ખરેખર જાણવા જેવું છે હરતાફરતા આ ભગવાનદાસ વિશે, કે જેમને દેશ માટે કર્યું છે આવું ઉમદા કામ

અમદાવાદઃ સંશોધન એ એક જાતનું ધન જ છે, પણ ગુજરાતીઓ ધનની પાછળ એટલા પડેલા રહે છે કે તેમને સંશોધનનો મહિમા સમજાતો નથી. જો કે ગુજરાતને ઝવેરચંદ મેઘાણી સહિત કેટલાક એવા લોક સમર્પિત અને નિસબતી સંશોધકો મળ્યા છે કે ગુજરાતે સંશોધનના નામે બિલકુલ નાહી નાખ્યું છે એવું કોઈ મહેણું મારી શકે તેમ નથી.

ભગવાનદાસ પટેલ એક એવું નામ છે જેમણે આદિવાસીઓના સંશોધન અને ઉત્કર્ષ માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે અને આજે 78 વર્ષની જૈફ વયે પણ, અમદાવાદના વસ્રાપુર વિસ્તારમાં આવેલા પોતાના નાનકડા ફ્લેટમાં બેસીને દરરોજ આ કાર્ય કરી રહ્યા છે.

ભગવાનદાસ પટેલે પોતાના એક આયખામાં જે કુલ કામગીરી કરી છે તેની પૂરું બયાન કરવા બેસીએ તો એક આખું પુસ્તક જ લખવું પડે, પણ આપને તેના મહત્ત્વના મૂકામો જણાવું.

ભગવાનદાસ પટેલ ખેડબ્રહ્મામાં ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક હતા. એક દિવસ તેઓ જતા હતા. તેમની આગળ આદિવાસી ભાઈ-બહેનો જતાં હતાં. તેઓ એક ગીત ગાતાં હતાં. (આદિવાસીઓને ગીત અને નૃત્ય વિના બિલકુલ ના ચાલે) ભગવાનદાસને ભીલી બોલીમાં ગવાતું એ ગીત, તેના શબ્દો, તેનો લય ગમ્યાં. તેમણે એ ગીતની એક પંક્તિ યાદ રાખી. બીજા દિવસે તેમણે પોતાના એક સ્થાનિક આદિવાસી મિત્રને એ પંક્તિનો અર્થ પૂછ્યો. અર્થ સાંભળીને ભગવાનદાસ તો ચકિત થઈ ગયા. એ પંક્તિમાં ભારોભાર કાવ્યતત્વ ભરેલું હતું.

એને જાણવા રહેલાં એક પંરપરા વિશે જાણવું પડશે.

ખેડબ્રહ્મા અને દાંતા વિસ્તારના આદિવાસી સમુદાયમાં કેટલાક વિશિષ્ટ રિવાજો. એક રિવાજ એવો કે આદિવાસી છોકરા અને છોકરીઓ ગોઠી (બોયફ્રેન્ડ) અને ગોઠણ (ગર્લફ્રેન્ડ) રાખી શકે. એ મિત્રતા એટલી પાકી હોય કે તેઓ શરીર સંબંધ પણ રાખી શકે અને બાળક પણ થાય. ઘણી વાર એવું બને કે આદિવાસી યુવતિને લગ્નની પીઠી ચોળાતી હોય તેમના ખોળામાં બાળક ધાવતું હોય. આટલી મુક્ત વિચારધારા. જોકે લગ્ન થઈ જાય પછી સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવાય. જો ગોઠી-ગોઠણ સંબંધ રાખે તો કડક સજા કરાય.

હવે વાત કરીએ એ ગીતની. એ ગીતમાં ગોઠણ (ગર્લફ્રેન્ડ) પોતાના ગોઠી (બોયફ્રેન્ડ)ને ઉદેશીને કહે છે કે.. હે મારા ભેરુ, મારા લગ્ન થઈ જશે એટલે હું તો દૂર જતી રહીશ. એ પછી આપણે કેવી રીતે મળીશું ?? એ પછી ગોઠણ જ ઉપાય પણ સૂચવે છે… હું જે દિશામાં રહેતી હોઉં એ દિશામાં અરીસો ધરજે, હું અરીસાના પ્રતિબિંબ વાટે તને મળવા આવીશ..

કેવી ઉમદા કલ્પના…!!

