કોરોના ટેસ્ટ માટેની નવી ગાઈડલાઈન: હવે રેપિડ નેગેટિવ આવે તેવા સિમ્પ્ટમેટિક દર્દીઓને ‘આ’ ટેસ્ટ કરાવવો પડશે ફરજીયાત
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવાળી બાદથી ઝડપથી વધી રહ્યું છે. થોડા દિવસથી રોજ 1500થી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં બીજા રાઉન્ડમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે દિલ્હીથી આવેલી કેન્દ્ર સરકારના ડોક્ટરોની ટીમે કરેલા સૂચનો મુજબ રાજ્યના આરોગ્ય વિભાગે ગાઇડલાઇન જારી કરી છે. જે પ્રમાણે રેપિડ એન્ટિજન નેગેટિવ હોય તેવા સિમ્પ્ટોમેટિક દર્દીઓનો RTPCR ટેસ્ટ અવશ્ય કરાવવાનો રહેશે.
આ દર્દીઓને સ્વાઇન ફ્લૂ માટેનો ટેસ્ટ કરાવવાનો રહેશે
તો બીજી તરફ જે દર્દી સિમ્પ્ટોમેટિક હોય અને રેપિડ એન્ટિજન તેમજ RTPCR બંને ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય તેનો સિઝનલ(સ્વાઇન)ફ્લૂ માટેનો ટેસ્ટ કરાવવાનો રહેશે. નોંધનિય છે કે રેપિડ ટેસ્ટની વિશ્વસનિયતાને લઈને ઘણીવાર લોકો ફરિયાદ કરી ચુક્યા છે.
એક જ દિવસમાં કરવામાં આવેલા બે રેપિડ ટેસ્ટના રિઝલ્ટમાં ફેરફાર ઘણી વાર સામે આવી ચક્યા છે. જેને લઈને ઘણીવાર વિવાદ પણ થયા છે. આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.દિનકર રાવલે તમામ આરોગ્ય અધિકારીઓ માટે જારી કરેલી સૂચના મુજબ પોઝિટિવ દર્દીના હાઇરિસ્ક કોન્ટેક્ટમાં હોય તેવા વ્યક્તિઓના પાંચથી સાત દિવસે રેપિડ એન્ટિજન ટેસ્ટ અવશ્ય કરવાનો રહેશે.
આ ઉપારંત જે સિમ્પ્ટોમેટિક હોય તેવા લોકોના તાત્કાલિક ટેસ્ટ કરવાના રહેશે. પોઝિટિવ દર્દીના હાઇરિસ્ક કોન્ટેક્ટને હોમ ક્વોરન્ટાઇન રાખી દૈનિક ધોરણે ગાઇડલાઇન મુજબ મોનિટરિંગ કરવાનું રહેશે. હોમ ક્વોરન્ટાઇનની અમલવારી ન કરનારા કોન્ટેક્ટને જરૂર જણાયે ફેસિલિટી ક્વોરન્ટાઇન કરવાના રહેશે. હોમ આઇસોલેશન હેઠળના દર્દીઓને દૈનિક ધોરણે પેરા-મેડિકલ સ્ટાફ દ્વારા મોનિટરિંગ કરવાનું રહેશે અને તેમની આરોગ્ય ચકાસણી બાબતનું રજીસ્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી નિભાવવાનું રહેશે. દર્દીની સ્થિતિ વણસે તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાના રહેશે. આ સુચના બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમા વધુ ૧,૫૯૮ કેસ સામે આવ્યા
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમા વધુ ૧,૫૯૮ નાગરીકોને કોરોનાનો ચેપ લાગ્યાનું જાહેર કરતા વધુ ૧૫ દર્દીઓના મૃત્યુ થયાનું સ્વિકાર્યુ હતુ. કોવિડ-૧૯ અખબારી યાદીમાં કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં રહેલા ૫,૧૬,૭૭૨ શંકાસ્પદ નાગરીકોને આગમચેતીના ભાગરૂપે ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યાનું જણાવ્યુ છે. આરોગ્ય વિભાગે શુક્રવારે સાંજે પાંચ વાગ્યા પછીના ૨૪ કલાકમાં સત્તાવારપણે ૬૯,૮૮૭ ટેસ્ટમાંથી ૧૫૯૮ નાગરીકોના રિપોર્ટ પોઝિટીવ મળ્યાનું જાહેર કર્યુ છે.
અમદાવાદ- ગાંધીનગરમાં ૨૪ કલાકમાં ૪૨૪ નવા કેસ ઉમેરાયા
રાજ્યમાં સૌથી વધુ વસ્તીની ગીચતા છે તેવા અમદાવાદ- ગાંધીનગરમાં ૨૪ કલાકમાં ૪૨૪ નવા કેસ ઉમેરાયા છે. જ્યારે અડીને આવેલા ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ૧૯૯ કેસ મળ્યા છે. સુરતમાં ૨૮૪, રાજકોટમાં ૧૪૧ અને વડોદરામાં ૧૭૯ કેસ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨,૦૬,૭૧૪એ પહોંચી છે. રાજ્યમાં કુલ કેસોના ૫૦ ટકા કેસ માત્ર અમદાવાદ- સુરતમાં નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાની સારવાર લઈ રહેલા વધુ ૧૦ના મોત
૨૪ કલાકમાં અમદાવાદમાં કોરોનાની સારવાર લઈ રહેલા વધુ ૧૦, સુરતમાં વધુ બે, રાજકોટ, ગાંધીગર અને વડોદરામાં એક-એક દર્દીઓના મોત થયા છે. સરકારના જાણાવ્યા મુજબ કુલ મૃત્યુઆંક ચાર હજારને નજીક ૩,૯૫૩એ પહોંચ્યો છે. જેમાં સુરતમાં ૮૯૯, રાજકોટમાં ૧૭૩ અને ગાંધીનગરમાં ૯૮ મૃતકોનો સમાવેશ થાય છે. છેલ્લી સ્થિતિ મુજબ શનિવારની સાંજે રાજ્યમાં કુલ ૧૪,૭૯૨ એક્ટિવ કેસ સારવાર હેઠળ છે. જેમાંથી ૮૯ દર્દીઓ વેન્ટિલેટરને સહારે હોવાનું અખબારી યાદીમા ંજણાવાયુ છે. નવા ૧૫૯૮ કેસની સામે ૨૪ કલાકમાં વધુ ૧૫૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ ૧,૮૭,૯૬૯ નાગરીકોએ કોરોનાને હરાવ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત