કેન્દ્ર સરકાર રસીની અસરકારકતા જાણવા લોન્ચ કરશે કોવિડ વેકસીન ટ્રેકર, જાણો વેક્સીનેશનનો ફાયદો
કેન્દ્ર સરકાર એક એવું કોવિડ વેકસીન ટ્રેકર લોન્ચ કરવા જઈ રહી છે જેમાં લોકો પર કોરોના વેકસીનનો પ્રભાવ કેટલો છે તેના વિશે સાપ્તાહિક અપડેટ મેળવી શકે છે. સાથે જ લોકો આ ટ્રેકરની મદદથી એ પણ જાણી શકશે કે કોરોના રસી લગાવવાથી અને ન લગાવવાથી કોરોનાથી મોતનું જોખમ કેટલું છે.
આ અંગે જાણકારી આપતા ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચના હેડ બલરામ ભાર્ગવે કહ્યું હતું કે 18 એપ્રિલથી લઈ 16 ઓગસ્ટ સુધીના આંકડા દર્શાવે છે કે વેકસીનનો પહેલો ડોઝ લેવાથી મોતનું જોખમ 96.9 ટકા તો સાથે બે ડોઝ લેવાથી 97.5 ટકા ઘટી જાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મે મહિનામાં લગભગ 20 લાખ રસીના ડોઝ અપાઈ રહ્યા હતા. હવે સપ્ટેમ્બરમાં આ સંખ્યા વધી 78 લાખ થઈ ચુકી છે. હજુ પણ આ સંખ્યા વધશે. મે માસમાં 6 કરોડ રસીના ડોઝ લગાવવામાં આવ્યા હતા. જ્યારે સપ્ટેમ્બરના પહેલા 7 દિવસમાં તેનાથી વધારે ડોઝ લગાવવામાં આવ્યા છે. 86 લાખ રસી છેલ્લા 24 કલાકમાં અપાઈ છે. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે દેશમાં હજી પણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે.
સ્વાસ્થ્ય સચિવનું કહેવું હતું કે દેશમાં માત્ર કેરળ જ એક રાજ્ય એવું છે જ્યાં 1 લાખથી વધુ કોરોનાના સક્રિય કેસ છે. દેશમાં કોરોનાના કુલ કેસમાં 61 ટકા કેસ કેરળના છે. કુલ 3 લાખ 93 હજાર એક્ટિવ કેસ વર્તમાન સમયમાં છે. કેરળમાં 2 લાખ 40 હજારથી વધુ કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં 51,400 એક્ટિવ કેસ છે.
નીતિ આયોગના સભ્ય અને કોવિડ ટાસ્ક ફોર્સના હેડ ડો વીકે પોલનું કહેવું છે કે, હવે સ્પષ્ટ થઈ ચુક્યું છે કે વેકસીનના બંને ડોઝથી લોકોને સંપૂર્ણ પ્રોટેક્શન મળે છે. 18 વર્ષથી વધુની વયના અંદાજે 58 ટકા લોકોને રસીના સિંગલ ડોઝ લાગી ચુક્યા છે. આ સંખ્યા 100 ટકા હોવી જોઈએ અને કોઈપણ રસી લીધા વિના બાકાત રહેવું ન જોઈએ. અત્યાર સુધીમાં 72 કરોડ વેકસીન ડોઝ આપવામાં આવ્યા છે. જે લોકોએ વેકસીન નથી લીધી તેમણે પણ ઝડપથી રસી લઈ લેવી જોઈએ જેથી હર્ડ ઈમ્યુનિટી ઝડપથી પ્રાપ્ત કરી શકાય.