ભગવાનદાસને થયું કે આદિવાસી બંધુઓ પાસે આવી તો કેટલી કવિતાઓ-ગીતો હશે… તેઓ પોતે કવિતા લખતા હતા, પણ આ ગીત સાંભળીને તેમણે સંકલ્પ કર્યો કે જે ગીતો-કવિતાઓ આ લોકોના હોઠ પર, જીભ પર અને હૃદયમાં છે તેને ભેગાં કરવાં જોઈએ. એ સહજ સંકલ્પ 1980માં થયો હતો. એ પછી આજ સુધી 40 વર્ષથી તેઓ સતત સંશોધન કરી રહ્યા છે. આદિવાસીઓના ઘરે ઘરે- ઝૂંપડે ઝૂંપડે જઈને તેમણે, જાનના જોખમે સંશોધન કર્યું છે. 1500 ઓડિયો સીડી અને 50 જેટલી વિડિયો કેસેટમાં તેમણે બધું સંગ્રહી લીધું છે. આદિવાસીઓના ઋતુચક્ર અનુસારનાં ગીતો, લોકકથાઓ આખ્યાનો, પુરાકાતાઓ, ગીત કથાઓ, મહાકાવ્યો, આદિવાસી લોકસાહિત્ય શાસ્ત્ર આ બધાનો તેમણે ટેકનોલોજીની મદદથી સંગ્રહ કર્યો. પોતાના જીવનના સાડા ત્રણ દાયકાની એક એક ક્ષણ તેમણે આ માટે સમર્પિત કરી.

……..

આવા જ એક સંશોધન માટે ભગવાનદાસ પટેલ એક ગામમાં જતા હતા. સામા કિનારે જવું હતું અને વચ્ચે ધસમસતી હતી નદી. સામે કિનારે લગ્નની શરણાઈ વાગતી હતી. એક આદિવાસી બધાભાઈએ ભગવાનદાસને કહ્યું કે હું ગોળા વાટે તેમને સામે કિનારે લઈ જાઉં. ભગવાનદાસએ ટેપરેકોર્ડર સહિતના સામાન ગોળાની અંદર મૂક્યો. બધાભાઈ, ભગવાનદાસ અને તેમનો અન્ય એક વિદ્યાર્થી, ત્રણેય જણા ગોળાને પકડીને નદી પાર કરવા પડ્યા.

બધાભાઈએ ઉપર પહેરણ પહેરેલું નહી, તેમને કંઈક અડ્યું એટલે તેમણે તરાપ મારી, તેમના હાથમાંથી ગોળો છટકી હતો. હવે ત્રણેય ધસમસતા પાણીમાં ડૂબવા લાગ્યા. સામા કિનારે આદિવાસી લોકોનું ટોળું ઊભું હતું. બધા સામૂહિક રીતે નદીમાં પડ્યા ને તેમણે ચારેબાજુથી ત્રણેયને પાણીમાં ઘેરીને બચાવી લીધા. ભગવાનદાસને થયું મારું જીવન આ આદિવાસીઓએ બચાવ્યું. મારા હવેના જીવન પર તો તેમનો જ હક્ક. આ વાત 1983 આસપાસની. સંશોધનનો તેમનો એ સંકલ્પ એ પછી તો વ્રત (મિશન) બની ગયો.

સંશોધન યાત્રા દરમિયાન આવું તો ઘણી વાર બન્યું કે ભગવાનદાસને મળવા મૃત્યુ આવ્યું હોય, હાય-હેલ્લો કરી, હાથ મિલાવીને પાછું ગયું હોય. નિર્દોષ અને ભોળા આદિવાસીઓની દુઆની પણ કંઈક અસર હોય ને…

…….

ખેડબ્રહ્મા અને દાંતા વિસ્તારના ભીલોમાં ડાકણપ્રથા અમલમાં હતી. કોઈ સ્ત્રીને કોઈ કારણસર ડાકણ જાહેર કરાય અને પછી તો તેની સાથે જે અમાનવીય વ્યવહાર કરાય તેનું બયાન કરીએ તો શબ્દો પણ રડવા લાગે.

ભગવાનદાસ પટેલનું હૃદય આ જોઈને કકળી ઊઠ્યું. તેમણે આ અમાનવીય પ્રથાને દૂર કરવા કમર કસી. તેમને સાથ આપ્યો તેમનાં પ્રોફેસર દીકરી જિગ્નાસાબહેને. 1994થી 2001 દરમિયાન તેમણે આદિવાસી સમુદાયને માનસિકતા બદલવા, નાટકો સહિતનાં અન્ય માધ્યમોનો પ્રયોગ અને ઉપયોગ કરીને સફળતા મેળવી. વર્ષો જૂની ડાકણ પ્રથાને બંધ કરવામાં તેમને સપળતા મળી તેનું એક કારણ હતું ભગવાનભાઈના હૃદયના ખૂણેખૂણામાં વ્યાપી ચૂકેલો આદિવાસીઓ માટેનો પ્રેમ અને અપાર કરુણા.

……..

ભગવાનદાસ ભલે હતા પટેલ અને આજે પણ પટેલ જ છે પણ હૃદયથી તો તેમણે આદિવાસીપણું સ્વીકારી જ લીધું. તેઓ આદિવાસીની વચ્ચે રહીને આદિવાસી જ બની ગયા. તેઓ ભીલી બોલી શીખ્યા. શીખ્યા નહીં ભીલી બોલીને તેમણે આત્મસાત કરી. એટલું જ નહીં, તેમના જ પ્રયાસોથી ભારતના બંધારણમાં ભીલી બોલીને સ્થાન પણ મળ્યું.

……..

