12 વર્ષના બાળકનું થોડા દિવસ પહેલા આ વાયરસથી થયું હતું મોત, જાણો કેવી રીતે લોકો બની રહ્યા છે વાયરસનો શિકાર
કેરળના તિરુવનંતપુરમના થિરુમાલામાં અનેક ચામાચીડીયા ઝાડ પર લટકતા જોવા મળે છે. રસ્તા નજીક ઊભેલા ઝાડ પર મોટી સંખ્યામાં ચામાચીડીયા લટકતા હોય છે. અહીં રોજ લોકો ચાલવા પણ નીકળતા હોય છે પરંતુ ગત સપ્તાહમાં અહીં એવી અફવા ફેલાય કે જ્યાર બાદ લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં ચામાચીડીયા ચર્ચાનો વિષય બન્યા છે.
વાત બની એવી કે રાજ્યમાં નિપાહ વાયરસથી 12 વર્ષના બાળકનું મોત થયું હતું જ્યારબાદ લોકોમાં ભય અને ચિંતા છે. જો કે રાહતની વાત એ છે કે બાળકના નજીકના લોકો ટેસ્ટમાં નેગેટિવ મળ્યા હતા. પરંતુ વાયરસનો સ્ત્રોત શું છે તે જાણી શકાયું નથી. કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ પણ કહ્યું છે કે સંક્રમણ કેવી રીતે લાગ્યું તેના વિશે તપાસ ચાલી રહી છે. પૂનાની ટીમે વિવિધ નમૂના લીધા છે જેના પરથી આ જાણકારી મળશે. રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે જે બાળકનું મોત નિપાહ વાયરસથી થયું તેના ઘરથી ત્રણ ત્રણ કિલોમીટર દૂરના વિસ્તારનો પણ સર્વે કર્યો હતો.
આ તમામ વચ્ચે સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક શરુ થયા છે. કેટલાક લોકોનું કહેવું છે કે અધિકારીઓને ઝાડ કાપવાનું કહેવામાં આવશે ?, ઘણા લોકોને ડર છે કે જ્યાં આટલા ચામાચીડીયા રહેતા હોય ત્યાંથી લોકો કેવી રીતે પસાર થઈ શકે. વળી કોઈનું તો કહેવું છે કે ચામાચીડીયાને પરેશાન કરવામાં આવે તો તે બીજી પ્રજાતિને વાયરસથી સંક્રમિત કરી શકે છે. આ ચામાચીડીયા વાયરસથી ભરેલા હોય છે અને તેને કોઈપણ જગ્યાએ ફેલાવી દે છે.
આ વાતની પુષ્ટિ થઈ નથી કે નિપાહ વાયરસ કેવી રીતે ફેલાયો પરંતુ લોકોમાં અફવાનું બજાર ગરમ થયું છે. કેરળમાં 2018માં પહેલીવાર નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો. જેમાં 17 લોકોનો જીવ ગયો હતો. 2019માં એક વ્યક્તિ સંક્રમિત થઈ હતી. પરંત તે બચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે કોઝિકોડ જિલ્લામાં એક 12 વર્ષના બાળકનું મોત નિપાહ વાયરસથી થયું હતું.