કોરોના સિવાય આ વાયરસ પણ બને છે મોતનું કારણ, જાણો કેવી રીતે શ્વસન તંત્રને કરે છે અસર
કોરોનાની પહેલી અને બીજી લહેરે ભારત સહિત વિશ્વભરના દેશોને ખરાબ રીતે પ્રભાવિત કર્યા છે. કરોડો લોકો તેનાથી સંક્રમિત થયા અને લાખો લોકો મૃત્યુ પામ્યા. જો કે કોરોના માટેની દવા અને રસી બાદ લોકોને ઘણી રાહત મળી છે. પરંતુ તેમ છતાં વિશ્વભરમાં ત્રાટકેલા કોરોના વાયરસ બાદ હવે જ્યારે કોઈપણ વાયરસનું નામ આવે તો તેને સાંભળીને દરેકના મનમાં એક જ વાત આવે છે વાયરસ એટલે કે સાર્સ કોવ -2.
પરંતુ એ જાણવું જરૂરી છે કે શ્વસનતંત્રને અસર કરતા કોરોના સિવાયના અન્ય ઘણા વાયરસ પણ છે. જેમ કે ઈન્ફલ્યુએન્ઝા-એ અને રેસ્પિરેટરી સિંસિશિયલ વાયરસ, જે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુનું કારણ બને છે. જાણીને નવાઈ લાગશે કે ઈન્ફલ્યુએન્ઝા અને સાર્સ કોવ -2 સિવાય આમાંથી કોઈ પણ વાયરસ માટે કોઈ રસી કે અસરકારક સારવાર પણ ઉપલબ્ધ નથી.
ગ્લાસગો યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા એક સંશોધન અભ્યાસમાં સમજાવવામાં આવ્યું છે કે જ્યારે એકથી વધુ વાયરસ માનવ શરીર પર એક સાથે હુમલો કરે છે ત્યારે શું થાય છે અને તેને રોકવા માટે આપણે શું કરવું જોઈએ. સંશોધકોના મતે આ સ્થિતિને ‘કો-ઇન્ફેક્શન’ કહેવામાં આવે છે.
સંશોધન જણાવે છે કે સંક્રમણના 30 ટકા કેસોમાં એક કરતા વધારે વાયરસ કારણભૂત હોય શકે છે. તેનો અર્થ એ છે કે અમુક સમયે બે અલગ અલગ વાયરસ તમારા નાક અથવા ફેફસાના કોષોને સંક્રમિત કરે છે. જ્યારે આ અલગ અલગ વાયરસ એક જ કોષમાં ભેગા થાય છે ત્યારે વાયરસનું નવું સ્વરૂપ દેખાય છે અને તેને ‘એન્ટિજેનિક શિફ્ટ’ કહેવામાં આવે છે.
સંશોધન દરમિયાન આઈએવી અને આરએસવીથી કોશિકાઓને સંક્રમિત કરવામાં આવી. ત્યારબાદ સંશોધકોએ શોધી કાઢ્યું કે કેટલાક માનવ ફેફસાની કેટલીક કોશિકા બંને વાયરસથી સંક્રમિત થઈ અને તેમાંથી જે વાયરસ સામે આવ્યો તેમાં બંને વાયરસની લાક્ષણિકતાઓ હતી. નવા સ્વરૂપના વાયરસમાં બંને વાયરસના પ્રોટીન તેમની સપાટી પર હતા. જ્યારે કેટલાકમાં બંનેના જીન પણ હતા.
રોગાણુઓનો અભ્યાસ રસી અને સારવારના વિકાસ માટે જરૂરી હોય છે.. પરંતુ પ્રથમ આવશ્યકતા સુરક્ષાની હોય છે. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે સંશોધકોએ આ અભ્યાસમાં કોઈ જેનેટિક ઈંજીનિયરિંગ કરી ન હતી. પરંતુ મોડેલ દ્વારા તેઓ સમજી ગયા કે વાસ્તવિક દુનિયામાં શું થઈ રહ્યું છે અને આ બધું તેમણે પ્રયોગશાળામાં સલામત વાતાવરણમાં કર્યું.
સંશોધકો સ્પષ્ટપણે કહે છે કે કોઈપણ રોગ વધે તેના ઘણા તબક્કા હોય છે. રોગો કેવી રીતે ફેલાય છે, બેક્ટેરિયા, વાયરસ અથવા અન્ય કારણ. તેનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. કારણ કે તેમના વિશે અભ્યાસ કર્યા પછી જ સારવાર માટે દવા અથવા નિવારણ માટેની રસી બનાવી શકાય છે.