ગુજરાતી ભાષામાં એક પણ મહાકાવ્ય નથી, પણ ભીલી બોલીમાં ચાર ચાર મહાકાવ્યો છે. એ ચારેચાર મહાકાવ્યોનું રેકોર્ડિંગ કરીને તેને શાસ્ત્રીય રીતે પુસ્તકદેહ આપ્યો ભગવાનદાસએ. તેમાંથી બે મહાકાવ્યોનું તો અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયું છે. કેટલાંકનો હિન્દી અને બંગાળીમાં પણ અનુવાદ થયો છે.

ભગવાનદાસએ આ સંશોધન માટે પોતાના જીવનની એક એક ક્ષણને ખપમાં લીધી છે. તેમના હૃદયમાં આદિવાસીઓ માટેનો જે ખરો પ્રેમ છે, કરુણા છે, બંધુતા છે તેના જોર પર જ આટલું વ્યાપક અને ગહન સંશોધન તેમણે કર્યું.

સંશોધનની સમાંતરે તેઓ પોતાના શિક્ષકધર્મ તો નિભાવતા જ રહ્યા. તેઓ શિક્ષક તરીકે નિવૃત થયા પછી પણ સક્રિય જ રહ્યા. વડોદરા પાસે તેજગઢમાં સ્થપાયેલી ધ આદિવાસી અકાદમીના નિયામક રહ્યા, ગૂજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્રમાં જોડાયા અને તેમના હાથ નીચે ઘણા યુવાનો પીએચડી થયા, દર્પણ અેકેડમી સાથે પણ રહ્યા.

તેમને ટાગોર લિટરેચર, ભાષાસમ્માન, ઝવેરચંદ મેઘાણી એવોર્ડ સહિત અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે. હા, તેમની વય 75ની થઈ ગઈ છે છતાં પણ ગુજરાત વિદ્યા સભાને આ મહાન સંશોધક અને લેખકને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાનું હજી સૂઝતું નથી અને રાજકીય વગ વાપરીને અનેક લાયક ના હોય તેવા લોકો પદ્મશ્રી એવોર્ડ નવી દિલ્હી જઈને લઈ આવે છે અને આવા લોકો તો એક ખૂણામાં બેસીને સતત કાર્ય કરતા જ રહે છે.

….

પરિવારનો સહયોગ ના મળે તો હિમાલય જેવડું આવું ગંજાવર કામ ભગવાનદાસ કરી જ ના શક્યા હોત. તેમનાં ધર્મપત્નિ તારાબહેન સતત તેમની સાથે રહ્યાં છે. ભગવાનદાસએ 1500 કેસેટનું શબ્દાંકન જાતે કર્યું હતું પણ તેમના અક્ષરો તો ગરબરડિયા, તારાબહેને તેમનું બધું લખાણ સરસ અક્ષરોમાં પુનઃ લખી આપ્યું. બોલો, કેટલાં હશે પાનાં.. માત્ર દસેક હજાર.. (10,000)

તેમની મોટી દીકરી જિગ્નાસા અમદાવાદની ગુજરાત કોલેજમાં અધ્યાપક છે. તેમણે પિતાને મોટો ટેકો આપેલો. નાની દીકરી જાગૃતિ રાજકોટ પરણી છે. તે ડોકટર છે. દીકરો અમિત કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર છે અને અમદાવાદમાં પોતાની ફર્મ ચલાવે છે.

સાચો સર્જક સંવેદનશીલ હોય, સમાજને પ્રતિબદ્ધ હોય, નિસબત સાથે કામ કરનારો હોય.. એવા સાચુકલા સર્જકો, કોઈ પણ ભાષામાં, કોઈ પણ પ્રદેશમાં આંગળીના વેઢે ગણાય એટલા જ હોય. એવા છે આ ભગવાનદાસ પટેલ. તેમનાં 45 પુસ્તકો માત્ર આદિવાસી પ્રજાની નહીં. ભારતીય પ્રજાની મિરાત સમાં છે.

ભગવાનદાસ જેટલા સફળ સંશોધક છે તેટલા જ નીવડેલા સર્જક છે. સંવેદનાથી શાહીથી દીપતા તેમના હરેક શબ્દમાં ભાષાનું બળ અને સાહિત્યની સુગંધ છે.

…….

પૈસાને જ ભગવાન માનતા ગુજરાતીઓના પ્રદેશમાં આવો એક માણસ પાકે એ આ ભૂમિનો પ્રતાપ છે અને તેની સિદ્ધિને ઓછી પ્રસિદ્ધિ મળે એ પ્રદેશની પ્રજાના સ્વભાવની ગવાહી છે.

………

પરમાત્મા ભગવાનદાસ પટેલને નિરામય દીર્ધાયુ આપે. જમીન સાથે જોડાયેલા ભગવાનદાસનો લેન્ડ લાઈન (ઘર) નંબર છે 079-26871604 છે અને હરતાફરતા રહેતા ભગવાનદાસનો હરતોફરતો (મોબાઈલ) નંબર છે 9428109579.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત