોકોને 50,000 રૂપિયાની સહાયનું વિતરણ શરુ થયું છે જેમણે કોરોનાની મહામારીમાં પોતાના સ્વજન ગુમાવ્યા છે. રાજ્ય સરકાર તરફથી જે સહાય મળનાર છે તેના માટે લોકોને ભારે હાલાકીનો સામનો ઘણી જગ્યાએ કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોની ફરિયાદો એવી પણ છે કે તેમના પરિજનો કોરોનામાં મૃત્યુ પામ્યા છે પણ તેમના ડેથ સર્ટીફિકેટમાં આ વાતનો ઉલ્લેખ નથી. આવા લોકોએ શું કરવું, ફોર્મ ક્યાંથી લેવા, શું પ્રોસેસ કરવી તે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જેમના પરીજનો કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેમને રાજય સરકારે 50 હજારની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ઠેરઠેર રીતસર લોકોની સહાય લેવા માટેના ફોર્મ માટે પડાપડી થઈ હતી. સહાય માટેના ફોર્મ લેવા જવા, તેને ડોક્યુમેન્ટ સાથે ફરી જમા કરાવવા માટે મોટી સંખ્યામાં લોકોને કલેક્ટર કચેરી તેમજ મ્યુનિસિપલ સિવિક સેન્ટરના ધક્કા ખાવા પડી રહ્યા છે.
આવી સ્થિતિમાં લોકોની મદદ કરવા અને તેમને અગવડ ન પડે તે માટે મદદ કરવા બાપુનગરના ભાજપના કોર્પોરેટરે એક ઉમદા કામ કર્યું છે. લોકોને સરકારી સહાય મેળવવા માટે જરૂરી ફોર્મ લેવા અને તેને જમા કરાવવા માટે કોઈ ધક્કા ખાવા ન પડે અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે તેના કાર્યાલય ખાતે જ એક હેલ્પ ડેસ્ક શરૂ કરી દેવામાં આવ્યું હતું.. એટલું જ નહીં અહીંયા બાપુનગરના એવા લોકો જેમનું મોત કોરોનામાં થયું છે તેમની યાદી પણ તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત આજે તેમને ફોર્મ અને સહાય માટે જરૂરી એવા ડોક્યુમેન્ટ સાથે બોલાવવામાં આવ્યા હતા.
કાર્યાલય પર સહાયના માટે જરૂરી ફોર્મ ચેક કરી નોટરી કરાવવામાં આવી અને ત્યાં જ ફોર્મ મામલતદારને જમા કરાવી દેવામાં આવશે. આ કામથી સહાય માટે લોકોને મામલતદાર ઓફિસે ધક્કા ખાવા પડ્યા ન હતા. .
ઉલ્લેખનીય છે કે બાપુનગર વોર્ડમાં કોરોનાથી 160 લોકોના મોત નીપજ્યા હતા જેની યાદી કાર્યાલયે એકત્ર કરવામાં આવી હતી. આ તમામ લોકોને કયા કયા ડોક્યુમેન્ટ આપવાના તેની માહિતી વોટ્સએપ કરી દેવામાં આવી હતી. તમામ ડોક્યુમેન્ટ સાથે જ વારસદારો કાર્યાલય ખાતે આવ્યા હતા ને ફોર્મ જમા કરવામાં આવ્યા હતા.